Budget 2021: કલમ 80C શું છે? નોકરિયાત વર્ગ ને બજેટમાં મળી શકે છે આ લાભ

હાલમાં કલમ  80 સી અંતર્ગત કુલ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છૂટનો લાભ મળી શકે છે. અપેક્ષા છે કે આ મર્યાદા વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવશે. FICCIએ તો એમ પણ કહ્યું છે કે, આવકવેરાની કલમ 80 સી હેઠળ કરમુક્તિની મર્યાદા બમણી કરીને ત્રણ લાખ રૂપિયા કરવી જોઈએ.

Budget 2021: કલમ 80C શું છે? નોકરિયાત વર્ગ ને બજેટમાં મળી શકે છે આ લાભ

ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ  2021-22નું  બજેટ થોડા દિવસમાં રજૂ થનાર છે. દર વર્ષની જેમ મધ્યમવર્ગીય પરિવારની બજેટ સાથે આશા- અપેક્ષાઓ હોય છે. નોકરી કરતા મધ્યમવર્ગના લોકોને સેક્શન 80 સી અંતર્ગત ટેક્સમાં છૂટ મળશે તેવી આશા છે. જો સેક્શન 80 સી હેઠળ મર્યાદા વધારવામાં આવે છે, તો મધ્યમ વર્ગને ટેક્સમાં ઘણી રાહત મળશે.

બજેટમાં શું અપેક્ષા રાખવામાં આવે છે?
હાલમાં કલમ  80 સી અંતર્ગત કુલ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છૂટનો લાભ મળી શકે છે. અપેક્ષા છે કે આ મર્યાદા વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવશે. FICCIએ તો એમ પણ કહ્યું છે કે, આવકવેરાની કલમ 80 સી હેઠળ કરમુક્તિની મર્યાદા બમણી કરીને ત્રણ લાખ રૂપિયા કરવી જોઈએ.

આ પહેલા 80 C ની મર્યાદા ક્યારે હતી?
છેલ્લે 2014 એટલે કે 7 વર્ષ પહેલાં 80 સી ની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રી અરુણ જેટલીએ ટેક્સ છૂટની મર્યાદા 2 લાખથી વધારીને 2.5 લાખ કરી હતી અને કલમ 80 સી હેઠળ કરમુક્તિ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ કરી હતી. હવે જોવાનું એ છે કે આ વખતે ટેક્સ છૂટ 80 સી હેઠળ વધારવામાં આવશે કે કેમ, અને વધશો તો પણ કેટલી.

કલમ 80 C શું છે?
આવકવેરા કાયદાની કલમ 80 સી હકીકતમાં ઈન્કમ ટેક્સ કાયદો 1961નો એક ભાગ છે. આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ વિવિધ પ્રકારનાં રોકાણો પર ટેક્સની છૂટ આપવામાં આવે છે. જો તમે એક વર્ષમાં વિવિધ પ્રકારનાં રોકાણો પર ટેક્સની છૂટનો દાવો કરવાનું ભૂલી ગયા છો, તો પછી તમે આવકવેરા રિટર્ન ફાઈલ કરીને ટેક્સ છૂટનો દાવો કરી શકો છો.

કલમ 80 C હેઠળ કેટલી છૂટ છે?
સેક્શન 80 C હેઠળ 1,50,000 રૂપિયા સુધીના રોકાણો પર ટેક્સમાં છૂટ લઈ શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, સેક્શન 80 સી હેઠળ વિવિધ પ્રકારના રોકાણો કરીને, તમે તમારી કુલ કરપાત્ર આવકમાંથી 1,50,000 રૂપિયા ઘટાડી શકો છો. આ કરમુક્તિનો લાભ વ્યક્તિગત અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF)ને મળે છે.

કલમ 80 C હેઠળ તમે ક્યાં રોકાણ કરી શકો છો?
કર બચાવવા માટે, આવકવેરાની કલમ 80 સી હેઠળ મ્યુચ્યુઅલ ફંડના ટેક્સ ફંડ (ELSS), બેંકની ટેક્સ સેવિંગ્સ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ, NPS, PPF, લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરી શકો છો.

બાળકોની ટ્યુશન ફી પર પણ મળે છે ફાયદો
કલમ 80 C હેઠળ બાળકોની ટ્યુશન ફી પર પણ કરમુક્તિ મળે છે. આ છૂટ દર વર્ષે વધુમાં વધુ બે બાળકોની ટ્યુશન ફી પર મળે છે. જોકે, આ માટે તમારે શાળા દ્વારા જારી કરવામાં આવતી ફીનું પ્રમાણપત્ર આપવું પડશે. તમને જણાવી દઈએ કે, સેક્શન 80 સી હેઠળ આવતો એકમાત્ર ખર્ચ છે, જે રોકાણની જોગવાઈમાં આવતો નથી.

કરમુક્તિ માટે 31 માર્ચ સુધી રોકાણ કરવુ જરૂરી છે
જો તમે કલમ 80 C હેઠળ કરમુક્તિ મેળવવા માગતા હો તો તમારે નાણાંકીય વર્ષના અંત પહેલા નિર્ધારિત માધ્યમોમાં રોકાણ કરવું પડશે. નાણાંકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલે છે. એટલે કે, તમે વર્ષના જે સમયગાળામાં રોકાણ કરો છો, તે જ વર્ષથી તમે ટેક્સમાં છૂટનો લાભ મેળવી શકશો.

કયા માધ્યમમાં કેટલું રોકાણ કરવું, તે નિર્ણય તમારો છે
તમારા માટે એ સમજવું અગત્યનું છે કે કલમ 80 C અંતર્ગત આપવામાં આવેલા રોકાણના માધ્યોમાં કેટલુ રોકાણ કરવુ છે, તેનો નિર્ણય તમારે કરવાનો રહેશે. તમારી પાસે કુલ મર્યાદા 1.5 લાખ રૂપિયાની છે. હવે, તમે બધા પૈસા એક માધ્યમમાં રોકાણ કરવા માગતા હોવ અથવા તો અલગ અલગ પ્રકારના માધ્યમમાં પૈસા રોકાણ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news