અમદાવાદના 'બંટી ઔર બબલી' એ કોરોનાનો લીધો લાભ, આ રીતે લાખોનો ક્લેમ કરાવ્યો પાસ

અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં એક દંપતીએ ખોટા બિલ રજૂ કરી કંપની માંથી 18 લાખનો કલેઇમ પાસ કરાવી લીધો. જે મામલે કંપનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના 'બંટી ઔર બબલી' એ કોરોનાનો લીધો લાભ, આ રીતે લાખોનો ક્લેમ કરાવ્યો પાસ

મૌલિક ધામેચા / અમદાવાદ: સામાન્ય રીતે તમે લોકોને મેડિકલ કલેમ કર્યા બાદ કંપની દ્વારા યેનકેન પ્રકારે ક્લેમ પાસ નહિ કરતા હોવાનું સાંભળ્યું હશે. પણ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં એક દંપતીએ ખોટા બિલ રજૂ કરી કંપની માંથી 18 લાખનો કલેઇમ પાસ કરાવી લીધો. જે મામલે કંપનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના પ્રણય બ્રહ્મભટ્ટ  પર ઇન્સ્યોરન્સ કંપનીએ છેતરપીંડીનો આરોપ મૂક્યો છે. અને પ્રણય બ્રહ્મભટ્ટ એક ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરે છે. જેની સામે તેની જ કંપનીના ઉચ્ચ કર્મચારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહિ પણ પ્રણય બ્રહ્મભટ્ટ સાથે તેની પત્ની અનિતા બ્રહ્મભટ્ટ અને અન્ય એક વ્યક્તિ નિકુંજકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે. ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી એ ફરિયાદ કરી છે કે ત્રણે કંપનીમાં ખોટા બિલ તેમજ ખોટા રિપોર્ટ રજૂ કર્યા હતા. જેમાં દંપતીએ 18 લાખ પાસ કરાવ્યા જ્યારે નિકુંજનો ક્લેઇમ શંકા જતા અને તપાસ કરતા રદ કરવામાં આવ્યો અને બાદમાં ત્રણે સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવરંગપુરા પોલીસે પણ વાત ની ગંભીરતા જોઈ તાત્કાલિક ફરિયાદ નોંધી અને તપાસ કરતા સામે આવ્યું કે પ્રણય બ્રહ્મભટ્ટ વીમા કંપનીમાં હેલ્થ ક્લેમ વિભાગના મેનેજર તરીકે ફરજ બજાવતો અને ડોકટરોની ફાઈલનું કામ કરતો હતો. જે પ્રણય બ્રહ્મભટ્ટએ 30 લાખની પોલિસી લીધી હતી. જેમાં તેની પત્ની અનિતા અને બાળકનો સમાવેશ થાય છે. જે ક્લેમની અવધિ પુરી થતા ક્લેમ રીન્યુ કરી આગળ વધાર્યો. અને તે સમયમાં તેઓએ કોરોના કાળ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું દર્શાવી ખોટા બિલ રજૂ કરી અને ખોટા લેબોરેટરી રિપોર્ટ રજૂ કરી ક્લેમ કરી 18.40 લાખ કંપની માંથી પાસ કરાવી લીધા હતા. 

તો તે જ પ્રકારે નિકુંજકુમારે પણ ખોટા બિલ રજૂ કરી 2.50 લાખનો ક્લેમ કરેલો જે તપાસમાં ખોટો હોવાનું સામે આવતા ક્લેમ રદ કરાયો. આ સમગ્ર મામલાની પોલ ત્યારે ખુલી જ્યારે કંપની દ્વારા તપાસ કરવામાં આવી. કેમ કે કંપનીમાં જ્યારે ક્લેમ થાય ત્યારે ફાઈલ મુકાય અને તે સંલગ્ન વિભાગમાં જઈ ફિલ્ડ ટિમ તેની તપાસ કરતી હોય છે કે ખરેખર દર્દીએ સારવાર લીધી છે કે કેમ?

આ કેસમાં નિકુંજકુમારે બાપુનગરમાં ડોકટર હિતેન બારોટના ત્યાં સારવાર લીધી હોવાનું દર્શાવ્યું હતું. ત્યાં તપાસ કરતા ડોક્ટરે અહીં આવી કોઈ સારવાર લેવાઈ નથી તેમ જણાવતા મામલો ખુલો પડ્યો હતો. તો મેડિકલ સ્ટોર ધારકને બિલ અંગે પૂછતાં બતાવવાની ના પાડતા શંકા પ્રબળ બની અને સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો.

આરોપી પ્રણય બ્રહ્મભટ્ટએ બાપુનગરના એક જ ડોકટરના નામે 38 લોકોએ આ રીતે ફાઈલ મૂકીને ક્લેમ મેળવી લીધા છે. જે અંગેની પણ કંપનીએ તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આ કેસમાં અન્ય લોકોની પણ સંડોવણી ખુલવાની પણ શકયતા છે. જેની પણ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આરોપીઓની ધરપકડ બાદ જ ઇન્સ્યોરન્સના રૂપિયા કોને કોને મળ્યા છે ? અને અત્યાર સુધીમાં કેટલા બોગસ ઇન્શ્યોરન્સ પકવીને કંપની પાસેથી રૂપિયા પડાવ્યા છે તે સામે આવી શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news