અમદાવાદની આ સરકારી શાળામાં એડમિશન માટે થાય છે પડાપડી, માલેતુજારોના સંતાનો પણ ભણવા માંગે છે

Government School : અમદાવાદની સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓ વેઇટિંગમાં... અમદાવાદના પૂર્વમાં સૈજપુર કૃષ્ણનગરમાં આવેલી AMC સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલમાં ચાલી રહ્યું છે વેઇટિંગ

અમદાવાદની આ સરકારી શાળામાં એડમિશન માટે થાય છે પડાપડી, માલેતુજારોના સંતાનો પણ ભણવા માંગે છે

અતુલ તિવારી/અમદાવાદ :સરકારી સ્કૂલમાં બાળકને અભ્યાસ કરાવવાની વાત આવે એટલે પહેલો વિચાર આવે કે શિક્ષણ તો સારું મળશે ને? પરંતુ સરકારના સતત પ્રયાસોથી અમદાવાદમાં કેટલીક સરકારી શાળાઓની ગુણવત્તામાં દિન પ્રતિદિન સુધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક સ્કૂલ એટલે અમદાવાદના પૂર્વમાં સૈજપુર કૃષ્ણનગરમાં આવેલી AMC સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલ કે જ્યાં પ્રવેશ લેવા માટે વાલીઓ વેઇટિંગમાં છે. પાછું આ વેઇટિંગ 10, 20 કે 50 નહીં પણ ગુજરાતી માધ્યમમાં 125 તેમજ અંગ્રેજી માધ્યમમાં 200 સુધી જઈ પહોંચ્યું છે. આ સરકારી સ્કૂલની આસપાસ ચાલતી ખાનગી શાળાઓ આ સ્કૂલને ટક્કર આપવા માટે પોતાની ફીમાં ડિસ્કાઉન્ટ આપવા મજબૂર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં AMC સંચાલિત કુલ 11 સ્માર્ટ સ્કૂલ અત્યાર સુધીમાં કાર્યરત થઈ ચૂકી છે. વધુ 8 સ્માર્ટ સ્કૂલ શહેરના અલગ અલગ વિસ્તારમાં ટુંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. એવામાં સમયાંતરે સરકારી સ્કૂલમાં મળી રહેલા શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોતર સુધારો જોવા મળતા તેમજ ખાનગી શાળાઓમાં ફીના નામે થતી બેફામ ઉઘરાણી સામે વાલીઓ હવે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવવા ધીમે ધીમે મક્કમ થઈ રહ્યા છે. સૈજપુર કૃષ્ણનગરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલ એમાંની એક સાબિત થઈ રહી છે.

સ્કૂલના પ્રિન્સિપલ ચંદ્રકાંત ઠાકોરે જણાવ્યું કે, સ્કૂલ ગુજરાતી અને અંગ્રેજી એમ બે માધ્યમમાં ચાલી રહી છે. ધોરણ 1થી 8 નાં વર્ગો અહીં ચાલે છે. એક વર્ગમાં 40 ની સંખ્યા મુજબ ફૂલ 862 જેટલા બાળકો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમજ પ્રવેશ માટે ગુજરાતી માધ્યમમાં 125નું વેઈટીંગ ચાલી રહ્યું છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1થી 8માં 663 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે અને હજુ પ્રવેશ મેળવવા માટે 200 વાલીઓનું વેઈટીંગ ચાલી રહ્યું છે. વર્ગ 1નાં અધિકારીઓના બાળકો અહીં અભ્યાસ માટે આવવા માંગે છે. તદુપરાંત પ્રવેશ માટે સાંસદ, ધારાસભ્ય તેમજ અધિકારીઓ દ્વારા ભલામણો પણ આવતી રહે છે.

સૈજપુર કૃષ્ણનગરમાં આવેલી આ SVP સ્કૂલમાં એડમિશન માટે સતત વાલીઓની ઈન્ક્વાયરી આવતી રહે છે. જેના પાછળનું કારણ છે અહીંની અભ્યાસની પદ્ધતિ. સાથે પૌષ્ટિક મધ્યાહન ભોજન, ગણવેશ સહિતની આપવામાં આવતી સુવિધાઓ છે. લોકડાઉન સમયમાં પણ આ સરકારી શાળા દ્વારા સતત વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવતું રહ્યું હતું. આ સરકારી શાળા આસપાસમાં ચાલતી ખાનગી શાળા માટે માથાનો દુખાવો બની છે. કારણ કે, તેમને આ સરકારી શાળાને ટક્કર આપવા માટે જુદી જુદી સ્કીમ શરૂ કરવી પડી છે, જેમાં ફીમાં ડિસ્કાઉન્ટ આપવું, તેમજ SVP સ્કૂલમાંથી પ્રવેશ રદ્દ કરાવીને આવનારને 2 હજાર રૂપિયા સુધી ફીમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેર કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news