)
Ahmedabad News : મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. ત્યારે અહી એક પણ રસ્તો બંધ થાય તો હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાય છે. ત્યારે 15 મહિનાથી બંધ રહેલો અમદાવાદનો સૌથી વ્યસ્ત શાસ્ત્રી બ્રિજ આખરે ખોલી દેવામાં આવ્યો છે. શાસ્ત્રી બ્રિજ ખોલી દેતા અમદાવાદીઓનો ખુશીઓનો પાર નથી રહ્યો. કારણ કે, શહેરમાં બહારથી આવતા અને શહેર બહાર જતા વાહનચાલકો માટે આ બ્રિજ એન્ટ્રી ગેટ સમાન છે. જેના બંધ થવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગત વર્ષ જુન મહિનામાં શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં હોવાથી બંધ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી બ્રિજ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો બ્રિજ છે. સાથે જ તે વિશાલાથી નારોલના વિસ્તારને પણ જોડે છે. આ ઉપરાંત આ બ્રિજ નેશનલ હાઈવે અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને જોડતો હોવાથી અહીથી રોજ લાખોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.
આ બ્રિજ એટલો જર્જરિત થઈ ગયો હતો કે તેને તાત્કાલિક અસરથી સમારકામની જરૂરિયાત પડી હતી. તેથી ગત વર્ષે તેનો એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. બ્રિજનો એક ભાગ ચાલુ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક જ તરફના ભાગ પરથી આવનજાવન ચાલુ હતી.
સ્થિતિ એવી હતી કે, વાહનચાલકોને માત્ર એક બ્રિજ પસાર કરવામાં 30 મિનિટથી વધુ સમય લાગતો હતો. આખરે આ બ્રિજનું રીપેરિંગ કામ પૂરું થઈ ગયું છે. ગત રોજ શાસ્ત્રી બ્રિજ ખોલી દેવાયો છે. જેના પરથી વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે.