અહો આશ્ચર્યમ! ગાંધીનગર જિલ્લામાં આવેલી આ સ્કૂલની 'દાદાગીરી' સામે અધિકારીઓ નતમસ્તક!

નિયમ મુજબ કોઈપણ બાળકોના એલસી સ્કૂલ કુરિયર કરીને વાલીના ઘરે વાલીની ઈચ્છા વિરુદ્ધ ના મોકલી શકે, પરંતુ આવી ઘટના બની હોવા છતાં ગાંધીનગર, DEO કચેરી તરફથી હજુ સુધી ફરિયાદ મળ્યાને એક અઠવાડિયા બાદ પણ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. 

અહો આશ્ચર્યમ! ગાંધીનગર જિલ્લામાં આવેલી આ સ્કૂલની 'દાદાગીરી' સામે અધિકારીઓ નતમસ્તક!

અતુલ તિવારી/અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાં આવેલી આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી સામે અધિકારીઓ નતમસ્તક થયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ભાડજ કેમ્પસ, આનંદ નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ 6ના બે બાળકોના એલસી વાલીના ઘરે કુરિયર કરી દેવાયા હતા. ત્યારબાદ વાલીએ કરેલી ફરિયાદ મુજબ સ્કૂલ પાસેથી ફીની રસીદ માગતા શૈક્ષણિક વર્ષના અંતે બાળકોના એલસી કુરિયર કરી દેવાયા હતા. ઘરે આવેલા કુરિયરમાંથી બાળકોના એલસી મળી આવતા વાલી દીપેન પંડ્યા અને તેમના પત્ની હિરલ પંડ્યા સ્તબ્ધ થયા હતા.

આ સમગ્ર વિવાદ અંગે વાલી દીપેન પંડ્યાએ સ્કૂલ અંગે ફરિયાદ કરતા કહ્યું કે, તેમના બે બાળકોની 1.65 લાખ જેટલી ફી તેઓએ સ્કૂલમાં ભરી હતી. સ્કૂલમાં ભરેલી ફીની રસીદ માગતા ઇ-મેઇલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઇ-મેઇલ કરવા છતાં આનંદ નિકેતન સ્કૂલ દ્વારા ફીની રસીદ આપવામાં ના આવતા વાલી અને સ્કૂલ વચ્ચે વિવાદ સર્જાયો હતો. ફીની રસીદ મામલે વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવતા આખરે ફીની રસીદ આપવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ સ્કૂલ દ્વારા ખાનગી કુરિયરના માધ્યમથી અજાણ્યા વ્યક્તિના નામે બે બાળકોના એલસી ઘરે મોકલી આપવામાં આવ્યાનો વાલીએ આક્ષેપ કર્યો છે. 

No description available.

બાળકોના માતા હિરલ પંડ્યાએ કહ્યું કે, આ અંગે અમે ફરિયાદ ગાંધીનગર જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને કરી છે, પરંતુ અમારા બંને બાળકોના એલસી કુરિયરથી મોકલી દેવા મામલે હજુ સુધી અમને કોઈ મદદ મળી નથી. અમે સ્કૂલ પાસેથી ફીની રસીદ માગ્યા બાદ અમારા બાળકો પર માનસિક ત્રાસ ગુજરવામાં આવ્યો હતો, તેમને અપમાનિત કરાતા હતા, જે અંગે બાળકોને માનસિક સમસ્યા થતા અમારે તેમની સારવાર કરાવી પડી છે. 24 માર્ચે અમારા બંને બાળકોના એલસી લઈ જવા અમને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ એલસીનું કુરિયર અજાણ્યા નામે અમને ઘરે મોકલી દેવાયું હતું.

બાળકોના પિતા દીપેન પંડ્યાએ કહ્યું કે, અમારી ફરિયાદ અંગે DEO તરફથી 28 ફેબ્રુઆરીએ અમને સ્કૂલ સામે તપાસ કરવા અંગે આશ્વાસન અપાયું હતું. પરંતુ હજુ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી. અમારા બાળકોના એડમિશન હજુ કોઈ અન્ય શાળામાં થઈ શક્યા નથી. સમગ્ર મામલે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીનો ઝી 24 કલાકે સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નહતો. 

No description available.

ઉલ્લેખનીય છે કે, નિયમ મુજબ કોઈપણ બાળકોના એલસી સ્કૂલ કુરિયર કરીને વાલીના ઘરે વાલીની ઈચ્છા વિરુદ્ધ ના મોકલી શકે, પરંતુ આવી ઘટના બની હોવા છતાં ગાંધીનગર, DEO કચેરી તરફથી હજુ સુધી ફરિયાદ મળ્યાને એક અઠવાડિયા બાદ પણ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. 

આનંદ નિકેતન ભાડજ કેમ્પસનો પક્ષ જાણવા અમારા ઝી 24 કલાકના સંવાદદાતાએ તેમનો સંપર્ક કર્યો તો સામેથી કોઈ પણ જાતની સ્પષ્ટતા કર્યા સિવાય કહેવામાં આવ્યું કે તમે અમારી લિગલ ટીમનો સંપર્ક કરો. છતાં પણ અમારા સંવાદદાતાએ કહ્યું કે જો તમે કોઈ સ્પષ્ટતા કરવા માંગતા હોવ તો તમે તમારા પક્ષ મૂકી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news