Corona કાળમાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને બાળ સેવા યોજનાનો અપાયો લાભ

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય ૧૮ વર્ષથી થતા સુધી આપવાનું યથાવત જ રહેશે.

Corona કાળમાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને બાળ સેવા યોજનાનો અપાયો લાભ

ગાંધીનગર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય ૧૮ વર્ષથી થતા સુધી આપવાનું યથાવત જ રહેશે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા નિરાધાર બાળકોના ભાવિને સુરક્ષિત રાખવાની સંવેદના સાથે જુલાઇ-ર૦ર૧માં શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોના કાળ દરમ્યાન કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા બંન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા ૧૦૦૦ ઉપરાંત બાળકોને માસિક રૂ. ૪ હજારની સહાય ચુકવવામાં આવેલી છે.

મુખ્યમંત્રીએ આ યોજના અંગે વધુ એક સંવેદનાપૂર્ણ અભિગમ દર્શાવતાં તા.ર૮ મી જૂલાઇએ એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ બાળકના  માતા કે પિતા બેમાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂ. ર હજારની સહાય રાજ્ય સરકાર આપશે. 

આવા આશરે ૪ હજાર બાળકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળક દીઠ રૂ. ર હજારની સહાય ગત તા.ર ઓગસ્ટે રાજકોટ ખાતેથી ડી.બી.ટી દ્વારા એટ વન કલીક સીધી જ બેંક એકાઉન્ટમાં સંપુર્ણ પારદર્શીતાથી ચૂકવી પણ આપી છે. આવી સહાય પણ બાળકની વય ૧૮ વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં તા.૧પ મી જૂન પછી ઉત્તરોત્તર ઘટાડો થતા અને તા.૩૦મી જૂન સુધીમાં કોરોના કેસ અને મૃત્યુ દર નહિવત થઇ જવાથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભ માટેની કટ ઓફ ડેટ તા.૩૦ જૂન-ર૦ર૧ નક્કી કરી હતી અને યોજનાનો લાભ મેળવવા માટે તા.૩૧મી ઓગસ્ટ-ર૦ર૧ સુધીમાં અરજી કરી શકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે આવી આવેલી અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા બાળકોના કિસ્સામાં બાળકના માતા-પિતાનું મૃત્યુ કોરોના અથવા કોરોના દરમિયાન કોઇ ગંભીર બિમારીને કારણે થયું હોય તેવા વધુ ૮ હજાર જેટલા બાળકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ આગામી ૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજકોટ ખાતેથી આવા બાળકોના બેંક એકાઉન્ટમાં ડી.બી.ટી.થી સહાય ચૂકવવામાં આવશે અને બાળકની વય ૧૮ વર્ષની તથા સુધી માસિક સહાય નિયમિતપણે અપાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ યોજના રાજ્ય સરકાર દ્વારા યથાવત રાખવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news