ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલા વિરુદ્ધ પત્રિકાકાંડમાં મોટો ખુલાસો : રેલો IAS, CMO અને GCA સુધી પહોંચશે

Gujarat Latest News: ગુજરાત ભાજપમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. પાટીલ જૂથને બદનામ કરવાના એજન્ડામાં પ્રદીપસિંહ વાઘેલા ભોગ બન્યા છે. હવે આ કાવતરા અંગે એક પછી એક જે ખુલાસા થઈ રહ્યા છે તેમાં અનેક મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં અધિકારીઓ સાથે સંતની પણ ભૂમિકા સામે આવી રહી છે. 

ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલા વિરુદ્ધ પત્રિકાકાંડમાં મોટો ખુલાસો : રેલો IAS, CMO અને GCA સુધી પહોંચશે

Pradipsinh Vaghela News: ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહના રાજીનામા અને અમદાવાદમાં પાટીલ જૂથના આ નેતાને બદનામ કરવાના પ્રકરણમાં અમે નામોના ખુલાસા કરી રહ્યાં છે. જે નામો જાહેર થતાં જ અનેક નેતાઓના પગતળે રેલો આવી જશે. ગુજરાતમાં પાટીલ જૂથને બદનામ કરવાના એજન્ડામાં પ્રદીપસિંહ વાઘેલા ભોગ બન્યા છે. ફિલ્મી સ્ટોરીની જેમ ઘડાયેલા આ કાવતરાની એક બાદ એક પરતો ખૂલી રહી છે. જેમાં અમદાવાદની પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. પ્રદીપસિંહને રાજીનામું આપવાની ફરજ પાડવાના આ પ્રકરણમાં કેટલાક મોટા માથાઓના નામ ખૂલે તો નવાઈ નહીં. હવે આગામી દિવસોમાં ખુલાસો થશે કે પોલીસ કોના ઘર સુધી પહોંચે છે. ભાજપના પ્રદેશ મહામમંત્રી પ્રદીપસિંહને બદનામ કરવાના પત્રિકા યુદ્ધના રેલો એક જાણીતા મહારાજ, 4થી 5  IAS અને જીસીએ અને સીએમઓ સુધી પહોચ્યો છે.

ઝી24કલાકનો મોટો ખુલાસો
પ્રદીપસિંહનું રાજકારણ પુરૂ કરી દેવામાં મોટા નામોનો અમે ખુલાસો કરી રહ્યાં છે. ગુજરાતમાં Zee24 kalak પ્રથમવાર આ પત્રિકા કાંડમાં નામો જાહેર કરી રહ્યું છે. જેમની સામે આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે. ભાજપ કોઈ પણને બક્ષવાના મૂડમાં નથી. સુરતમાં પાટીલને બદનામ કરનારા સામે કડક કાર્યવાહી બાદ અમદાવાદમાં પણ પોલીસ સક્રિય થઈ ગઈ છે. આ પ્રકરણમાં પોલીસ અનેક દિવસોથી પૂછપરછ કરી પૂરાવાઓ ભેગા કરી રહી છે. પ્રદીપસિંહ પણ ભાજપની લીલીઝંડી મળી તો ફરિયાદ કરવાના મૂડમાં હોવાથી આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચે તો નવાઈ નહીં.

  • અમદાવાદ : પત્રિકાકાંડ મુદ્દે ZEE ૨૪ કલાક પર સૌથી મોટો ખુલાસો 
  • ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલા વિરુદ્ધ પત્રિકાકાંડમાં મોટો ખુલાસો 
  • ZEE ૨૪ કલાક પાસે પત્રિકાકાંડમાં સંડોવાયેલા વ્યક્તિઓના નામ 
  • ભાજપનો કાર્યકર જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહ પત્રિકા કાંડના મુખ્ય સુત્રધાર 
  • પત્રિકા કાંડમાં સિનિયર IAS અધિકારીઓના ખુલશે નામ
  • અમદાવાદમાં રહેતા સંતની પણ સંડોવણી
  • પાર્ટી ગ્રીન સિગ્નલ આપશે તો ષડ્યંત્ર કરનાર વિરુદ્ધ પ્રદીપસિંહ વાઘેલા નોંધાવશે પોલીસ ફરિયાદ 
  • પત્રિકા વાયરલ કરનાર પર કસાશે સકંજો, SOG કરશે તપાસ
  • મોટા માથાઓનું નામ બહાર આવે તેવી પૂરી શક્યતાઓ 
  • પ્રદીપસિંહ વાઘેલા દૂધનું દૂધ અને પાણીનું પાણી નહી થાય ત્યાં સુધી રહેશે પદથી અળગા

અઢી વર્ષથી પ્રદીપસિંહ વિરુદ્ધ ઘડાતા હતા કાવતરા
 પાટીલ જૂથના નેતા પ્રદીપસિંહને બદનામ કરી રાજીનામું આપવા મજબૂર કરનાર નેતાઓની અમે કરમકુંડળી બહાર લાવી રહ્યાં છે. આ કેસમાં એક પિતાપુત્રની પણ સંડોવણી બહાર આવી છે. જીમિત શાહ અને મુકેશ શાહના નામનો ખુલાસો થયો છે. મુકેશ શાહ એ એક સમયે સાણંદ તાલુકા પંચાયતમાં નોકરી કરતા હતા. જેઓ સામે અનિલભાઈ નામના એક ડીડીઓએ ફરિયાદ કરતાં મુકેશ શાહ જેલમાં ગયા હતા. છેલ્લા અઢી વર્ષથી જીમિત શાહ પ્રદીપસિંહ વિરુદ્ધ કામગીરી કરતો હતો. આ મોટાપાયે ઘડાયેલું એક કાવતરું છે. જેમાં 4થી 5 IASના નામ ખૂલે તો પણ નવાઈ નહીં. પ્રદીપસિંહને બદનામ કરવામાં સરકારી ખાતામાં ટોપના અધિકારીઓની પણ ભૂંડી ભૂમિકા બહાર આવી છે. જેઓ પણ આ ષડયંત્રમાં સામેલ છે. આ સિવાય સીએમઓમાં કામ કરતા એક ઉચ્ચ અધિકારીનું પણ નામ બહાર આવ્યું છે. જે આ ટોળકીનો હિસ્સો છે. જે પ્રદીપસિંહ વિરુદ્ધ કામગીરી કરતી હતી.  આમ પ્રદીપસિંહને બદનામ કરવાની ટોળકીમાં મોટા માથાઓ સંડોવાયેલા છે.

અધિકારીઓ સાથે સંતની ભૂંડી ભૂમિકા
આ કાવતરાના છેડા આટલેથી પણ નથી અટક્યા આ લોકોએ ભેગા મળીને પ્રદીપસિહ સામે સતત ફરિયાદો કરી એમને બદનામ કરવાની એક તક છોડી નથી. આ પ્રકરણમાં જીસીએ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. જ્યાંના એક અધિકારીએ પણ ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા સાથે મળીને પ્રદીપસિંહને બદનામ કરવામાં ભૂંડી ભૂમિકા ભજવી છે. પોલીસ આ તમામ લોકોની હાલમાં પૂછપરછ કરી રહી છે.  રાજકારણીઓ અને આઈએસ જોડાયેલા હોય એ મનાય પણ અમદાવાદના એક સંતની ભૂમિકા પણ આ કેસમાં સ્પષ્ટ થઈ છે. પોલીસ આ કેસમાં ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહી છે. હાલમાં આ મામલે ફક્ત પૂછપરછો કરાઈ રહી છે. આગામી દિવસોમાં પ્રદીપસિંહે ફરિયાદ કરી તો આ કેસમાં દોરી સંચાર કરનાર ભાજપના જ કેટલાક મોટા માથાઓના ઘર સુધી રેલો પહોંચી શકે છે. ભાજપમાં હાલમાં યાદવા સ્થળી ચાલી રહી છે અને પાટીલ જૂથને બદનામ કરવા માટે કેટલાક નેતાઓ સક્રિય થયા છે.  આ તો મામૂલી પ્યાદા છે આ પ્રકરણમાં માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા પોલીસ સક્રિય બની છે. જો પોલીસ તપાસ કોઈપણ ભેદભાવ પૂર્વક આગળ વધી તો આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવે એવા નામો ખૂલશે. હાલમાં તો આ પત્રિકા યુદ્ધમાં પ્રદીપસિંહ વાઘેલાનો ભોગ લેવાઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news