વિશ્વ માતૃભાષા દિવસઃ હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની શોભાયાત્રા નિકળશે

પ્રવક્તા મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે કહ્યું કે, '૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ'ની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદના બોડકદેવ ખાતેના પંડિત દીનદયાળ ઓડિટોરીયમમાં  કરાશે.

વિશ્વ માતૃભાષા દિવસઃ હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની  શોભાયાત્રા નિકળશે

ગાંધીનગરઃ 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ છે. દરેક લોકોને તેની માતૃભાષા પર ગર્વ હોય છે. વર્ષ 1999થી દર વર્ષે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ દિવસે માતૃભાષાને લઈને ઘણા કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વ માતૃભાષાના દિવસે એટલે કે 21 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યા પ્રમાણે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની  શોભાયાત્રા નિકળશે.

મંત્રીએ ઉમેર્યું કે, આ દિવસે સવારે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની ૨ કિ.મી. સુધી શોભાયાત્રા નિકળશે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ અને લેખકો પોતાના વિચારો રજૂ કરશે. ગુજરાતી ભજન, ગીત, ફટાણા, ઊર્મિગીતો, લોકગીતોની શિક્ષકોની સંગીત ટીમો દ્વારા સામ-સામે રજૂઆત કરાશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતી ભાષાનું પ્રસિદ્ધ ગીત જય સોમનાથ, જય દ્વારકેશની વેશભૂષા સાથે પ્રસ્તૃતિ કરાશે. વિશ્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથા“મારી ભાષા મારૂં ગૌરવ’’ વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા સૂત્રોની પ્રસ્તુતિ કરાશે. જેનું રાજ્યમાં ૧૦૦ જેટલા સ્થળોએ નિદર્શન કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સવારે ૦૯-૦૦ થી ૧૧-૩૦ દરમિયાન ચાલનારા કાર્યક્રમનું BISAG દ્વારા રાજયની તમામ શાળા, કોલેજો અને  યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નિહાળી શકે તે માટે જીવંત પ્રસારણ થશે. રાજ્યની શાળાઓમાં પણ આ વિષયને કેન્દ્રમાં રાખી સ્પર્ધાનું આયોજન કરાશે. જિલ્લા કક્ષાએ પણ આ  કાર્યક્રમોનું આયોજન પણ આ સમય સિવાય અલગ સમયે રાખવામાં આવશે.

યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7000થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે, જેનો ઉપયોગ (વાંચવા, લખવા અને બોલવા) માટે થતો હોવાનું જણાવ્યું છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો,ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે.

21 ફેબ્રુઆરીએ કેમ ઉજવણી?
ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી હતી, પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો, છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.

આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાવા લાગ્યો.

21 ફેબ્રુઆરી વિશ્વભરમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. પણ એક કડવું સત્ય એ પણ છે કે, માતૃભાષાનું ચલણ નામશેષ થઈ રહ્યું છે. જેના પાછળ આપણું ઘર પરિવાર જ જવાબદાર છે. જો આપણે એવો આગ્રહ રાખીએ કે આપણું સંતાન માતૃભાષા શીખે તો દુનિયાની કોઈ તાકાત તમને એમ કરતાં રોકી શકે એમ નથી અને આપણો ભારત દેશ તો એ બધી જ ભાષા માટે ખરા અર્થમાં મુક્ત છે પણ આપણે જ એને કોઈ એક કહેવાતી વિદેશી ભાષાના કેદમાં મરવા માટે છોડી દીધી છે.

ગુજરાતી ભાષા વિશે જાણો
ગુજરાતી ભાષાનું સૌંદર્ય તેની લિપિ, વ્યાકરણ, જોડણી, ઉચ્ચાચરણો અને અભિવ્યક્તિમાં છે. ગુજરાતી ભાષાને કોમન જોડણી તરીકે સાંકળવા માટે ઊંઝા જોડણી આંદોલન થયું હતું. જેમાં દીર્ઘ ઈ અને હસ્વ ઉ થી જ જોડાણીનું કામ ચલાવવું અને જોડણી સરળ કરવી એવું આંદોલન ઉંઝામાં ગુજરાતી સાહિત્યકારોએ કર્યું હતું. જોકે, તેને બાદમાં ખાસ સફળતા મળી નથી. નહીં તો કદાચ અત્યારે ગુજરાતીની જોડાણીનું સ્વરૂપ કંઈક અલગ હોત. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ 'સિદ્ધ હેમ શબ્દાનુશાસન' હતો. જે ઈ.સ. 1135માં લખાયો. 

સંસ્કૃત શબ્દ 'ગુર્જરત્રા' અને પ્રાકૃત શબ્દ 'ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ શબ્દ 'ગુજરાત' પરથી વિશેષણ બન્યું 'ગુજરાતી'. સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહે માળવાઓ પર આક્રમણ કર્યું. માળવા જીત્યું. અવંતિનાથ બિરુદ લીધું : પણ એક વાત મહારાજ સિદ્ધરાજના દિલમાં ખટક્યા કરે છે. શૂળની જેમ એ વાત દિલને વીંધે છે ! માલવાના રાજા વિદ્વાન ! પંડિત ! સંસ્કારી ! અને હું શું ? મારું ગુજરાત શું? માલવામાંથી લાવેલો પુસ્તકોનો ભંડાર ફેંદતાં એક પુસ્તક નીકળી આવ્યું. ગ્રંથપાલે એનું નામ વાંચ્યું. એનું નામ ભોજ વ્યાકરણ! મહારાજા કહે : 'એમ આગળ નામ મૂકી દીધે શું વળે ? હું ય કહું કે સિદ્ધ વ્યાકરણ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news