તૈયારીઓ શરૂ! ગુજરાત કોરોનાને પહોંચી વળવા માટે ફરી કેટલું તૈયાર? CMની આગેવાનીમાં મળી બેઠક

રાજ્યમાં કોરોના સામે આરોગ્યતંત્રની સજ્જતાની મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી સમીક્ષા કરી હતી. તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં ૧૦ અને ૧૧ એપ્રિલે મોક ડ્રીલ યોજાશે.

તૈયારીઓ શરૂ! ગુજરાત કોરોનાને પહોંચી વળવા માટે ફરી કેટલું તૈયાર? CMની આગેવાનીમાં મળી બેઠક

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતમાં બિલ્લી પગે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં કોરોનાના ખતરાને જોતા એક એડવાઝરી જાહેર કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસ દરરોજ 500ની નજીક પહોંચવા આવ્યા છે, ત્યારે રાજ્યમાં કોરોના મોટું સ્વરૂપ ધારણ ના કરે તેના માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી છે. જેમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. 

તદ્દ અનુસાર, ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન 268 ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ કોવિડ -19 પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી 10 અને 11 એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ, માનવ બલ વગેરેની સજ્જતા ચકાસણી કરવામાં આવશે.

બીજી બાજુ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં વહેલા નિદાન અને સારવારને પરિણામે હોસ્પિટલાઈઝેશન એટલે કે દાખલ કરવા પડે એવા દર્દીઓનું પ્રમાણ 3% કરતાં ઓછું છે અને મૃત્યુદર  પણ નહિવત છે. કોવિડ-19 કેસોનું દૈનિક ધોરણે એનાલિસિસ કરીને આરોગ્ય વિભાગ રોગ અટકાયતના પગલા પણ ત્વરાએ લે છે તેની આ બેઠકમાં વિગતો આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલોમાં દવા વગેરેના પુરવઠાની પણ સમીક્ષા હાથ ધરી હતી. આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવા માં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠકમાં જણાવ્યું કે કોરોના સામે ગભરાટ કે ડર વિના સાવચેતી સલામતી રાખવા લોકોને કોરોના એપ્રોપ્રિએટ બીહેવીયર માટે જાગૃત કરવા જરૂરી છે. ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવું, ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા તેમણે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news