બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી, નાના ભૂલકાઓ સહાય કરવા પહોંચ્યા

પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર પાસે સહાય માટે વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા સહાય અંગે કોઈજ વિચાર ના કરતા ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બની છે જેથી હવે સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા દાન માટેની મદદ મંગાઈ રહી છે

બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી, નાના ભૂલકાઓ સહાય કરવા પહોંચ્યા

અલ્કેશ રાવ/ બનાસકાંઠા: ગુજરાતમાં સૌથી વધુ 150 જેટલા ગૌશાળાઓ અને પાંજરાપોળ બનાસકાંઠામાં આવેલા છે. જો કે તેમાં રહેલા પશુઓના નિભાવ ખર્ચ માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર પાસે સહાય માટે વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા સહાય અંગે કોઈજ વિચાર ના કરતા ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બની છે જેથી હવે સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા દાન માટેની મદદ મંગાઈ રહી છે.

બનાસકાંઠા ડીસાના 15 થી 20 બાળકો પોતાના એક-એક રૂપિયો ભેગા કરેલ ગલ્લો લઈ કાંટ પાંજરાપોળમાં દાન કરવા પહોંચ્યા હતા. બાળકોએ પોતાના ગલ્લા તોડીને બચાવેલા તમામ પૈસા પાંજરાપોળના સંચાલકોને આપી ગૌમાતાની સહાય કરી હતી. કોરોના મહામારીના સમયમાં દાનની આવક ઘટી જતા બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી બની છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 150 થી પણ વધુ ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જે તમામ મુખ્યત્વે દાનની આવક પર નિર્ભર છે અને દાનની આવક થકી જ આ ગૌશાળામાં રહેલા અંદાજિત એક લાખથી પણ વધુ પશુઓનો નિર્વાહ ચાલતો હતો. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે. ધંધા-રોજગાર ઠપ્પ થતા જ દાનની આવક પણ નહિવત જેટલી થઇ ગઇ છે.

હવે પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોને પશુઓને નિભાવવા મુશ્કેલી સમાન બની ગઈ છે અને તેથી ગૌશાળાઓમાં અત્યારે પશુઓની હાલત પણ દયનીય બની છે. જે માટે ગત વર્ષે તો ગૌશાળાના સંચાલકોએ આંદોલન કરતાં સરકારે સહાય કરી હતી. પરંતુ આ વર્ષે હજુ સુધી કોઈ સહાય અપાઈ નથી અને દાનની આવક પણ અત્યારે બંધ જેવી છે જે માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકોએ આ વર્ષે પણ સહાય માટે વારંવાર રજૂઆત કરી હતી.

કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ હજી સુધી આ મામલે કોઇ જ વિચાર કર્યો નથી ત્યારે વારંવાર સોશિયલ મીડિયામાં ગૌમાતાની કફોડી સ્થિતી અંગેના સમાચાર જોતા ડીસામાં કેટલાક બાળકોના હદય દ્રવી ઉઠ્યા હતા અને તેઓએ પોતાની પોકેટ મનીમાંથી બચાવીને ભેગા કરેલા પૈસા આજે ગૌશાળામાં દાન કરવા માટે આવી પહોંચ્યા હતા.

15 થી 20 જેટલા બાળકોએ પોતે એક રૂપિયો ભેગો કરીને  ભરેલો ગલ્લો લઈને કાંટ પાંજરાપોળમાં  પહોંચ્યા હતા જેમ ટીંપે ટીંપે સરોવર ભરાય છે તેમ તેમનાથી બનતી નાની નાની બચત કરી તેઓએ ગાય માતા ની સેવા કરવા પ્રયાસ કર્યો છે, સરકારે પણબાળકો પાસેથી શીખ લઈ માતા તરીકે પૂજાતી ગાયોને બચાવવા માટે સહાય આપે તેવી અપીલ કરી હતી.

સહાય આપનાર બાળક પંચાલ યસ્વીએ જણાવ્યું હતું કે અમે ગાયો માટે દાન આપવામાં અહીંયા આવ્યા છીએ  સરકારને વિનંતી છેકે ગાયોને દાન આપે ગાયો ભૂખે મરે છે કોરોના કાળમાં તો આવક બી બંદ છે લોકો કઈ રીતે દાન આપે સરકાર ને વિનંતી છે કે ગાયોને થોડી મદદ કરે તો બીજી બાજુ ગૌશાળાના સંચાલકો પણ બાળકોની ગાય માતા પ્રત્યેની ભાવના અને દાન આપવાની રીતે જોઈને લાગણીસભર બન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news