ફેફસાંમાં કોરોનાનું ૮૦ ટકા ઈન્ફેક્શન હતું: ૧૫ દિવસ બાયપેપ પર રહીને કોરોનાને મ્હાત આપી

કોવિડ વોર્ડમાં જમવાથી લઈને સમયસર દવા, ગરમ પાણી જેવી તમામ સુવિધા મળી. પરિવારજનો સાથે વિડીયો કોલ મારફતે મારા સ્વાસ્થ્યની રોજેરોજની માહિતી મળતી હોવાથી પરિવારને પણ સિવિલ હોસ્પિટલ પર વિશ્વાસ હતો.

ફેફસાંમાં કોરોનાનું ૮૦ ટકા ઈન્ફેક્શન હતું: ૧૫ દિવસ બાયપેપ પર રહીને કોરોનાને મ્હાત આપી

સુરત: કોરોના વાયરસ (Coronavirus) ના નવા સ્ટ્રેઈનથી સંક્રમિત થનાર કેટલાય વ્યક્તિઓ કોરોનાને હળવાશથી લઈ રહ્યાં છે, જે ક્યારેક જોખમી સાબિત થાય છે. ઘણાં દર્દીઓ પણ સ્વીકારે છે કોરોનાના લક્ષણો હોવા છતાં તેમણે તાત્કાલિક સારવાર લેવામાં બેદરકારી દાખવી હતી. આ જ પ્રકારનો કિસ્સો સુરત (Surat) ના પાંડેસરા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષિય ધર્મેન્દ્રભાઈ યાદવનો છે. નવી સિવિલમાં કોરોના સામે ૩૪ દિવસનો સંઘર્ષમય જંગ ખેલી વિજયી બન્યાં બાદ ઘરે પરત ફર્યા ત્યારે તેમની અને પરિવારની ખુશીનો પાર ન હતો. 

કોરોનાના લક્ષણો અંગે ખ્યાલ હોવા છતાં તેમણે બેદરકારી દાખવી હોવાનું સ્વીકારે છે અને કહે છે કે 'ગત માર્ચ મહિનાના અંતમાં તાવ આવતા પ્રાઈવેટ હોસ્પિટલ (Hospital) માં રિપોર્ટ કરાવ્યો તો ડેન્ગ્યું જણાયો, જેની સારવાર-દવા લીધી પણ શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો હોવા છતાં કોવિડ ટેસ્ટ (Covid Test) કરાવવામાં મેં બેદરકારી દાખવી. જેના પગલે મારી તબિયત વધુ બગડી અને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારે પરિવારે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવિલમાં દાખલ કર્યો.

પાંડેસરા (Pandesar) ના ભેસ્તાન આવાસમાં રહેતાં ધર્મેશ આગળ જણાવે છે કે, સિવિલમાં એડમિટ થયો ત્યારે ફેફસાંમાં ૮૦ ટકા ઈન્ફેક્શન લાગી ચૂક્યું હતું. સિવિલના તબીબો મારા માટે ઈશ્વરીય દૂત બનીને આવ્યાં અને સમયસરની સારવાર આપી જે મારા માટે સંજીવની સમાન બની. આજે ૩૪ દિવસની લાંબી સારવાર બાદ સ્વસ્થ થયો તેનો સંપૂર્ણ શ્રેય સિવિલ હોસ્પિટલના તબીબોને જાય છે એમ તેઓ ગર્વથી કહે છે.

કોવિડ વોર્ડમાં જમવાથી લઈને સમયસર દવા, ગરમ પાણી જેવી તમામ સુવિધા મળી. પરિવારજનો સાથે વિડીયો કોલ મારફતે મારા સ્વાસ્થ્યની રોજેરોજની માહિતી મળતી હોવાથી પરિવારને પણ સિવિલ હોસ્પિટલ પર વિશ્વાસ હતો, અને એ વિશ્વાસ આજે સાર્થક નીવડ્યો છે. ૩૪ દિવસની સારવારમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ મને પરિવારજન સમાન ગણીને સેવા કરતાં. કોવિડ વોર્ડમાં તેમના ઉમદા વર્તનની અનૂભુતિ થઈ. દરરોજ સમયસર જમવાનું આવતું, પાણી, નાસ્તો, દવા પરિવાર સાથે વિડીયો કોલથી વાત કરાવવી આ બધી કાળજી રાખવામાં આવતી એમ તેઓ જણાવે છે.

સ્ટેમસેલ બિલ્ડીંગમાં ફરજ પરના રેસિડન્ટ ડો.સંદિપ કાકલોતરે જણાવ્યું કે, 'ધર્મેન્દ્રભાઈ (Dharmendra) સિવિલમાં દાખલ થયા ત્યારે ગંભીર હાલતમાં હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ હતો અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટીને ૬૦ ટકા જેટલું જ મેઈન્ટેઈન રહેતું હતું. એટલે ICU વોર્ડમાં બાયપેપ પર શિફ્ટ કરી સારવાર શરૂ કરી. શારીરિક નબળાઈ સાથે તેમને હ્રદયના ભાગે દુ:ખાવો થતા સિટી સ્કેન કરાવ્યું, જેમાં ૮૦ ટકા કોરોનાનું ઈન્ફેક્શન નોંધાયું. 

૧૫ દિવસ સતત બાયપેપ મશીન પર રાખી સારવાર આપ્યા બાદ તબિયતમાં સુધાર જણાતા જનરલ વોર્ડમાં ઓક્સિજન પર શિફ્ટ કર્યા. ધર્મેન્દ્રભાઈની સારવારમાં સરકારની ગાઈડલાઈન મુજબ રેમડેસિવિરના ડોઝ અને લોહી જામી જવાથી લોહી પાતળું કરવાના પણ ઈન્જેક્શન અપાતા. સારવાર દરમિયાન તમામ પ્રકારની કાળજી લેવાતા કોરોનાની લાંબી લડાઈમાં અંતે કોરોનાથી મુક્ત કરવામાં અમને સફળતા મળી છે. સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તા.૨૭મી એપ્રિલે ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં.'

સિવિલ હોસ્પિટલના હજ્જારો દર્દીઓની સેવા કરનાર ડો.અશ્વિન વસાવા, ડો. ભૂમિકા, ડો. ગ્રિનીશ, ડો.એકતા સહિતની ટીમ અને નર્સિંગ સ્ટાફના અથાગ પ્રયાસોથી ધર્મેન્દ્રભાઈ સુખરૂપ સ્વગૃહે પરત ફર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news