‘બીટ ધ પ્લાસ્ટીક પોલ્યુશન’ થીમ: હવે પ્લાસ્ટિક બોટલ આપશો તો એક રૂપિયો મળશે

હાલ આવી બોટલ માટે બોટલ દીઠ ૩૦ પૈસા વળતર તેમને મળે છે તેમાં વધારો થઇને ૧ રૂપિયો મળતો થશે.  આવા RVMમાં બોટલ્સ નાખનારી વ્યકિતને પણ રૂ. ૧ નું વળતર મળશે. 

‘બીટ ધ પ્લાસ્ટીક પોલ્યુશન’ થીમ: હવે પ્લાસ્ટિક બોટલ આપશો તો એક રૂપિયો મળશે

ગાંધીનગર: વપરાશયુકત બધા જ પ્લાસ્ટીકનું રિસાયકલીંગ કરીને પ્લાસ્ટીકથી થતું પ્રદૂષણ નિવારવાની દિશામાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિસાયકલ દ્વારા પર્યાવરણ બગડે નહિ તેમજ વિકાસની ગતિવિધિ સાથે પ્રદૂષણ નિયંત્રણનું પણ સંતુલન રાખવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓની ઉપસ્થિતીમાં મહાત્મા મંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસે યોજાયેલ ‘બીટ ધ પ્લાસ્ટીક પોલ્યુશન’ થીમ આધારિત પરિસંવાદને ખૂલ્લો મૂકયો હતો.

મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિએ સમષ્ટિના કલ્યાણ અને સૃષ્ટિના તમામ જીવો, વ્યવસ્થાનો વિચાર કરીને જીવન પધ્ધતિ વિકસાવી છે તેની છણાવટ કરી હતી. આપણી સંસ્કૃતિમાં ધરતીને માતા, નદીને લોકમાતા, દરિયાને દેવ તરીકે પૂજીને વહેવારો-તહેવારોને પર્યાવરણ સાથે જોડીને ઉજવવાની પરંપરાથી બેલેન્સ જળવાયું છે. આમ છતાં વિકાસના વધતા વ્યાપ સાથે પર્યાવરણ જાળવણી નિતાંત આવશ્યકતા બની છે તેમ જણાવતાં પ્લાસ્ટીકથી થતા પ્રદૂષણને નાથવાના ઉપાયો આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું યજમાન ભારત બન્યું છે ત્યારે ગુજરાત પણ પ્લાસ્ટીકના પ્રદૂષણને દૂર કરવાના અનેક ઉપાયો નવિન અભિગમો સાથે અગ્રેસર રહેવાનું છે. આ અંગેની રાજ્ય સરકારની કેટલીક નક્કર યોજનાઓની પણ આ તકે ઘોષણા કરી હતી.

પ્લાસ્ટીક બોટલ્સના રિસાયકલીંગ માટે રિવર્સ વેન્ડીગ મશીન:- 
મુખ્યમંત્રીએ પર્યાવરણ જાળવણીથી સમૃધ્ધિ યોજના અંતર્ગત રાજ્યમાં પાણી, ઠંડા પીણા વગેરેની PET-પ્લાસ્ટીક બોટલ્સના રિસાયકલીંગ માટે રાજ્યભરમાં મોટાપાયે રિવર્સ વેન્ડીગ મશીન RVM લગાવવાની જાહેરાત કરી હતી. હાલ આવી બોટલ માટે બોટલ દીઠ ૩૦ પૈસા વળતર તેમને મળે છે તેમાં વધારો થઇને ૧ રૂપિયો મળતો થશે.  આવા RVMમાં બોટલ્સ નાખનારી વ્યકિતને પણ રૂ. ૧ નું વળતર મળશે. તેમણે ઉમેર્યુ કે, આ યોજના માટેના ટેન્ડરીંગ અને વહિવટી પ્રક્રિયા એક સપ્તાહમાં કરી દેવાશે. આ નવતર અભિગમને પરિણામે પ્લાસ્ટિક પ્રદૂષણ નિયંત્રીત થશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. 

પ૦ માઇક્રોનથી ઓછી જાડાઇની પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ-વપરાશ સદંતર બંધ થાય તે માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્યમંત્રીએ આ માટે ઉત્પાદકોને વિશ્વાસમાં લઇ વિન-વિન સ્થિતી નિર્માણ કરવાના હેતુસર તલસ્પર્શી અભ્યાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરીને નિર્ણય કરવાનો સંકેત આપ્યો હતો. અમદાવાદ મહાનગરને એર પોલ્યુશનથી મૂકત કરવા આ હવા પ્રદૂષણના કારણો એક ઉચ્ચકક્ષાની સમિતી બનાવી એક મહિનામાં અહેવાલ આપવા પણ તેમણે સુચવ્યું હતું. 

મુખ્યમંત્રીએ પ્લાસ્ટિક હટાવ-પર્યાવરણ સ્વચ્છતા અભિયાન સમગ્ર રાજ્યમાં પાંચમી જૂનથી ૧૧મી જૂન સુધી યોજવાની જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્યના તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા મથકો સહિત ૪૦૦ ઉપરાંત નગરોમાં અને તેની ર કિલો મીટરની પેરીફેરીમાં આ અભિયાન વ્યાપક સ્વરૂપે હાથ ધરાશે. તેમણે કહ્યું કે, આવા કચરાનું યોગ્ય રિસાયકલીંગ, રિયુઝ અને જે પૂન:વપરાશ યુકત ન હોય તેનો નિકાલ એમ ત્રિવિધ વિષયો પર ફોકસ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news