રાજ્યમાં રોગચાળાએ ભરડો લીધો, આંખો આવવાના કેસમાં ધરખમ વધારો, પાણી અને મચ્છરજન્ય કેસ પણ વધ્યાં

રાજ્યમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા સાથે એક નવી જ બિમારીએ એન્ટ્રી કરી છે. આ બિમારી મોટા લોકો તો ઠીક નાના બાળકોને વધુ શિકાર બનાવી રહી છે. ત્યારે ક્યો છે આ રોગ જોઈએ આ અહેવાલમાં... 
 

રાજ્યમાં રોગચાળાએ ભરડો લીધો, આંખો આવવાના કેસમાં ધરખમ વધારો,  પાણી અને મચ્છરજન્ય કેસ પણ વધ્યાં

અમદાવાદઃ રાજ્યમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગએ માજા મુકી છે. ત્યારે આ બધાની વચ્ચે લોકોમાં આંખ આવવાની એટલે કે કન્જકટીવાઈટિસની સમસ્યા ખૂબ વધી છે. સામાન્ય રીતે આ સમસ્યા નાના બાળકોમાં વધારે જોવા મળી રહી છે. તબીબો દ્વારા એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, કોરોનાની અસર દરમિયાન જેમણે સ્ટીરોઇડ લીધા હોય એમને કન્જકટીવાઈટિસ વાયરસ જલદી ઇન્ફેક્શન કરતા હોય છે.

રાજ્યના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં હાલમાં છેલ્લા પંદરેક દિવસથી કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે આ દર્દને ઓળખવામાં આવે છે, જેમાં આંખો લાલ થવા સાથે આંખમાં સમસ્યા રહેતી હોય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં જ 12થી વધુ કન્જકટીવાઈટિસના દર્દીઓ નોંધાયા છે. તો વડોદરા સિવિલમાં પણ દરરોજના 200થી વધુ આવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે હાલ રાજ્યમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે. 

હાલ રાજ્યમાં કન્જકટીવાઈટિસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આ રોગથી બચવા માટે ખાસ કાળજી રાખવી જરૂરી છે. ત્યારે શું ધ્યાન રાખવાની જરૂર છે તેના પર એક નજર કરીએ તો સૌથી પહેલાં વ્યક્તિગત સ્વચ્છતા રાખવી, હાથ અને મોં સાબુથી સમયાંતરે ધોતા રહેવું, ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું, આંખમાં લાલાશ લાગે તો ડૉક્ટર પાસે જવું, ડૉક્ટરની સલાહ વગર આંખના ટીપાં નાંખવા નહી. ટીપાં નાંખતા પહેલા અને પછી હાથ ધોવા, આંખો પર બને તે ચશ્મા પહેરી રાખવા, આંખમાં આંસુ આવે તો ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવો, આંખ લૂછીને ટીશ્યુ પેપર ડસ્ટબિનમાં ફેંકવું, દર્દીની વપરાશની તમામ વસ્તુ અલગ રાખવી, દર્દીએ બને ત્યાં સુધી અન્યના સંપર્કમાં ન આવવું.

વીઓ. રાજ્યમાં આંખ આવવાની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી સહિતના રોગમાં છેલ્લા 15 દિવસમાં જ 10 બાળકોના મોત થઈ ચુક્યા છે. તો અમદાવાદ અને વડોદરામાં પણ પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે. જેમાં અમદાવાદમાં ચાલુ માસમાં જ સિવિલમાં ઝાડા ઉલ્ટીના 773 કેસ નોંધાઈ ચુક્યા છે. 

રાજ્યમાં જે રીતે કન્જકટીવાઈટિસની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાનું આરોગ્ય ખાતુ પણ સક્રિય થયુ છે અને શહેરના વિવિધ ઝોનમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે મેગા ફોગિંગ ઝુંબેશ શરૂ કરી છે. 

રાજ્યમાં જે રીતે કન્જકટીવાઈટિસ કેસ વધી રહ્યા છે, તેમાં સૌથી વધુ નાના બાળકો જ શિકાર બની રહ્યા છે. ત્યારે હાલના વરસાદી વાતાવરણમાં માતા-પિતાએ પોતાના બાળકોની સાથે સાથે પોતાની પણ ખાસ કાળજી રાખવી જરૂરી બની છે. જો માતા-પિતા ધ્યાન રાખશે તો જ બાળકો સુરક્ષિત રહી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news