અડધી પીચે રમનારા પૂર્વ મુખ્યમંત્રીએ અંબાજીમાં કહ્યું, 'મેદાનમાં ઉતારશે તો રમીશું'

માં અંબાના દર્શન બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતાં આગામી વિધાનસભાની ચૂંટણી લડવાને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ચૂંટણી પહેલાં તેમનું આ નિવેદન ખૂબ જ મહત્વ ધરાવે છે.

અડધી પીચે રમનારા પૂર્વ મુખ્યમંત્રીએ અંબાજીમાં કહ્યું, 'મેદાનમાં ઉતારશે તો રમીશું'

પરખ અગ્રવાલ, અંબાજી: રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ભાજપ, કોગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી દિલ્હીથી પીએમ મોદી તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સતત ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. તેમજ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ મંદિરોની મુલાકાત અચૂક લે છે. અને ભગવાન આર્શિવાદ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ છે જનતા તેમના પર કેટલા આર્શિવાદ વરસાવે છે. 

ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની અંજલિબેન સાથે આજે સવારે શક્તિપીઠ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે અંબાજી માતાના દર્શન કર્યા હતા. સાથે જ તેઓએ આરતીમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો અને નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના પૂજારી દ્વારા વિજય રૂપાણીને કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી હતી. અંબાજી મંદિરના પૂજારીએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને માતાજીનું શ્રી યંત્રની ભેટ અર્પણ કરી હતી. મંદિરમાં દર્શન બાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) August 20, 2022

માં અંબાના દર્શન બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતાં આગામી વિધાનસભાની ચૂંટણી લડવાને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ચૂંટણી પહેલાં તેમનું આ નિવેદન ખૂબ જ મહત્વ ધરાવે છે. સતત લોકમુખે ચર્ચાનો વિષય રહ્યો છે કે શું પૂર્વ મુખ્યમંત્રી ચૂંટણી લડશે કે કેમ? ત્યારે સમગ્ર ચર્ચા પર પૂર્ણવિરામ મુકતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પાર્ટી કહેશે એમ હું કરીશ, પાર્ટી જ્યાં ચૂંટણી લડાવશે ત્યાંથી ચૂંટણી લડીશ, ના પાડશે તો નહી લડું. 

તેમણે આગળ વાત કરતાં વિજયભાઈ રૂપાણીએ ગતરાત્રિએ રાજસ્થાનમાં બનેલી અકસ્માતની ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. અકસ્માતમાં ભોગ બનનાર દાંતાના કુકડી ગામના હોઈ મૃતકોની આત્માને શાંતિ મળે ઇજાગ્રસ્તો જલદી સાજા થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે  2021માં બીજેપીના નેતૃત્વએ વિજય રૂપાણીની વિરુદ્ધ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારની પકડ ઢીલી પડી રહી છે અને કામકાજને લઇને રૂપાણી સરકારની છાપ નબળી પડી રહી છે. જેને પગલે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને રાજ્યને નવા મુખ્યમંત્રીના રૂપમાં ભૂપેન્દ્રભાઇ પટેલ મળ્યા હતા. ત્યારે જોવાનું એ રહ્યું કે કે શું ભાજપ સરકાર ફરી વિજય રૂપાણીને ટિકીટ આપશે કે કેમ? કારણ કે આ પ્રશ્ન એટલા માટે મહત્વનો બની જાય છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી 65 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે. ભાજપ યુવા ચહેરાઓને રાજકારણમાં તક આપે છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિવેદન આપી પાર્ટીને ખો આપી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news