આ 15 જિલ્લામાં ગુજરાત સરકારે બે વર્ષમા એક પણ સરકારી નોકરી ન આપી

આ 15 જિલ્લામાં ગુજરાત સરકારે બે વર્ષમા એક પણ સરકારી નોકરી ન આપી
  • બેરોજગારીના આંકડાના માયાજાળમા અટવાઈ ગુજરાત સરકાર, બેરોજગારોનો આંકડો આપ્યા કરતા કંઈક મોટો છે 
  • રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત ૩.૫ ટકાના સૌથી ઓછી બેરોજગારી દર સાથે દેશમાં રોજગારી આપવામાં મોખરે છે. આ ઉપરાંત તાજેતરના બજેટમાં નોકરીની જાહેરાતો કરાઈ હતી. પણ લાગે છે કે રાજ્ય સરકારના આ દાવા પોકળ સાબિત કરવા માટે ગૃહમાં રજૂ કરાયેલા બેરોજગારીની આંકડા પૂરતા છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાના સત્રમાં જે આંકડા આપવામા આવ્યા છે તે ચોંકાવનારા છે. રાજ્યમાં આજે પણ લાખો યુવાનો આજે પણ શિક્ષિત બેરોજગાર (unemployment) છે. 
 
10 વર્ષીય ભરતી કેલેન્ડરના આંકડા સાવ વિપરિત
કોગ્રસના ધારાસભ્યોએ પુછેલા સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં આંકડા અનુસાર, ​રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં  માત્ર 1777 બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને 15 જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. 

સરકારી ભરતી અટકી પડી છે 
સરકાર ભલે ઓન પેપર બેરોજગારીનો આંકડો દર્શાવતી હોય, પણ હકીકત તો એ છે કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં અનેક વિભાગોમાં સરકારી ભરતી (government jobs) અટકી છે. પરીક્ષાના વિવાદ તથા પરીક્ષામાં અનિયમિતતાને કારણે આ ભરતી અટકી પડી છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં એકપણ વ્યક્તિને સરકારી રોજગારી આપવામાં આવી નથી. શિક્ષિત બેરોજગારોની સંખ્યા અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૩૦ હજાર ૧૯૨ છે. આ સાથે અમદાવાદમાં ૩ હજાર ૮૭૧ અર્ધ શિક્ષિત બેરોજગારો છે. જેમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી ૯૦ હજાર ૭૪૯ને ખાનગી રોજગારી પૂરી પાડવામાં આવી . પરંતુ એકપણને સરકારી રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા બે વર્ષમાં ભાવનગરમાંથી સૌથી વધુ ૨૭૬, મહેસાણામાંથી ૨૪૮, બનાસકાંઠામાંથી ૧૮૦, ગીર સોમનાથમાંથી ૧૭૩ને સરકારી રોજગારી આપવામાં આવી.

સરકાર કહે છે કે, ઓછી બેરોજગારીમાં ગુજરાત આગળ 
બેરોજગારીના આંકડા સામે છે, છતા પણ ગુજરાત ૩.૫ ટકાના સૌથી ઓછી બેરોજગારી દર સાથે દેશમાં રોજગારી આપવામાં મોખરે છે તેવો સરકારનો દાવો છે. ત્યારે આ ટકાવારી બેરોજગારીના આંકડાથી સાવ વિપરીત છે. આંકડા બતાવે છે કે, સરકારી દાવા સાવ પોકળ સાબિત થયા છે. 

આ કંપનીઓએ રોજગારી ન આપી, છતા કોઈ પગલા ન લેવાયા 
સાથે જ વિધાનસભા સત્રમાં વર્ષ 2019 માં અમદાવાદ શહેર અને જિલ્લાની 20 કંપનીઓએ સ્થાનિક બેરોજગારોને રોજગારી ન આપી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેમા અનેક કંપનીઓના નામ છે. જેમાં અરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ઓએનજીસી, સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશન, મેટસો મિનરલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, શ્રીપ્રીફેબ સ્ટીલ, ફોર્ડ ઈન્ડિયા લિમિટેડ, નિવ્યા ઈન્ડિયા લિમિટેડ, કોલગેટ પામોલીવ, હોન્ડા મોટર્સ, સુઝીકી મોટર્સ, ઈન્ડિયન એક્સપેલર વર્કસ, ટેકનો ઈન્ડસ્ટ્રીઝ, વાલેઓ ઈન્ડિયા, એઆઈએ એન્જિનિયરીંગ, ડાયમંડ ટેક્સટાઇલ્સ, ગ્રાઝીયા ટ્રાન્સમિશન, કોમલ ટેક્સફેબ, સુશેન મેડી, અને લા ગજ્જર મશીનરીએ સ્થાનિક બે રોજગારોને રોજગાર ન આપ્યો.  
સરકારે પણ આ મામલે કોઈ એક્શન ન લીધું. માત્ર પત્ર પાઠવી સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવા ધ્યાન દોરી સંતોષ માન્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news