ગુજરાતના કેબિનેટ મંત્રી પર પૂર્વ સંરપંચનો આરોપ, કહ્યું; 'મારી પત્ની પર અનેકવાર દુષ્કર્મ કર્યું'

મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે ખેડા એસપી કચેરીએ પહોંચીને કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર દુષ્કર્મની અરજી નોંધાવી હતી.

ગુજરાતના કેબિનેટ મંત્રી પર પૂર્વ સંરપંચનો આરોપ, કહ્યું; 'મારી પત્ની પર અનેકવાર દુષ્કર્મ કર્યું'

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય એક મોટા વિવાદના મઘપૂડામાં ફસાયા છે. મહેમદાવાદના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર દુષ્કર્મનો આક્ષેપ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર એક મહિલાના પતિએ દુષ્કૃત્ય કર્યાનો આક્ષેપ કર્યો છે. મહિલાના પતિ એવા પૂર્વ સરપંચે ખેડા એસપી કચેરી પહોંચીને પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, અર્જુનસિંહ ચૌહાણ જ્યારે ભાજપ જિલ્લા પ્રમુખ હતા, ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરીને મારી પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. અરજીમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, મંત્રીના ભયના કારણે મારી પત્ની ઘર છોડીને જતી રહી છે. મારી પત્ની 2 મહિના અગાઉ ઘર છોડી પુના બાજુના કોઈ ગામમાં જતી રહી હોવાનું પૂર્વ સરપંચે જણાવ્યું હતું. આ મુદ્દે જ્યારે Zee 24 કલાકે મંત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમને કોઈ રિપ્લાય આપવાનું ટાળ્યું હતું. 

પૂર્વ સરપંચના આક્ષેપો
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે ખેડા એસપી કચેરીએ પહોંચીને કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર દુષ્કર્મની અરજી નોંધાવી હતી. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, અર્જુનસિંહ અને તેમની પત્ની 2015માં પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ અર્જુનસિંહે તેમની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી. 2016થી 2021 દરમિયાન પૂર્વ સરપંચની પત્ની સાથે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, બીજા પાસે પણ શોષણ કરાવ્યું હતું.

પત્ની બે મહિના પહેલા ઘર છોડી જતી રહી
પૂર્વ સરપંચે અરજીમાં અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, કોરાના સમયે પણ પત્નીને દોઢ મહિના સુધી ગોંધી રાખી હતી. બીજી તરફ પતિના ધ્યાન પર સમગ્ર વાત આવતાં તેમણે પોલીસ ફરિયાદ કરવા પત્ની પર દબાણ કર્યું હતું. જોકે, મંત્રીથી ડરી ગયેલી પત્ની બે મહિના પહેલા ઘર છોડી જતી રહી હોવાનો આક્ષેપ પૂર્વ સરપંચે કર્યો છે. 

જુદા-જુદા સ્થળે શારીરિક શોષણ કર્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અર્જુનસિંહ ચૌહાણે મારી પત્નીને મીટિંગોના બહાને જુદા-જુદા સ્થળે બોલાવતા હતા, ત્યારબાદ તેમનું શારીરિક શોષણ કરતા હતા. એટલું જ નહીં, મારી પત્નીને ધાક ધમકી આપીને અન્ય વગદાર લોકો પાસે પણ મોકલવામાં આવતી હતી અને તેનું શારીરિક શોષણ થતું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news