Road Accident: તથ્ય જેવા તત્ત્વો હજુ બેફામ! નશામાં ધૂત નબીરો 5 વાહનોને અડફેટે લઈ ફરાર

સતત બીજા દિવસે ગુજરાતમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવતા દારૂબંધી સામે સવાલો ઉભા થયા છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં રાજ્યમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સામે આવી રહ્યા છે. તો શું આ નબીરાઓ પાતાળમાંથી દારૂ શોધીને લાવતા હશે.

Road Accident: તથ્ય જેવા તત્ત્વો હજુ બેફામ! નશામાં ધૂત નબીરો 5 વાહનોને અડફેટે લઈ ફરાર

નવસારીઃ અમદાવાદના એસજી હાઈવે પર આવેલાં ઈસ્કોન બ્રિજ પરના અકસ્માતો ગુજરાત સહિત દેશભરમાં સનસનાટી મચાવી દીધી હતી. આ કેસનો આરોપી તથ્ય પટેલ એક મોટા બાપનો નબીરો હતો. હાલ તે અને તેનો બાપ જેલમાં છે અને પીડિત પરિવારો તેને સજા અપાવવા કાયદાની લડત લડી રહ્યાં છે. પણ તથ્ય જેવા બીજા તત્ત્વો હજુ પણ બેફામ થઈને ફરી રહ્યાં છે. હાલમાં જ નડિયાદમાં આવો જ એક અકસ્માત જોવા મળ્યો હતો. નડિયાદ બાદ હવે નવસારીમાં નશામાં ધૂત નબીરાએ બેફામ ગતિએ કાર ચલાવીને વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. કારમાંથી દારૂની બોટલ મળી આવ્યા બાદ હાલ પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.   

નશામાં ધૂત NRI કારચાલકે નવસારીમાં એકસાથે 5 વાહનોને લીધા અડફેટે, નબીરો કાર મૂકીને રફુચક્કર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં અકસ્માતના સીસીટીવી ફૂટજ મળી આવ્યાં છે. જેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. આ નબીરાએ બે કાર અને 3 બાઈકને અડફેટે લીધી હતી. એટલું જ નહીં આ એનઆરઆઈ નબીરાની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. ખત્રીવાડ વિસ્તારમાં ગતરાત્રે નબીરાએ સર્જ્યો અકસ્માત.

નવસારીના જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તાર ગઈકાલે રાતે બલેનો કારચાલકે બેફામ કાર હંકારીને પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. મોડી રાત્રે અકસ્માતનો અવાજ સંભળાયા બાદ લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક કાર મૂકીને જ ફરાર થઈ ગયો હતો. 

સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત કરનાર કાર ચાલક NRI હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

સતત બીજા દિવસે ગુજરાતમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવતા દારૂબંધી સામે સવાલો ઉભા થયા છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં રાજ્યમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સામે આવી રહ્યા છે. તો શું આ નબીરાઓ પાતાળમાંથી દારૂ શોધીને લાવતા હશે, જો નબીરાઓને દારૂની બોટલો મળી જતી હોય તો, પોલીસને દારૂ વેચનારા બુટલેગરની કેમ જાણ નથી હોતી તે પણ એક મોટો સવાલ છે. આ પ્રકારના ઘટનાઓ બાદ સૌથી મોટો સવાલ એ થાય કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે ખરી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news