અચાનક આવી ચઢેલા માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી, કપાસ-મગફળી-ડુંગળી પલળી ગઈ

રાજકોટ જિલ્લાના જેતપુરના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. પહેલા અતિવૃષ્ટિ અને હવે કમોસમી વરસાદનો માર. કચ્છ, મોરબી, દ્વારકા, ભાવનગર રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં માવઠું ગઈકાલે માવઠુ પડ્યુ હતું. જેમાં ખેડૂતો તેમજ વેપારીઓની મગફળી અને કપાસ અને અન્ય પાકને નુકસાન પહોંચ્યુ છે.

અચાનક આવી ચઢેલા માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી, કપાસ-મગફળી-ડુંગળી પલળી ગઈ

નરેશ ભાલિયા/રાજકોટ :રાજકોટ જિલ્લાના જેતપુરના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. પહેલા અતિવૃષ્ટિ અને હવે કમોસમી વરસાદનો માર. કચ્છ, મોરબી, દ્વારકા, ભાવનગર રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં માવઠું ગઈકાલે માવઠુ પડ્યુ હતું. જેમાં ખેડૂતો તેમજ વેપારીઓની મગફળી અને કપાસ અને અન્ય પાકને નુકસાન પહોંચ્યુ છે.

યાર્ડમાં રાખેલી મગફળી, ડુંગળી પલળી ગઈ 
અતિવૃષ્ટિમાં ખેડૂતોના ઉભા પાકનું ધોવાણ થયું હતું અને જે બચેલો પાક હતો તેને તૈયાર કરીને જેવો માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવ્યો તો ત્યાં કમોસમી વરસાદે પલાળી નાંખ્યો. આમ અનેક ખેડૂતોને મોટું નુકસાન કર્યું, ગત રાત્રિના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં જેતપુરના માર્કેટિંગ યાર્ડમાં વરસાદે મોટી નુકસાની કરી છે. યાર્ડમાં વેચવા માટે લાવેલ મગફળી, ડુંગળી જેવી જણસીઓ પલળી ગઈ છે. વરસાદી પાણીમાં મોટાપાયે નુકસાન થયું છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બોરીઓ પલળી ગઈ હતી. જેમાં ખેડૂતો અને વેપારીઓની મગફળીને મોટું નુકસાન થયું છે. લાખો રૂપિયાની મગફળી કમોસમી વરસાદમાં પલળી ગઈ છે, સાથે જ યાર્ડમાં રાખવામાં આવેલ ડુંગળી પણ પલળતા ખેડૂતોની હાલત દયનીય થઇ છે. હાલ તો ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટા જેવી બની છે. કારણ કે પ્રથમ અતિવૃષ્ટિમાં તૈયારી ઉપર આવેલ પાક તણાઈ ગયો અને હવે કમોસમી વરસાદે તૈયાર પાકને ધોઈ નાંખ્યો. 

ધોરાજી યાર્ડમાં ખેડૂતોને મોટુ નુકસાન 
કમોસમી વરસાદથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં લાખોનું  નુકસાન થયું છે. અચાનક વરસેલા વરસાદમાં યાર્ડમાં પડેલ મગફળી, કપાસ, તલ અને ડુંગળી પલળી ગઈ છે. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેડૂતો અને વેપારીઓની મગફળી, કપાસ, તલ અને ડુંગળી પલળતા મોટું નુકસાન થયું છે. યાર્ડમાં આવેલ મગફળી અને ડુંગળીની બોરી પલળી જતા ખેડૂતો ટેન્શનમાં આવી ગયા છે. ધોરાજી યાર્ડ દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા ના હોય ખેડૂત અને વેપારીઓને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. યાર્ડમાં ખેડૂતોનો પાક રાખવા કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનો પાક પલળી ગયો હતો. 

ભાવનગરમાં પણ વ્યાપક નુકસાનની ભીતિ
ભાવનગર જિલ્લામાં માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકશાન થાય એવી શક્યતા છે. જ્યારે ખેડૂતો જ્યાં પોતાની જણસ વેચાણ માટે લઈને આવે છે અને જ્યાં કપાસ, મગફળી અને અનાજ સહિતનો પુષ્કળ માલ એકત્ર થાય છે એવા જિલ્લાના એક પણ માર્કેટયાર્ડને માવઠાની અસર નથી થઈ એ ખૂબ સારી બાબત છે. ચોમાસા દરમ્યાન અતિભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો, હવે જ્યારે ચોમાસાએ વિદાય લઈ લીધી છે, એવા સમયે જ જિલ્લાના મહુવા અને જેસર તાલુકા પંથકમાં વાદળો ઘેરાતા વાતાવરણમાં આવેલા પલટાના કારણે માવઠું થયું હતું. ખેતરોમાં પાક તૈયાર થયો છે અને ત્યારે જ ફરી માવઠું થતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હાલ ખેડૂતો તૈયાર પાકની કાપણી અને લણણી કરી રહ્યા છે, અને એવામાં વાતાવરણમાં પલટો આવતાં અચાનક વરસાદ વરસવાનો શરૂ થઈ જતાં વાડી ખેતરોમાં ખેડૂતોનો કપાસ, બાજરી, તલ અને મગફળી સહિતનો તૈયાર પાક પલળી ગયો હતો. હાલમાં ખેડૂતો પોતાના ખેતરો માથી તૈયાર પાક માર્કેટયાર્ડ ખાતે વેચાણ માટે લઈને આવી થયા છે, ત્યારે સારા ભાવો મળી રહે એવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news