ગુજરાતમાં જે કઈ થયું તે માટે ફક્ત CM વિજય રૂપાણી જવાબદાર: હાર્દિક પટેલ 

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર યૂપીના શખ્સ દ્વારા બળાત્કાર કરવાની જધન્ય ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

ગુજરાતમાં જે કઈ થયું તે માટે ફક્ત CM વિજય રૂપાણી જવાબદાર: હાર્દિક પટેલ 

અમદાવાદ: ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર યૂપીના શખ્સ દ્વારા બળાત્કાર કરવાની જધન્ય ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વિવિધ વિસ્તારમાં વસતા યૂપી બિહારના પરપ્રાંતીય લોકોને નિશાન બનાવવામાં આવ્યાં હોવાની ઘટનાઓ ઘટી છે.  હુમલા બાદ પરપ્રાંતીય લોકો ગુજરાત છોડીને જઈ રહ્યાં છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશસિંહ કુશવાહએ દાવો કર્યો હતો કે હાલની સ્થિતિને જોઇને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના લગભગ 20 હજાર લોકો ગુજરાત છોડીને નીકળી ગયા છે. આ મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો પણ થઈ રહ્યાં છે. પાસ નેતા હાર્દિક પટેલ પણ વારંવાર આ અંગે રાજ્યની ભાજપના નેતૃત્વવાળી સરકાર પર નિશાન સાંધે છે. આજે કરેલી એક ટ્વિટમાં તેણે ગુજરાતમાં જે કઈ સ્થિતિ સર્જાઈ તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને જવાબદાર ઠેરવ્યાં છે. 

— Hardik Patel (@HardikPatel_) October 12, 2018

હાર્દિક પટેલે જે કઈ થયું તે બદલ દુ:ખ વ્યક્ત કરીને આજે ટ્વિટ કરીને લખ્યું કે "દેશમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગુજરાતમાં 26 સાંસદ અને 99 ધારાસભ્ય ભાજપના છે. પોલીસ, આઈબી અને તમામ પ્રશાસનિક વિભાગ ભાજપના કંટ્રોલમાં છે. આમ છતાં ભાજપ જ્યારે જુઓ ત્યારે વારંવાર કોંગ્રેસનું જ નામ લે છે. ગુજરાતમાં જે કઈ થયું છે તેના માટે ફક્ત અને ફક્ત સીએમ વિજય રૂપાણી જ જવાબદાર છે." 

આ અગાઉ પણ હાર્દિકે ટ્વિટ  કરીને હુમલા પીડિતો માટે હેલ્પ લાઈન જણાવી હતી. ટ્વિટમાં લખ્યું હતું કે "અસામાજિક તત્વો ગુજરાતમાં મારા ઉત્તર ભારતીય પરિવારને મારપીટની ધમકી આપે તો તરત અમારા હેલ્પલાઈન નંબર પર ફોન કરો. આ હિંદુસ્તાન બંધારણથી ચાલે છે કોઈની મનમાનીથી નહીં. મારા દેશનું બંધારણ તમામ હિંદુસ્તાનીઓને કોઈ પણ પ્રદેશમાં રહેવાનો અધિકાર આપે છે. અતિથિ દેવો ભવ:". ટ્વિટમાં હાર્દિક પટેલે હેલ્પલાઈન નંબર આપ્યો હતો 9978520793.

બિહારી નેતા પપ્પુ યાદવ પણ આજે  ગુજરાતની મુલાકાતે
આ બાજુ જન અધિકાર પાર્ટીના પ્રમુખ અને બિહારથી સાંસદ પપ્પુ યાદવ ગુજરાતમાંથી ભગાડવામાં આવી રહેલા બિહારના લોકોના સપોર્ટમાં અને તેમનો જુસ્સો વધારવા હેતુ ગુજરાતમાં છે. તેમણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દુષ્કર્મ પીડિત બાળકીના પરિજનોની મુલાકાત કરી અને તેમણે તે પરિવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાય પણ કરી. 

પપ્પુ યાદવે આજે કહ્યું કે 'હવે સમય આવી ગયો છે કે નફરતનું રાજકારણ રમનારાઓ વિરુદ્ધ જંગ છેડવામાં આવે. દેશમાં સ્વાર્થ અને વોટબેંકના રાજકારણને લીધે બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ' હવે આવું રાજકારણ રમનારા લોકોને બિહારમાં ઘૂસવા નહીં દેવાયની ચેતવણી આપતા તેમણે કહ્યું કે 'બિહારમાં દલિત, મહાદલિત, સવર્ણ, પછાતના નામ પર રાજકારણથી છૂટકારો મળવો જોઈએ.'

પપ્પુ યાદવે પણ કર્યા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો
ઘટના બાદ બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો પર થયેલા હુમલા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ. તેમણે જણાવ્યું કે 'આ ઘટનાના જે પણ આરોપી છે તેમની પીડિતના ઘર વર્ષોથી અવરજવર હતી. તેની પણ તપાસ થવી જોઈએ કે આરોપની પાછળ કોઈ અંગત અદાવત કે પછી કોઈ અન્ય કારણ તો નથી.'

— Hardik Patel (@HardikPatel_) October 9, 2018

પપ્પુએ સવાલના અંદાજમાં કહ્યું કે ઘટના બાદ 3 દિવસ સુધી આરોપીનો વીડિયો અને હિંસાનો વીડિયો વાઈરલ થતો રહ્યો પરંતુ ઈન્ટરનેટ કેમ બંધ કરાવવામાં ન આવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના લોકો અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવવા માંગતા હતાં અને તેમાં સફળ ન થયા તો એક ષડયંત્ર હેઠળ તેમને બદનામ કરવામાં આવ્યાં. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર બિહારના કોંગ્રેસ સહપ્રભારી હોવાના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યાં. 

તેમણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પર નિશાન સાંધતા કહ્યું કે જો ઠાકોર સેનાની ભૂમિકા આ મામલે શંકાસ્પદ હોય તો પથી તેમના પર કાર્યવાહી કેમ ન કરાઈ? સાંસદે મુખ્યમંત્રીની ચૂપ્પી પર સવાલ પણ ઉઠાવ્યાં. આ મામલે ઉચ્ચસ્તરીય અને ન્યાયિક તપાસની માગ કરતા પપ્પુએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news