હાય હાય યે મોંઘવારી : વિકાસ તો માત્ર મોંઘવારીનો જ થયો, રોજ વપરાતી વસ્તુઓના આટલા વધ્યા ભાવ

Inflation Rising In India : મોંઘવારીમાં ભડકો... ક્યાં જઈને અટકશે જીવનજરૂરી ચીજવસ્તુઓમાં ભાવવધારો?.... અમૂલ દૂધમાં 13 મહિનામાં ત્રીજી વખત ભાવવધારો... ગરીબ, મધ્યમ વર્ગને રાહત કેમ નથી આપતી સરકાર?... મસાલાના ભાવમાં ભડકાથી ગૃહિણીઓનું બજેટ બગડ્યું... માવઠાંને કારણે શાકભાજી, કઠોળના ભાવ વધ્યા 

હાય હાય યે મોંઘવારી : વિકાસ તો માત્ર મોંઘવારીનો જ થયો, રોજ વપરાતી વસ્તુઓના આટલા વધ્યા ભાવ

Inflation In India : મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા પિસાઈ રહી છે. શાકભાજી, દૂધ, મસાલા અને ઈંધણના ભડકે બળતા ભાવ વચ્ચે સામાન્ય જનતાએ પોતાનાં બજેટ પર કાપ મૂકવાની ફરજ પડી છે. લોકો મોંઘવારીથી રાહત ઈચ્ચે છે, પણ થઈ રહ્યું છે તેનાથી ઉલટું.

ગરીબ અને મધ્યમવર્ગની આવક વધે કે ન વધે, પણ મોંઘવારી વધવાનું નક્કી છે. ચીજવસ્તુઓના ભાવ માટે વધારો શબ્દ નિયમ બની ગયો છે. ભાવમાં ઘટાડો દુર્લભ છે. હજુ તો જનતા મોંઘવારીના એક માર સામે માંડ ટેવાય ત્યાં બીજી વસ્તુના ભાવ વધી જાય છે. માવઠાંને કારણે શાકભાજી, ફળો અને મસાલાના ભાવમાં આગ લાગી હતી, ત્યાં અમૂલે ફરી દૂધના ભાવ વધારી દીધા.

અમૂલે 13 મહિનામાં ત્રીજી વાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલનું દૂધ લીટરે એકથી ત્રણ રૂપિયા સુધી મોંઘુ થતા ગરીબ અને મધ્યમવર્ગ વધુ ભીંસમાં આવ્યો છે. દૂધના ભાવ પણ ધીમે ધીમે પેટ્રોલની જેમ સદી તરફ આગળ વધી રહ્યા છે.

ઉનાળાની શરૂઆત થતા ગૃહિણીઓ આખા વર્ષ માટે મસાલા ભરતી હોય છે, ત્યારે મસાલાના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. ગૃહિણીઓએ આ વખતે મસાલાની એકસામટી ખરીદી પર ફરજિયાતપણે કાપ મૂકવો પડે તેમ છે. કેમ કે મસાલાના ભાવમાં 50 ટકાથી લઈને 200 ટકા સુધીનો વધારો થયો છે. આ ભાવવધારાનું કારણ માવઠું હોવાનું જણાવાય છે.

લાલ મરચું અને જીરાના ભાવમાં ગયા વર્ષ કરતા 50 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે પિસેલું મરચું 300થી 400 રૂપિયા કિલોના ભાવે મળતું હતું. જે આ વર્ષે 500થી 550  રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. કાશ્મીરી મરચું 550 રૂપિયાની જગ્યાએ 700 રૂપિયામાં અને રેશમપટ્ટો મરચું 400ની જગ્યાએ 550 રૂપિયામાં વેચાય છે. જીરાના ભાવ 200 રૂપિયા કિલોથી વધીને 400થી 450 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે. 

માવઠાંને કારણે શાકભાજીના ભાવ આસમાને છે, ત્યાં કઠોળના ભાવ પણ વધ્યા છે. કઠોળ અને દાળના ભાવમાં કિલો દીઠ 15થી 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જેના કારણે મધ્યમવર્ગની ખરીદી ઘટી છે.

આટલું ઓછું હોય તેમ પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે પરના ટોલ રેટ પણ વધારી દેવાયા. ટોલના રેટમાં 5 રૂપિયાથી 20 રૂપિયા સુધી થયેલા વધારાને કારણે મોંઘવારી હજુ વધે તેવી પ્રબળ શક્યતા છે. 

સીએનજી-પીએનજીના ભાવમાં પહેલી એપ્રિલથી ઘટાડો થવાની શક્યતા હતી. જો કે આમ ન થતા સીએનજી વાહનચાલકોની આશા ઠગારી નિવડી છે. ભાવ ક્યારે ઘટશે તે કોઈ જાણતું નથી. સરકાર તરફથી આ મોરચે કોઈ રાહત નથી મળતી..

લોકોએ હવે કોરોનાની જેમ મોંઘવારીનો પણ સ્વીકાર કરી લીધો છે. માવઠાંને કારણે કૃષિ જણસોના ભાવ વધે તો બીજા મોરચે લોકોને રાહત મળવી જોઈએ, પણ એવું નથી થતું. જે જનતાની કઠણાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news