IPL 2022 ની પ્લે ઓફની મેચ અમદાવાદમાં રમાય તેવી પ્રબળ શક્યતા, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત!

હાલ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઈટન્સની ટીમને પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યું છે. 17 થી 24 માર્ચ સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની ટીમ કેમ્પ કરશે. ત્યારબાદ તેઓ સીધા મુંબઈ જઈને IPL માં હિસ્સો લેશે. 

IPL 2022 ની પ્લે ઓફની મેચ અમદાવાદમાં રમાય તેવી પ્રબળ શક્યતા, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત!

અતુલ તિવારી/અમદાવાદ: IPL સિઝન 15ની પ્લે ઓફની 4 મેચ નરેદ્ર મોદી સ્ટેડિયમમાં રમવા અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાતની શક્યતા જોવામાં આવી રહી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અશોક બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે IPL ની પ્લે ઓફ માટે અમદાવાદને તક મળે એવી પુરી શક્યતાઓ છે. IPL ની 4 પ્લે ઑફના આયોજન માટે અન્ય શહેરો પણ રેસમાં છે, પણ BCCI આપણી લાગણી સમજશે એવી અપેક્ષા છે. જો 4 પ્લે ઓફની મેચ અમદાવાદને મળશે તો 50 ટકા દર્શકોને મેદાનમાં આવી મેચ નિહાળવાની તક પણ મળી શકે છે.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને જો 4 મેચો મળશે તો આર્થિક રીતે પણ મદદ મળી રહેશે. મેદાન નવું તૈયાર કરવામાં જે બેંકની લોન લીધી છે એ પણ ઝડપથી પુરી કરવામાં મદદરૂપ થઈ શકશે. બેંકોની 300 કરોડ રૂપિયાની લોનમાંથી હજુ 100 કરોડ રૂપિયા લોનની ઝડપથી ભરપાઈ કરવામાં સરળતા થઈ રહેશે. તો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું છે કે GCA પુરી રીતે IPL ની પ્લે ઓફ મેચો માટે તૈયાર છે. IPL ની 4 પ્લે ઓફની મેચો મળશે, અને તેનું ભવ્ય આયોજન કરીશું.

હાલ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઈટન્સની ટીમને પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યું છે. 17 થી 24 માર્ચ સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની ટીમ કેમ્પ કરશે. ત્યારબાદ તેઓ સીધા મુંબઈ જઈને IPL માં હિસ્સો લેશે. 

ઉલ્લેખનીય છે કે IPL 2022 ની તમામ લીગ મેચ માટેના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે. સિઝન 15ની પ્રથમ મેચ 26 માર્ચના રોજ વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. 65 દિવસમાં IPL 2022 અંતર્ગત 70 લીગ મેચનું આયોજન કરાયું છે. તમામ લીગ મેચનું મુંબઈ અને પુણેના મેદાનમાં રમાશે, મુંબઈના ત્રણ જુદા જુદા મેદાનોમાં 55 મેચ જ્યારે પુણેમાં 15 મેચ રમાશે. IPL ની 70 લીગ મેચ બાદ સેમી ફાઇનલ અને ફાઇનલ સહિત 4 પ્લે ઓફની મેચ અમદાવાદમાં રમાશે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે. 29 મેના રોજ IPL સિઝન 15ની ફાઇનલનું આયોજન થવાનું છે.  

IPL માં પ્રથમ વખત ભાગ લઈ રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ 28 માર્ચે પ્રથમ મેચ લખનઉ સુપર જાયન્ટસ સાથે સાંજે 7.30 કલાકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.  

CVC કેપિટલ્સએ 5625 કરોડમાં ખરીદી છે ગુજરાત ટાઈટન્સની ટીમ 

આ સિવાય કોરોનાના કારણે ક્રિકેટને થયેલા નુકસાન અંગે વાત કરતા GCA ના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલે કહ્યું કે યુવા ટેલેન્ટને ખૂબ નુકસાન પહોંચ્યું છે, પરંતુ એ નુકસાનની પૂરતી કરવાનું આયોજન કરી રહ્યા છે. બે વર્ષથી સ્કૂલના ટેલેન્ટેડ યુવાનોને તકો મળી નથી. થોડા જ સમયમાં GCA અંડર 14, 16, 19 અને સિનિયરની ટુર્નામેન્ટ શરૂ કરશે. સિનિયરની મેચો બાદ સ્કૂલની પરીક્ષા પૂર્ણ થાય એટલે સ્કૂલના યુવા ટેલેન્ટ માટે મેચનું આયોજન કરીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news