કચ્છના ગામડા ખાલી થવા લાગ્યા, પોતાનુ પશુધન લઈને નીકળી પડ્યા માલધારી

Water Crises In Kutch : કચ્છના લખપતમાં ઉનાળો માલધારીઓ માટે આકરો સાબિત થઈ રહ્યો છે... એક બાજુ પાણી માટે પ્રજા વલખા મારી રહી છે... ત્યાં બીજી બાજું ઘાસની અછત સર્જાતા માલધારીઓ પોતાના પશુઓને લઈ ચિંતિત થયા છે... સ્થિતિ એવી સર્જાઈ છે કે માલધારીઓ પોતાના પશુઓને લઈ હિજરત કરવા મજબુર બન્યા છે

કચ્છના ગામડા ખાલી થવા લાગ્યા, પોતાનુ પશુધન લઈને નીકળી પડ્યા માલધારી

Kutch Summer રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં વધુ પશુધન છે. કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. ત્યારે પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓનું જીવન નિર્વાહ પણ પશુપાલન પર નિર્ભર કરે છે. લખપત તાલુકાના માલધારીઓ ઘાસચારાની તંગીના કારણે પરિવારોના અને પશુઓના નિભાવ માટે હિજરત કરી રહ્યા છે. લખપત તાલુકામાં ઘાસની તંગીને લઈને માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે. ઉનાળો શરૂ થયો અને ઘાસ પાણી માટે લોકો મારે છે વલખા. આ કારણે અત્યારથી જ સરહદ પરના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે.

કચ્છ જિલ્લાના સીમાડાઓમાં ઘાસ-પાણી ખુટી પડતા ત્યાંના માલધારીઓ પશુધન સાથે સ્થળાંતર કરી રહ્યા છે. કચ્છના લખપત તાલુકાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિકે ઘાસચારાની અછતના કારણે નાના મોટા માલધારીઓને સમૂહમાં જોડાઈને પોતાની 800થી 900 જેટલી ગાયો સાથે હિજરત કરી રહ્યા છે.જેમને સ્થાનિક ખાનગી ફેકટરીના માલિક પરબતભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવતી ગૌશાળામાં 4 થી 5 મહિના સહારો આપવામાં આવે છે.

રાતા તળાવ બરંદાના માલધારી બેસરાંભાઈ રબારીએ Zee media ને જણાવ્યું હતું કે, બજારમાં મળતું ભુસો, ખોડના ભાવ પણ વધારે હોય જેથી વેચાતુ લઈ બધા પશુને ચરાવવું સંભવ નથી અને સીમમાં ઘાસચારો નથી. લખપત છે તે સુકો પ્રદેશ છે અને વરસાદ આવે ત્યારે લીલુંછમ થાય છે અને ઘાસચારો મળે છે માટે ઘાસચારો ના મળતા આ સ્થળાંતરની વિકટ પરિસ્થિતિ અંગે સરકારે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. માલધારીઓની સાથે સ્થળાંતરમાં પશુઓ હેરાન થાય છે સાથે પરિવાર, બાળકોની લાચારીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિ પર સરકારે ધ્યાન આપી તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માલધારીઓએ માંગ કરી છે.

કચ્છ જિલ્લામાં હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે ત્યાં જ પશુઓ માટે લીલા-સૂકા ઘાસચારાની અછત સર્જાઈ છે. બાકી સમયમાં માલધારીઓ અને પશુઓની હાલત કફોડી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. માલધારી વર્ગ પશુઓને સીમાડામાં ચરાવવા તો લઈ જાય છે, પણ સીમાડામાં ભાગ્યે જ પશુઓના મોઢામાં કંઈક ખોરાક આવે છે. મોટાભાગે પશુઓ ભૂખ્યા પેટે જાય છે અને ભૂખ્યા પેટે પરત આવતા હોય છે. ત્યારે ગૌપ્રેમી એવા દાતાઓના સહયોગથી ગાયોને ઘાસચારો મળી રહ્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 16, 2023

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે લખપત વિસ્તારનાં હિજરત કરતાં પગપાળા માલધારીઓનાં 800 જેટલા ગૌવંશજોને 6500 કિલો લીલો ઘાસચારો ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ દ્વારા દાતાના સહયોગથી આપવામાં આવ્યો હતો. લખપત અને અબડાસા તાલુકાના ગામોમાંથી હિજરત કરી પગપાળા અન્યત્ર જઈ રહ્યાં છે એને રોકવા માટે કચ્છના વહીવટી તંત્રની સાથે સાથે તમામ શાસક પક્ષના રાજનેતાઓ દ્વારા પણ પગલાં લેવા સક્રિયતા દાખવી જરૂરી બન્યું છે. નહિતર કચ્છ જીલ્લાનો મુખ્ય પશુપાલન ઉદ્યોગ પડી ભાંગશે અને આ ધરતી વેરાન બનતી જશે. 

ગૌપ્રેમી પરબત પટેલ છેલ્લાં 7 વર્ષોથી ગાયોને આપે છે સહારો
લખપતના કૈયારી ગામના માલધારી નાગજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે, "સરહદી વિસ્તાર લખપતમાં ઘાસચારાની તંગી છે અને સૂકા બાવળના ઝાડ બાકી રહ્યા છે ત્યારે હજી તો ઉનાળો શરૂ થયો છે ત્યારે આવી પરિસ્થતિ છે. આ તો પરબતભાઇ પટેલ છેલ્લાં 7 વર્ષોથી તેમની ગૌશાળામાં અમારી ગાયોને 4થી 5 મહિના સહારો આપે છે અને રસ્તામાં પણ ઘાસચારો આપે છે અને સાથે જ નવા જન્મેલા વાછરડાઓને ગાડીમાં લઈ જાય છે અને ખૂબ સેવા કરે છે અને ઘાસચારો આપે છે સરકાર પણ ઘાસચારાની વ્યવસ્થા કરે તેવી માંગણી છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news