ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ છલકાયો, સાબરમતીમાં પૂરનો કોઈ ખતરો નથી

Dharoi Dam : મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજા ખોલાયા... પાણીની આવક વધતા ધરોઈ ડેમ 92.80 ટકા ભરાયો... ધરોઈ ડેમના 4 દરવાજા 5 ફુટ ખોલાયા 

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ છલકાયો, સાબરમતીમાં પૂરનો કોઈ ખતરો નથી

Ahmedabad Flood Alert : ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલાયા છે. ચાર દરવાજા ૫ ફુટ ખોલી ૨૮૩૬૬ ક્યુસેક પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદના પગલે ૨૮૩૬૬ ક્સુસેક પાણીની ધરોઈ ડેમમાં આવક થઈ છે. હાલ ઘરોઇ ડેમ ૯૨.૮૦ ટકા ભરાયો છે. સ્પીલ વે માં ૨૭૫૧૬, બાય પાસ આઉટ લેટમાં ૬૦૦ જમણા કાંઠાની કેનાલમાં ૨૫૦ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આ કારણે અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જોકે, આ પાણી અમદાવાદ પર કોઈ સંકટ નથી. કારણ કે, ઈન્દિરાબ્રિજથી વાસણા બેરેજ ખાતે નદીનું લેવલ સંપૂર્ણ ઓછું કરી દેવાયું છે. જેથી ઉપરવાસમાંથી આવતું પાણી સીધું શહેર બહાર નીકળી જશે, જેથી સિટીમાં પૂરનો કોઈ ખતરો નથી. 

રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દીવસથી વરસાદના પગલે સાબરમતી નદી ઉપર આવેલ વાસણા બેરેજમાંથી છેલ્લા બે દીવસથી આશરે 13,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહેલ છે. હાલમાં નર્મદા મુખ્ય કેનાલમાંથી સાબરમતી નદીમાં 8040 ક્યુસેક્સ, સંતસરોવરમાંથી 20012 ક્યુસેક્સ પાણી છોડવામાં આવેલ હોઇ, આજે સાંજ સુધીમાં વાસણા બેરેજ ખાતેથી આશરે 30,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવનાર છે. આથી વાસણા બેરેજની નીચેવાસમાં સાબરમતી નદી કિનારે આવેલ ગામોને તાકીદ કરવા જરૂરી સુચના વિનંતી છે

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સાબરમતી નદીમાં સતત બે દિવસથી નવી આવક નોંધાવવાને લઈ ધરોઈ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ થઈ હતી. સોમવારે ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં વધતી આવક સામે સોમવારે બપોરે ચાર દરવાજા ખોલાયા હતા. સાબરમતી નદીમાં ફરી વાર પાણી છોડવામાં આવ્યુ છે. 

વાસણા બેરેજના 13 ગેટ ખોલવામાં આવ્યા છે. 9 દરવાજા 2.5 ફૂટ અને 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 16600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં હાલ નર્મદા મુખ્ય કેનાલમાંથી 8000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 20000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બેરેજ ખાતે નદીનું લેવલ 127.50 ફૂટ રાખવામાં આવ્યું છે. 

14 ગામના લોકોને એલર્ટ કરાયા
સાબરમતી નદીમાં જળ સ્તરમાં વધારો થતાં બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં સતત વરસાદ થતાં સાબરમતી નદીમાં જળ સ્તરમાં વધારો થયો છે. વાત્રક અને સેઢી નદીનું પાણી સાબરમતીમાં આવતા જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. જળ સ્તરમાં હજુ વધારો થાય તો પુર આવવાની ભીતિ છે. પાણીના સંકટથી તારાપુર, નભોઈ, રીંઝા, ખડા, જાફરગંજ, પચેગામ સહિત 14 ગામના લોકોને એલર્ટ કરાયા છે. સાબરમતી નદીનાં કાંઠા ગાળાનાં ગામોમાં તંત્ર દ્વારા પેટ્રોલિંગ ગોઠવી દેવાયં છે. નદીમાં જળ સ્તર વધતા તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે નહીં જવા સૂચના અપાઈ છે. 

ધરોઈમાંથી પાણી છોડાતા ગાંધીનગર જિલ્લાના ગામોને પણ એલર્ટ કરાયા છે. ગાંધીનગર તાલુકાના 17 ગામો, જ્યારે માણસાના 11 ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારાના ગામો હોવાના કારણે એલર્ટ અપાયું છે. ધરોઈ ડેમમાથી 28000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ નદી કિનારાના ગામોના લોકો તથા ખનન કામ માટે પણ નદીમા ન જવા માટે કલેક્ટર દ્વારા સૂચના અપાઈ છે. 

જુલાઈ મહિનામાં પણ ધરોઈ ડેમ છલકાયો હતો. સાબરકાંઠા અને ઉપરવાસ વિસ્તારને પગલે સાબરમતી અને તેની ઉપનદીઓમાં પાણીની નવી આવકો નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ હતી. ત્યારે સીઝનમાં બીજીવાર ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news