હવે કચ્છ અને ઉનામાં પણ સંભળાશે સિંહની ગર્જના, ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરી

ગુજરાતનું ગૌરવ એવા સિંહ હવે કચ્છમાં જોવા મળશે. સૌરાષ્ટ્રમાં ઉના અને કચ્છમાં નારાયણ સરોવર પાસે લાયન સફારીને મંજૂરી. સિહોની સંખ્યા વધતા ઉનાળામાં જંગલ બહાર ધસી આવે છે ત્યારે એના ઉછેર કેન્દ્ર વધારવા માટેની યોજના. નારાયણ સરોવર પાસે આશરે 250-280 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક આકાર થશે.

 હવે કચ્છ અને ઉનામાં પણ સંભળાશે સિંહની ગર્જના, ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરી

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવા મંજૂરી મળતાં આગામી સમયમાં સમુદ્રી સીમાદર્શનની સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નારાયણ સરોવર વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જેને મંજૂરી મળી છે. 250 હેક્ટરમાં આ સફારી પાર્ક બનશે તો કુલ 140 કરોડની દરખાસ્ત સામે પ્રાથમિક રૂા. 30 કરોડની મંજૂરી મળી હોવાનું વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું. 

ભારતની સરહદએ આવેલો કચ્છની પશ્ચિમી સરહદે આવેલ પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર હવે માત્ર પ્રવાસીઓ માટે તીર્થધામ નહિ રહે, પણ આવનારા સમયમાં પ્રવાસીઓ અહીં જંગલ સફારી પણ માણી શકશે અને સાથે સાથે સિંહ પણ કચ્છની ધરતી પર જોવા મળશે.હાલમાં કચ્છ જિલ્લામાં કુલ 4 અભયારણ્ય અને છારીઢંઢ સંરક્ષિત ક્ષેત્ર આવેલા છે. 444.23 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા, કાળિયાર અને ચિતરની વસ્તી વધારે જોવા મળે છે. 

કચ્છના નારાયણ સરોવર ખાતે શરૂ કરવામાં આવનાર જંગલ સફારી અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,ગીરના જંગલની જેમ પ્રવાસીઓ કચ્છના પવિત્રધામ નારાયણ સરોવર ખાતે આગામી વર્ષોમાં જંગલ સફારી માણી શકશે. કચ્છ વન વર્તુળ હેઠળના પશ્ચિમ કચ્છ વનની રેન્જમાં નારાયણ સરોવરના આસપાસનો વિસ્તાર છે તે પ્રવાસન ક્ષેત્રે વિકસાવી શકાય તેવો વિસ્તાર છે. 

તો પ્રવાસીઓ માટે પણ એક વાઈલ્ડ લાઇફ માટેનું પણ એક પ્રવાસન વિકસે તે બાબતે વન વિભાગ દ્વારા નારાયણ સરોવરના આસપાસના વિસ્તારમાં એક સફારી પાર્કનું આયોજન થઈ રહ્યું છે જેમાં પહેલા સ્ટેજમાં તૃણાહારી પ્રાણીઓથી એટલે કે ચિંકારા ઉપરાંત કાળિયાર અને ચિત્તર જેવા પ્રાણીઓને એક ફેન્સ એરિયામાં રાખીને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના નોર્મ્સ મુજબ સફારી પાર્ક ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે સફારી પાર્ક બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. 

કચ્છનાં આ સફારી પાર્કની સાથે સાથે કન્ઝર્વેશન બ્રિડીંગની પણ વ્યવસ્થા થાય તે બાબતનું આયોજન પણ હાથ ધરવામાં આવી રહ્યું. ઉલ્લેખનીય છે કે નારાયણ સરોવર અભારણ્યમાં 184 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, જે પૈકી 19 પ્રકારની પ્રજાતિ શિકારી પક્ષીઓની છે. જે રીતે પ્રવાસીઓ ગીરના સફારી પાર્કમાં સિંહ - ચિતા જેવા પ્રાણીઓને નિહાળવા માટે જતા હોય છે તેમ દેશ વિદેશના પ્રવાસીઓ આવનારા સમયમાં હવે જંગલ સફારીની પણ મોજ માણી શકશે.

લખપત તાલુકાના નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારા અભયારણ્ય પણ છે જેમાં 500 જેટલા ચિંકારા જંગલમાં વસવાટ કરી રહ્યા છે. ચિંકારા અભયારણ્યની સાથે હવે માંસાહારી પ્રાણીઓ માટે સફારી પાર્કનો નિર્ણય કેન્દ્રીય સત્તા મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. નારાયણ સરોવર વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ સફારી પાર્ક માટે મંજૂરી મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેને મંજૂરી મળી છે.

નારાયણ સરોવર સફારી પાર્કની સાથે સાથે કોરીક્રીક વિસ્તારમાં ચેરિયાના વિકાસ, સંવર્ધન માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. 250 થી 280 હેક્ટર વિસ્તારમાં સિંહ, દીપડા, ચિંકારા અને કાળિયાર જેવા માંસાહારી પ્રાણીઓ અહીં જોવા મળશે. આ ઉપરાંત આ સફારી પાર્કમાં સર્વોચ્ચ અદાલતની પરવાનગી મેળવી માંસાહારી પ્રાણીઓ, સરિસૃપ, જુદા જુદા પક્ષીઓની પ્રજાતિ પણ આગામી સમયમાં જોવા મળશે.

પ્રાથમિક તબક્કે 30 કરોડ રૂપિયાની મંજૂરી મળેલ છે. ગીર સફારી પાર્ક જેવી જ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ વિસ્તાર પ્રવાસન વિસ્તાર છે જેમાં એક જ રૂટમાં પ્રવાસીઓ કચ્છની કુળદેવી માં આશાપુરાના માતાના મઢ, નારાયણ સરોવર ,કોટેશ્વર મહાદેવ મંદિર, સફારી પાર્ક, સમુદ્રી સીમાદર્શન વગેરે કરી શકે તેવું આયોજન કરી શકાશે.સફારી પાર્કની મુલાકાત કરી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવશે તો સાથે જ વનવિભાગના સ્ટાફમાં પણ વધારો કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news