PM મોદીનો નિર્ણય, સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઈતિહાસને જીવંત કરાશે

PM મોદીનો નિર્ણય, સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઈતિહાસને જીવંત કરાશે
  • નરેન્દ્ર મોદીએ સ્કંદપુરાણમાં જેટલો ઉલ્લેખ છે એ તમામ સ્થળે શોધખોળ હાથ ધરવાની સહમતી દર્શાવી
  • નરેન્દ્ર મોદી દેશના બીજા વડાપ્રધાન છે જેમણે સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેનની જવાબદારી સંભાળી છે

ઝી મીડિયા/બ્યૂરો :સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી મોદી (narendra modi) એ આ માટે સહમતિ દર્શાવી છે. આ કામ માટે પુરાતત્વ વિભાગ અથવા તો કોઈ યુનિવર્સિટીની મદદ લેવામાં આવશે. મંગળવારે બેઠકમાં સોમનાથમાં પુરાતત્વ વિભાગ દ્વારા શોધખોળ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ સ્કંદપુરાણ (skand puran) માં જેટલો ઉલ્લેખ છે એ તમામ સ્થળે શોધખોળ હાથ ધરવાની સહમતી દર્શાવી હતી. અને આ કામગિરી માટે કોઇ યુનિવર્સિટી અથવા સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust) પોતે પણ કોઇને આ કામગિરી સોંપી શકે એમ છે. પુરાતત્વ વિભાગના નિવૃત્ત અધિકારી રાવતનાં માર્ગદર્શન હેઠળ આ કામગિરી હાથ ધરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો છે.

દેશના બીજા વડાપ્રધાન ટ્રસ્ટના ચેરમેન બન્યા 
તાજેતરમાં જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે ટ્રસ્ટીઓ વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક મળી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વાનુમતે ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. મોદીને એક વર્ષનાં કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી દેશના બીજા વડાપ્રધાન છે જેમણે સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેનની જવાબદારી સંભાળી હોય. તેમની અગાઉ મોરારજી દેસાઇ પણ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન રહી ચૂક્યા હતા. 

મંદિરના ચેરમેન કેશુભાઈનું તાજેતરમાં નિધન થયું 
ત્રણ મહિના પહેલા સોમનાથ મંદિર (Somnath temple) ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ (keshubhai patel) નું અવસાન થયા બાદ ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણૂંક કરવા માટે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતનાં ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા. બેઠકમાં નવા ચેરમેનની વરણીના એજન્ડા સાથે સોમનાથમાં ચાલકા વિકાસ કામોની ચર્ચાઓના એજન્ડા (Gujarat Tourism) ની દર ત્રણ મહિને રૂટીન બેઠક હોવાનું ટ્રસ્ટ જીએમ દ્વારા જણાવાયું હતું. 

સોમનાથ મંદિરની આસપાસ છુપાયેલો છે ખજાનો
સોમનાથ મંદિરની આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભૂગર્ભમાં આધુનિક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેમાં સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભૂગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમા હોવાનુ રિપોર્ટમાં સામે આવ્યું છે. 2017 માં જ્યારે ટ્રસ્ટીની દિલ્હી ખાતે બેઠક મળી તેમા ટ્રસ્ટી જે.ડી. પરમારના સૂચનને તાત્કાલિક તમામ ટ્રસ્ટીઓએ ધ્યાનમાં લીધા હતા. તેના અનુસંધાને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજી આઇઆઇટી ગાંધીનગરની સહયોગી એવી ભારતની ચાર સંસ્થાના પ્રતિનિધિઓ સોમનાથ આવ્યા હતા. તેઓએ પ્રભાસ પાટણના સોમનાથ મંદિરના આજુબાજુના ચાર વિસ્તારમાં જીપીઆર ઇન્વેસ્ટિગેશન સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સ્થળ ગોલોકધામ, બીજી જગ્યા સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર, સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ત્રીજુ સ્થળ બુદ્ધ ગુફા, ચોથુ સ્થાન સોમનાથ મંદિરનુ પરિસર, જયાંથી મંદિરમાં જવા માટે પ્રવેશ સ્થળ છે તે જગ્યાઓએ પુરાતત્વ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેનો આર્કિયોલોજીકલનો સંશોધન 32 પાનનો નક્શા સાથેનો રિપોર્ટ 2017 માં સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો.

હાલ સોમનાથ ટ્રસ્ટ પાસે 3 હજાર એકર જમીન અને 65 નાના મોટા મંદિર આવેલા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news