વડા પ્રધાન મોદી 30 સપ્ટેમ્બર, રવિવારે ફરી વતન ગુજરાતની મુલાકાતે, જાણો કાર્યક્રમ

વડા પ્રધાન આણંદમાં અમુલનો અત્યાધુનિક પ્લાન્ટ ખુલ્લો મુકશે, ભૂજ ખાતે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે અને સાંજે રાજકોટ ખાતે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં બનાવાયેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે

વડા પ્રધાન મોદી 30 સપ્ટેમ્બર, રવિવારે ફરી વતન ગુજરાતની મુલાકાતે, જાણો કાર્યક્રમ

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારના રોજ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ એક દિવસની આ મુલાકાતમાં રાજકોટ ખાતે સૌ પ્રથમ આણંદ ખાતે અમુલ દ્વારા બનાવાયેલા નવા ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. અહીંથી તેઓ કચ્છની મુલાકાત લેશે જ્યાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યા બાદ તેઓ રાજકોટ આવશે અને અહીં 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'નું લોકાર્પણ કરશે. 

વડા પ્રધાન અમદાવાદ અથવા તો વડોદરા એરપોર્ટ પર ઉતારણ કરવાના છે. જ્યાંથી તેઓ સીધા જ અમુલ દ્વારા આણંદ ખાતે નિર્મિત ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે. આણંદની નજીક આવેલા મોગર ગામમાં 'ત્રિભુવનદાસ ફૂટ ફેક્ટરી' ખાતે આ પ્લાન્ટ આવેલો છે. આ સાથે જ મોદી અમુલ ડેરી દ્વારા જ નિર્મિત બે અન્ય પ્લાન્ટ 'બાલભોગ' અને 'રેડી ટુ યુઝ થેરાપેટિક ફૂડ (RUTF)' પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. પીએમ મોદી આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયનાં ઇન્ક્યુબેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ અને મુજકુવા ગામમાં સોલર કોઓપરેટિવ સોસાયટીનું ઉદ્ઘાટન પણ કરશે. સાથે જ આણંદ અને ખાત્રજમાં અમૂલની ઉત્પાદન સુવિધાઓનું વિસ્તરણ કરવા માટે ભૂમિપૂજન કરશે અને ત્યાર બાદ અંદાજે 75,000 જેટલા દૂધ ઉત્પાદકો અને સ્થાનિકોને સંબોધન કરશે. 

અમુલનો અત્યાધુનિક 150 કરોડનો ચોકલેટ પ્લાન્ટ
અમુલ ડેરી દ્વારા 40થી વધુ નવી ચોકલેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમુલનો આ નવો ચોકલેટ પ્લાન્ટ 1.50 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને અમુલ દ્વારા રૂ.150 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ શરૂ થઈ ગયા બાદ અમુલ ડેરીની ચોકલેટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 4,000 ટનથી વધીને 20,000 ટન થઈ જશે. 

કચ્છના અંજારમાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ
આણંદથી વડા પ્રધાન સીધા અંજાર જશે. તેઓ અંજાર-મુન્દ્રા પાઇપલાઇન પ્રોજેક્ટ, મુન્દ્રા એલએનજી ટર્મિનલ અને પાલનપુર-પાલી-બાડમેર પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ અહીં પણ જનસભાને સંબોધિત કરશે.

રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદ્ઘાટન
ત્યાર બાદ વડા પ્રધાન સાંજે રાજકોટમાં આવશે. અહીં તેઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. મ્યુઝિયમ રાજકોટમાં આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જે મહાત્મા ગાંધીનાં બાળપણનાં ઘડતરનાં વર્ષોનો મહત્ત્વપૂર્ણ ભાગ હતો. આ ગાંધી સંસ્કૃતિ, મૂલ્યો અને ફિલોસોફી વિશે જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે. 

વડા પ્રધાન 624 મકાનોનાં સરકારી હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાની તકતીનું અનાવરણ પણ કરશે. તેઓ 240 લાભાર્થી કુટુંબોનો ઇ-ગૃહ પ્રવેશ પણ નિહાળશે. રાજકોટની બે કલાકની આ મુલાકાત દરમિયાન મોદી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યા બાદ ચૌધરી હાઈસ્કૂલ ખાતે વિશાળ જનમેદનીને પણ સંબોધશે.

મહાત્મા ગાંધીએ રાજકોટમાં 7 વર્ષ અભ્યાસ કર્યો હતો
રાજકોટના મહાપાલિકા દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ' બનાવવામાં આવ્યું છે. અગાઉ આ આલ્ફ્રેડ હાઈસ્કૂલ હતી જ્યાં ગાંધીજીએ 7 વર્ષ સુધી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. સરકાર દ્વારા હવે તેને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવી છે. આ હાઈસ્કૂલ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અનેક યાદો જોડાયેલી છે. રાજકોટ મહાનગરપાલિકાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી આ આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધી અનુભૂતી કેન્દ્ર બનાવ્યું છે. જેમાં ગાંધીજીની જીવન ઝરમર રજૂ કરાઈ છે. આ કેન્દ્રમાં ગાંધીજીના જીવન પર આધારિત અલગ-અલગ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો એક દિવસનો કાર્યક્રમ 
સવારે 10 કલાકે - અમદાવાદ અથવા વડોદરા આગમન        
10-30 કલાકે - અમદાવાદ અથવા વડોદરાથી હેલિકોપ્ટરમાં આણંદ 
10-30થી 11-50 - આણંદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
11-50 કલાક - આણંદથી ભુજ જવા રવાના

વડા પ્રધાનનો કચ્છ- રાજકોટનો કાર્યક્રમ
2-05 - કલાકે ભુજથી હેલિકોપ્ટરમાં અંજાર જશે
અંજારમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે
4-15 કલાકે - રાજકોટ જવા રવાના
5-05 કલાકે - રાજકોટ આગમન
5-15 - ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પહોંચશે
5-15થી 6-15 - ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સભા
6-20 કલાકે આલ્ફ્રેડ હાઈસ્કૂલ પહોંચશે
6-30થી 7 સુધી મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું ઉદઘાટન કરશે
7-20 કલાકે રાજકોટથી દિલ્હી જવા રવાના

(વડા પ્રધાન જ્યાં જાહેરસભા સંબોધવાના છે તે મંડપની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.)

જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રવિવારની રાજકોટની મુલાકાત માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડા પ્રધાનની સુરક્ષામાં 6 SP, 19 DYSP, 39 PI, 168 PSI મળી કુલ 2700થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 3 કંપની, BDSની 7 ટીમ અને SPG દ્વારા પણ વિશેષ ચેકીંગ વ્યવસ્થા તૈયાર કરાઈ છે.

વડા પ્રધાનના આગમનને પગલે રાજકોટ એરપોર્ટથી ગાંધી મ્યુઝિયમના રૂટ પર રવિવારે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ તમામ પ્રકારના વાહનોને આ રૂટ પર અવરજવર માટે પ્રતિંબધ મુકવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news