ચૂંટણીના એક અઠવાડિયા પહેલા પાસું પલટાયું : ગુજરાતમાં ક્ષત્રિયો હવે નહિ કરે ભાજપનો વિરોધ

Rupala Controversy :  ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તાએ સમસ્ત ક્ષત્રિય સમાજ જોગ સંદેશ આપ્યો છે, જેમાં આજથી કોઈ પણ વિરોધ ન કરવા વિનંતી કરી, પણ લોકશાહી ઢબે મતદાનનો ઉપયોગ કરીને વિરોધ દર્શાવશે

ચૂંટણીના એક અઠવાડિયા પહેલા પાસું પલટાયું : ગુજરાતમાં ક્ષત્રિયો હવે નહિ કરે ભાજપનો વિરોધ

Loksabha Election 2024 : ગુજરાતમાં લાંબા સમયથી ચાલેલા રૂપાલા વિવાદનો આખરે અંત આવ્યો છે. એક દિવસ બાદ ગુજરાતમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે આવવાના છે, તે પહેલા જ ક્ષત્રિય સમાજે આંદોલનની તલવાર મ્યાનમાં મૂકી દીધી છે. આજથી અનેક ક્ષત્રિય આગેવાનોએ રાજપૂતોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ વચ્ચે ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે. હવેથી કોઈ ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સમેલનો જેવા કાર્યક્રમ સ્થળોએ વિરોધ ન કરવા અપીલ કરી છે.

આમ, પીએમ મોદીની ગુજરાતમાં સભા પહેલા ભાજપને મોટી રાહત મળી છે. ચૂંટણીને હવે એક અઠવાડિયું માંડ બાકી રહ્યું છે, અને પીએમ મોદી પણ આવવાના છે, તે પહેલા જ ક્ષત્રિયો શાંત થયા છે. ક્ષત્રિયો હવે ભાજપના કાર્યક્રમોમાં વિરોધ નહિ કરે તેવો આડકતરો મેસેજ ક્ષત્રિય સંકલન સમિતિએ આપ્યો છે. આ મેસેજ રૂપાલા અને ભાજપ માટે મોટી રાહત સમાન છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 30, 2024

સમસ્ત ક્ષત્રિય સમાજ જોગ સંદેશ
ગુજરાત રાજ્યના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે આપણું નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એજ શસ્ત્ર ના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વક આગળ વધી રહ્યું છે. પાર્ટ-2 નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બોયકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં મજબૂત કરીને મતદાન કરી એ મુજબની રણનીતિ યથાવત રહેશે.

સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલ ચર્ચા - વિચારણા મુજબ હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે આવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા કોઈ કૃત્ય કરશે કે કોઈ હિત શત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાનો કોઈ બદઈરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીયાળો કરે એવી ભીતિ સેવાય રહી છે ત્યારે વડાપ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમજ તેઓની સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે હવે કોઈ ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સમેલનો જેવા કાર્યક્રમ સ્થળોએ વિરોધથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા સમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100% મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધૈર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારીતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે. જય માતાજી. રમજુભા જાડેજા- મુખ્ય સંકલનકર્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે શાંતિ જાળવવા અપીલ કરી છે.

વાંકાનેરના અખિલ રાજપૂત યુવા સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કોઇ કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. સાથે જ લોકશાહી ઢબે લડત ચાલુ રાખવા અને ૭ તારીખ સુધી આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરી. જામનગર, મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા અપીલ કરતો પત્ર ફરતો કરાયો છે. કોઇ અન્ય વ્યક્તિ આંદોલનને ગેરમાર્ગે ન દોરી જાય તે માટે સજાગ રહેવા અને વાતાવરણ ન ડહોળાઇ તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે. 

જામનગર જીલ્લા રાજપૂત સંકલન સમિતિનો સંદેશ
જામનગર શહેર જિલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ, બહેનો, યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોનું નમ્ર નિવેદન છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને અવડે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભિતી છે. જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન આવું કાઈ કૃત્ય કરીને પણ કોઈ હિતશત્રુઓ બદનામ કરે તેવું દેખાય રહ્યું છે. આવું કાઈ ન બને અને આપડે તા.૭ના મતદાનને લક્ષમાં રાખીને શાંતિ જાળવવાની છે કોઈએ કાયદો હાથમાં ન લેવો કે આંચારસહિંતાનો ભંગ ન કરવો તેવો સર્વેને ભારપૂર્વક નમ્ર અનુરોધ અને અપીલ છે.

વાંકાનેર સમસ્ત રાજપુત સમાજનો મેસેજ
ભાઈઓ - બહેનો યુવાનો અને આગેવાનો તમામને નમ્ર નિવેદન છે કે આપાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન" ને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાનાં પ્રયાસ થાય તેવા રસ્તે લઈ જવાની ભીતિ છે. આગામી લોકસભા ચૂંટણીમાં સમયગાળા દરમિયાનમાં કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાનું જાણવા મળ્યું છે. જેથી આવું કાંઈ ન બેને અથવા રાજપુત સમાજનાં આંદોલનને નામે ન ચંડે તે માટે આપણે તારીખ 7 ના રોજ ચુંટણીના મતદાનનાં દિવસે લક્ષ્યમાં રાખીને શાંતિ જાળવવાની છે. અને શિસ્તબદ્ધ રીતે રહેવાનું છે. રાજપૂત સમાજનાં કોપી સભ્યને કાયદો હાથમાં લેવાનો નથી. તેમજ આચાર સંહિતાનો ભંગ કરવાનો નથી, તેમજ શાંતિપૂર્વક સુખદ વાતાવરણમાં મતદાન થાય તેવી કાળજી સૌ લેવાની છે.

ક્ષત્રિયોના મત વિસ્તારમાં પીએમની સભા 
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 2 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાશે. આ જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. રાજકોટ રોડ પર આવેલ ત્રિમંદિર સામે ગ્રાઉન્ડમાં બપોરે જાહેર સભા યોજાશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠક માટે નરેન્દ્ર મોદી જાહેર સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે. ત્યારે આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાજપ સામે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વડાપ્રધાનની જાહેર સભા યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news