‘ખુલ્લી ગાયો, બાંધેલુ દૂધ...’ મંત્ર સાથે ગુજરાતના ખેડૂત મહેન્દ્રભાઈ વર્ષે મેળવે છે 25 લાખની આવક

‘મારા પિતાજી કહેતા કે, આપણે ગાયની સેવા કરવી જોઈએ...’એ જ ગાય આજે અમને ચોખ્ખુ દૂધ અને ચોખ્ખો નફો આપે છે. ખુલ્લી ગાયો, બાંધેલુ દૂધ.. મંત્ર સાથે મહેન્દ્રભાઈ વર્ષે 25 લાખની આવક મેળવે છે.

‘ખુલ્લી ગાયો, બાંધેલુ દૂધ...’ મંત્ર સાથે ગુજરાતના ખેડૂત મહેન્દ્રભાઈ વર્ષે મેળવે છે 25 લાખની આવક

ઝી બ્યુરો/અમદાવાદ: ‘મારા પિતાજી કહેતા કે, આપણે ગાયની સેવા કરવી જોઈએ...મારા પિતાજીની એ સલાહ અમે અક્ષરસ: અપનાવી...જો કે અમને એમાં રાજ્ય સરકારની યોજનાનો લાભ મળ્યો. આજે અમે ગાયનું ચોખ્ખુ દૂધ અને ચોખ્ખો નફો પણ મળે છે.’ અમદાવાદ જિલ્લાના દેત્રોજ નજીક શિહોર ગામના ખેડૂત શી મહેન્દ્રભાઈ રાવલના આ શબ્દો ઘણું બધુ કહી જાય છે.

મહેન્દ્રભાઈ આમ તો મોટા ખેડૂત છે, ખાસ્સી જમીન પણ છે અને બાગાયતની ખેતી પણ કરે છે. પણ ગૌમાતા પ્રત્યેના પ્રેમ અને પિતાજીની સલાહ અનુસાર એમણે ગીર ગાય લાવવાનું સ્વપ્ન હતું. તાલુકા મથકેથી એમને  રાજ્ય સરકારની દૂધાળા પશુ સ્વરોજગાર યોજના (12 દૂધાળા પશુ ફાર્મસ્થાપના)નો લાભ લીધો છે. રૂ. 4,70,000ની સબસીડીનો લાભ સાથે એક એક કરતા આજે 40 જેટલી ગીર ગાયો ધરાવે છે. ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ તેમણે પુર્ણ સ્વરૂપે અપનાવ્યો છે. મહેન્દ્રભાઈ આ ગીર ગાયોનો ખુબ સારી રીતે ઉછેર કરે છે. વાર્ષિક 36,000 લીટર દૂધ ઉત્પાદનમાંથી વાર્ષિક આવક અંદાજે રૂ. 25 લાખ અને તેમાંથી અંદાજે 10 લાખનો ચોખ્ખો નફો મેળવે છે. 

No description available.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે કહે છે કે, ‘મહેન્દ્રભાઈનેદૂધાળા પશુ સ્વરોજગાર યોજના (12 દૂધાળા પશુ ફાર્મ સ્થાપના)નો લાભ મળ્યો છે. તેમાંથી તેમને સારી આવક પણ મળે છે. અમદાવાદ જિલ્લામાં આ યોજના અંતર્ગત અનેક પશુપાલકોને લાભ અપાયો છે. આ યોજના અંતર્ગત મહત્તમ લોકો લાભ મેળવી સ્વનિર્ભર બને તેવો સરકારનો ઉદ્દેશ છે. સાથે સાથે ઉછેરે કરતા લોકોને ચોખ્ખો દૂધ પણ મળે છે.’ આજ રીતે અન્ય પશુપાલકો પણ વધુ પ્રમાણમાં દૂધ ઉત્પાદન મેળવી સ્વનિર્ભર બને તેવો ધ્યેય છે.

મહેન્દ્રભાઈ કહે છે કે,  ‘મારે ગમતું કરવુ હતું, અને મને સરકારની યોજનાની જાણકારી મળી એટલે હું એ કરી શક્યો. મારા પિતાજી હંમેશા કહેતા કે ગાયની સેવા કરો..અને મને રાજ્ય સરકારે આ તક પુરી પાડી છે. અત્યારે મારી પાસે 40 જેટલી ગીર ગાયો છે. આ ગાયો માટે મેં 70*40 ફૂટ( લંબાઈ-પહોળાઈ) અને 18 ફૂટ ઉંચાઈ ધરાવતો શેડ બનાવ્યો છે. તેમાં ગાયોને ગરમીથી બચાવવા 13 ફૂટની ઉંચાઈએ પંખા પણ નાંખ્યા છે અને વરસાદથી બચાવી શકાય તેવી વ્યવસ્થા પણ કરી છે. નીચે ગંદકી ના થાય એટલે પેવર બ્લોક પણ નાંખ્યા  છે. જો કે હું ગાયોને લગભગ 20 વિઘા જમીનમાં છુટ્ટી જ રાખુ છું અને દિવસમાં બે વખત દૂધ દોહવાના સમયે જ તેમને શેડમાં લાવુ છું.’

મહેન્દ્રભાઈ ગાયોના ખવડાવવા માટે પ્રાકૃતિક ઘાસ ઉગાડે છે. કપાસની પાંખડી, યુરિયા કે ખાતર વિનાનું ઘાસ અને જરૂરી મિનરલ્સ, વિટામીનપણ આપે છે.ગીર ગાયની ખાસિયત વર્ણવતા મહેન્દ્રભાઈ કહે છે કે, ‘શ્રીફળ આકારનું માથુ અને મોઢા કરતા મોટા કાન ધરાવતી ગીર ગાયના ગળાના ભાગને ધાબળો કહે છે અને આ ધાબળા પર રોજ 5-10 મિનિટ હાથ પસવારીએ તો બી.પી જેવા રોગ કંટ્રોલમાં રાખી શકાય છે. આપણા શાસ્ત્રોમાં કહ્યા મુજબ 33 કરોડનો વાસ ધરાવતી ગાય આપણા જીવન માટે પણ એટલી જ ઉપયોગી છે, એમ તેઓ કહે છે. આમ આ યોજનાના પગલે મહેન્દ્રભાઈ પોતાના જીવનને નવો ઓપ આપી શક્યા છે.  - હિમાંશુ ઉપાધ્યાય, અમદાવાદ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news