ગુજરાતમાં રોજ એક ભોગ લેતી ચાઈનીઝ દોરી, સુરતમાં એક પરિવારના મોભીનું ગળુ કપાતા મોત

Surat News :  પતંગની ધારદાર દોરીએ કામરેજના નવાગામના એક પરિવારનો મોભી છીનવી લીધો છે. આધેડ નોકરીથી પરત ઘરે ફરતી વેળા દોરીથી ગળું કપાતા મોત થયું . ત્યારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં દોરી વેચાય છે, અને ગુજરાતનું તંત્ર હાથ ધરીને બેસી રહ્યું છે

ગુજરાતમાં રોજ એક ભોગ લેતી ચાઈનીઝ દોરી, સુરતમાં એક પરિવારના મોભીનું ગળુ કપાતા મોત

સંદીપ વસાવા/સુરત : ગુજરાતમાં કાતિલ ચાઈનીઝ દોરીનો કહેર યથાવત છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ ગુજરાતના કોઈને કોઈ શહેરથી ચાઈનીઝ દોરીથી મોતના સમાચાર આવી રહ્યાં છે. ગઈકાલે વડોદરામાં ચાઈનીઝ દોરીથી હોકી પ્લેયરનું મોત નિપજ્યુ હતુ. ત્યારે આજે સુરતમાં પતંગની દોરીથી એક બાઈકચાલકનું ગળું કપાયું હતું. શખ્સ કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા, ત્યારે ચાઈનીઝ દોરો તેમના ગળે ભરાયો હતો. ગંભીર ઈજા થતાં નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મૃતક બળવંત ઉર્ફે રાજુ પટેલ લુમ્સ કારખાનામાં કામ કરતા હતા. આમ, પતંગની ધારદાર દોરીએ કામરેજના નવાગામના એક પરિવારનો મોભી છીનવી લીધો છે. આધેડ નોકરીથી પરત ઘરે ફરતી વેળા દોરીથી ગળું કપાતા મોત થયું . ત્યારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં દોરી વેચાય છે, અને ગુજરાતનું તંત્ર હાથ ધરીને બેસી રહ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજના નવાગામના પટેલ પરિવાર પર ગઈકાલે સાંજે આભ ફાટવા જેવી ઘટના બની હતી. પરિવારના મોભી એવા 52 વર્ષીય બળવંત પટેલ ગઈકાલે સાંજે ડાયમંડ નગરથી નોકરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન સુરતથી કામરેજ તરફ આવતા માર્ગ પર સહકાર નગર પાસે તેમના ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી, ગળું કપાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ બળવંતભાઈને હોસ્પિટલ તો લઈ ગઈ, પરંતુ સારવાર મળે એ પહેલા જ બળવંતભાઈનું મોત થયુ હતું. 

આ પણ વાંચો : 

ઉત્તરાયણનો તહેવાર આવતા જ આકાશમાં પતંગ ઉડતા દેખાવા માંડ્યા છે, અને લોકો પતંગ ઉડાડવાની મજા માણી રહ્યાં છે. પરંતુ લોકોની મજા કેટલાક પરિવાર માટે સજા બની જતી હોય છે. સુરતના નવાગામના પટેલ પરિવાર સાથે પણ આવુ જ થયું. નોકરી પરથી પરત ઘરે ફરતા બળવંતભાઈને ખબર ન હતી કે પતંગની ચાઈનીઝ દોરીને કારણે ઘરે એમનો મૃતદેહ પહોંચવાનો છે. બળવંતભાઈના પરિવારમાં દુઃખ સાથે સાથે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં દુકાનદારો ચોરી છુપીથી દોરી વેચતા હોવાના ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. 

ઉત્તરાયણનો તહેવાર 14 જાન્યુઆરીના દિવસે આવે છે. પરંતુ તે પહેલા પતંગ ચગાવવાની શરૂઆત મહિના દિવસ પહેલાથી થઈ જતી હોય છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે સરકાર ઉત્તરાયણના દિવસે 14 જાન્યુઆરીના દિવસે પતંગ ચગાવવાની છૂટ આપે. જેથી આવી દુઃખદ ઘટના બનતી અટકાવી શકાય. આ ઉપરાંત લાગતા વળગતા અધિકારીઓ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી આવી ઘટના અટકાવી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news