સુરતમાં આ વર્ષે પણ નહિ નીકળે રથયાત્રા, ગાઈડલાઈનને કારણે ઈસ્કોન મંદિર અટવાયું

સુરતમાં આ વર્ષે પણ નહિ નીકળે રથયાત્રા, ગાઈડલાઈનને કારણે ઈસ્કોન મંદિર અટવાયું
  • તમામ હરિભક્તોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધો હોવા છતાં પોલીસ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત આપવાનું કહેવાયું 
  • રથ ખેંચવા 100 જેટલા હરિભક્તોની જરૂરિયાત હોય છે, ત્યારે સુરત પોલીસ દ્વારા માત્ર 60 જેટલા ભક્તોની જ મંજૂરી આપવા માટે કહેવાયું

ચેતન પટેલ/સુરત :કોરોનાકાળમાં ગત વર્ષે પણ સુરતમાં છેલ્લા 27 વર્ષથી યોજાતી ભગવાન જગન્નાથની પારંપરિક રથયાત્રા (rathyatra) નીકળી શકી ન હતી, જેને આ વર્ષે પણ ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનને લઈને અસમંજસ જોવા મળી રહી છે. એક તરફ ખેંચવા માટે 100 જેટલા હરિભક્તોની જરૂરિયાત હોય છે, ત્યારે સુરત પોલીસ દ્વારા માત્ર 60 જેટલા ભક્તોની જ મંજૂરી આપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જે રૂટ છે તે પણ ટૂંકાવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી સુરત પોલીસ દ્વારા પાલનપુર પાટિયાથી રથને લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે છેલ્લા સમયે રથયાત્રા મોરાભાગળથી શરૂઆત કરવાનું કહેતા મંદિરના મહંત દ્વારા રથયાત્રા નહિ કાઢવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ હરિભક્તોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધો હોવા છતાં પોલીસ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત આપવાનું કહેતા મહંતોમાં નિરાશા જોવા મળી હતી. 

સુરતમાં સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદિર દ્વારા કાઢવામા આવતી હોય છે. છેલ્લા 27 વર્ષથી આ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની યાત્રા સુરત રેલવે સ્ટેશનથી કાઢવામાં આવતી હોય છે. જોકે આ વખતે પણ કોરોનાનું ગ્રહણ રથયાત્રાને લાગ્યું છે. શરૂઆતના સમયે પોલીસ દ્વારા મૌખિક અનુમતિ આપવામાં આવી હતી કે, તેઓ પાલનપુર પાટિયાથી રથયાત્રા કાઢી શકશે. જોકે ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન આવી છે તે મુજબ જ રથયાત્રા કાઢવાનો મંદિરના ટ્રસ્ટીઓને કહેવામાં
આવ્યું હતું. 

આ ગાઈડલાઈનમાં ખાસ કરીને રથ ખેંચનારાની સંખ્યા માત્ર 60 ની હોવી જોઈએ. ઉપરાંત તમામ રથયાત્રામાં જોડાનારા મહંતોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત પણે જમા કરવાનું કહેવામાં આવતા મહંતોમાં નિરાશા જોવા મળી છે. કારણ કે તમામ મહંતો દ્વારા વેક્સિનના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા છે. તેમ છતાં આરટીપીસીઆર ટેસ્ટ માંગવામાં આવી રહ્યા છે. 

આ ઉપરાંત અત્યાર સુધી રથયાત્રા પાલનપુર પાટિયાથી કાઢવાનું કહેવામાં આવ્યું હતું. જે 3 કિલોમીટરનું અંતર હતું. જોકે એકાએક જ પોલીસ દ્વારા આ રથયાત્રા ટૂંકાવીને મોરાભાગળથી કાઢવાનું કહેવામાં આવ્યું છે. જે મંદિરથી માત્ર 5૦૦ મીટરનું અંતર થાય છે. જેથી મહંતો દ્વારા રથયાત્રા નહિ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે તમામ ભક્તજનોને એવી પ્રાર્થના કરી છે કે તેઓ મંદિર પરિસરની અંદર આવી રથયાત્રાના દર્શન કરે અને તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news