સુરત પાણીદાર બનશે! સુરતીઓને 50 વર્ષ સુધી પાણીની તંગી નહિ આવે તેવો જોરદાર પ્રોજેક્ટ તૈયાર

Tapi River Project : સુરતના તાપીના પાણીની દરિયામાં જતા અટકાવવા માટે પાલિકા દ્વારા તાપી નદી ઉપર કન્વેશનલ બેરેજ પ્રોજેક્ટ બનાવવામાં આવનાર છે, આ પ્રોજેક્ટ બાદ સુરત પાણીદાર બનશે

સુરત પાણીદાર બનશે! સુરતીઓને 50 વર્ષ સુધી પાણીની તંગી નહિ આવે તેવો જોરદાર પ્રોજેક્ટ તૈયાર

Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે. એટલું જ નહીં સુરત શહેરનાં લોકોને પાણીની અછત 50 વર્ષ સુધી નહીં સર્જાય. આ માટે સુરત મહાનગરપાલિકા તાપી નદી ઉપર કન્વેશનલ બેરેજ પ્રોજેક્ટ આગામી ચાર વર્ષમાં પૂર્ણ થાય તે રીતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તાપીનું પાણી દરિયામાં નહિ જાય
સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બરેજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના કારણે આવનાર વર્ષોમાં સુરતની પ્રજાને ક્યારે પણ પાણીની અછત સર્જાશે નહીં. સુરતથી પસાર થનાર તાપી નદી અરબી સમુદ્રમાં મળે છે. જેના કારણે કરોડો લીટર પાણી સમુદ્રમાં ઠલવાઇ જતું હતું. ખાસ કરીને મોનસુન સમય પીવાલાયક પાણી સમુદ્રમાં જતું હતું. મોનસુનના પાણીને કઈ રીતે સ્ટોરેજ કરી શહેરીજનોને પીવાલાયક પાણી આપી શકાય વિચાર સાથે સુરત મહાનગરપાલિકા તાપી નદી પર કરોડોના ખર્ચે બેરેજ બનાવશે. 

સુરતના કન્વેન્શનલ બેરેજની આ ખાસિયત છે

  • સુરત શહેરમાં વર્ષ 2033 ની 1.17 કરોડની વસ્તી અને 2048માં 2.27 કરોડની વસ્તી થવાનો અંદાજ છે
  • આ સુચીત બેરેજ ના કારણે 18.735 એમ.સી.એમ. પાણીનો સંગ્રહ થશે જેના કારણે મોટું સરોવર તાપી નદીમાં જ બની જશે
  • 1995માં સુરત પાલિકાએ તાપી નદી પર રાંદેર-સિંગણપોર વચ્ચે વિયરકમ કોઝ વે બનાવ્યો છે તેમાં 31 એમ.સી.એમ. પાણીનો સંગ્રહ થઈ શકે છે
  • બેરેજના ટેન્ડરની શરતો મુજબ, પાર્ટ-એ અન્વયે હાઇડ્રોગ્રાફિક, ટોપોગ્રાફી સર્વે, સોઇલ ઇન્વેસ્ટિગેશન, પૂરનો અંદાજ, ફિઝિકલ અને મેથેમેટિકલ મોડેલિંગ, પર્યાવરણ સ્ટડી વગેરે સહિત 76 જેટલી સ્ટડી, સરકારી મંજૂરી મળી ગઈ છે
  • આ બેરેજ માટે સરકાર હસ્તકની સંસ્થા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને બેરેજના ડિઝાઇન ની કામગીરી સોંપી છે. ડીઝાઇનના પ્રૂફ ચેકિંગ માટે સીડબલ્યુસી સાથે એમઓયુ કરાયા છે
  • બેરેજ સંલગ્ન બ્રિજના ડીઝાઈનના પ્રૂફ ચેકિંગની કામગીરી, ડિઝાઇન સર્કલ, આર એન્ડ બીને સોપવામા આવી છે
  • બેરેજના જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇગ જીએડી તથા કોફર ડેમ ડીઝાઇનના ડ્રોઇંગ સીડબલ્યુસી પ્રૂફ ચેકિંગ માટે મોકલવામાં આવ્યા છે

પ્રોજેક્ટ માટે 50 વર્ષના ડેટા એકઠા કરાયા
અંદાજે 972 કરોડ રૂપિયાના ખર્ચે આ નવી કનેક્ટિવિટી ઉભી કરવામાં આવશે. જેથી કરીને સુરતના વિકાસ માટે મહત્વનું બની રહેશે. છેલ્લા 50 વર્ષના ડેટા એકઠાં કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. બેરેજમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. રૂંઢથી ભાઠા વચ્ચે 1036 મીટરનો બેરેજ બનાવવામાં આવશે. જેમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. જેમાં એક ગેટ 15-7 મીટરનો એક ગેટ હશે અને તે 1.5 મીટર જેટલો પાણીમાં હશે. 

પહેલા તબક્કામાં દરેક પ્રકારના સર્વેની કામગીરી, રિપોર્ટ અને મંજૂરી મેળવવામાં આવશે. બીજા તબક્કામાં કન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં સાડા ત્રણથી ચાર વર્ષમાં કામ પૂર્ણ કરીને ઓએનએમ નક્કી કરવામાં આવશે.50 વર્ષના ડેટા મુજબ 10.52 લાખ ક્યુસેકના પૂર માટે ડિઝાઈન તૈયાર કરશે. 

પાણીની ક્વોલિટી સુધરશે
સુરતની પ્રજા માટે મહત્વકાંક્ષી કન્વેન્શનલ બેરેજ થકી રૂઢથી કોઝવે સુધીના 10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે. સરોવરમાં 1700 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પ્રોજેકટના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે. તાપી નદી 12 માસે મીઠાપાણીથી ભરાયેલી રહેતા શહેરના ભૂગર્ભ જળની ક્વોલિટી સુધરશે. સુચીત બેરેજની કામગીરી પૂરી થયા બાદ સુરત શહેરમાં વર્ષ 2033 ની 1.17 કરોડની વસ્તી અને 2048માં 2.27 કરોડની વસ્તી થવાનો અંદાજ છે. તેના માટે પાણી પુરવઠો આ બેરેજમાંથી પુરતા પ્રમાણમાં મળી રહેશે.

સુરત શહેરની લાંબાગાળાની પાણીની સુવિધા માટે આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરુપે સુરત પાલિકાએ રુંઢ અને ભાઠા વચ્ચે કન્વેશનલ બેરેજનું આયોજન કર્યું છે. બેરેજના મેથેમેટિકલ અને ફીઝીકલ મોડેલ સ્ટડી સરકારી સંસ્થા જીડબલ્યુપી આરએસ, પુણા પાસે પણ અલગથી કરવામાં આવી રહી છે. બેરેજ પ્રોજેક્ટ મેથેમેટિકલ સ્ટડી, ફિઝિકલ મોડેલ સ્ટડી ની કામગીરી પુર્ણ થઈ છે. સુરત શહેરના અતિ મહત્વકાંક્ષી એવા બેરેજ માટે 76 થી વધુ સર્વે સ્ટડી માટે પાલિકાને મંજુરી મળી છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news