લાખો રૂપિયા પરત કરી દીધા છતાં વ્યાજખોરોનો આતંક, કીડની વેચીને પૈસા ભરવાની આપી ધમકી, દંપત્તિએ નોંધાવી ફરિયાદ

ગુજરાતના અનેક શહેરોમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળે છે. ગુજરાત પોલીસના અનેક દાવાઓ છતાં લોકો વ્યાજખોરોના ત્રાસથી પીડિત છે. હવે અમદાવાદમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી એક દંપત્તિને ધમકી આપી હતી. આ મુદ્દે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. 

લાખો રૂપિયા પરત કરી દીધા છતાં વ્યાજખોરોનો આતંક, કીડની વેચીને પૈસા ભરવાની આપી ધમકી, દંપત્તિએ નોંધાવી ફરિયાદ

ઉદય રંજન, અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગની મોટી-મોટી વાતો છતાં હજુ અનેક લોકો વ્યાજખોરોના ત્રાસથી સતત પરેશાન છે. ગુજરાતમાં અત્યાર સુધી ઘણા લોકોએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસની કાર્યવાહી માત્ર કાગળ પર દેખાઈ રહી છે, જ્યારે હજુ અનેક લોકો વ્યાજખોરોના ત્રાસથી પરેશાન છે. અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદમાં વ્યાજની ઉઘરાણી માટે કીડની વેચી દેવાની ધમકી આપી છે. એક દંપત્તિએ સેટેલાઈટ પોલીસમાં તેની ફરિયાદ દાખલ કરાવી છે. 

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. જેમાં સ્પાના સંચાલક રાજુ કોટીયા નામના વ્યક્તિએ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી કીડની વેચી નાખવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે. સમગ્ર બનાવની વાત કરીએ તો રાજુ ભાઈ કોટીયા પામ્સ વેલનેસ હબ નામની સ્પા મસાજ દુકાન ચલાવે છે. સ્પાનાં વ્યવસાય માટે પૈસા જરૂર હોવાથી તેમણે વર્ષ 2019માં વનરાજસિંહ ચાવડા, મનોજ ખત્રી, હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં વ્યાજખોરો ઉંચા વ્યાજની ઉઘરાણી કરી પેનલટીના નામે પૈસા માગણી કરતાં હતાં. એટલું જ નહિ વ્યાજખોર વનરાજસિંહ ચાવડાએ આ દંપતીની કાર પણ પડાવી લીધી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વ્યાજખોર વનરાજસિંહ ચાવડા પાસેથી ફરિયાદીએ રૂપિયા 55 લાખ વ્યાજે લીધા હતા. જ્યારે મનોજ ખત્રી પાસેથી 45 લાખ રૂપિયા લીધા હતા. ત્યારે હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ રૂપિયા 65 લાખની ઉઘરાણી માટે આવતા હતા. જે પૈસા વિષ્ણુ વ્યાસના હતા. જોકે ચારેય વ્યાજખોરોનાં ત્રાસથી ફરિયાદીએ પોતાની જમીન, મકાન, સોનું સહિત તમામ કિંમતી ચિઝવસ્તુંઓ વેચી તમામ પૈસા વ્યાજ સહિત ચૂકતે દીધા હતા. છતાં પણ છેલ્લા 3 મહિનાથી વ્યાજખોરો ત્રાસ આપતા હતા. જેથી ફરિયાદી રાજુ કોટીયાએ વ્યાજખોરો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસમાં ફરિયાદ નોધાવી છે..

વ્યાજખોર વનરાજસિંહ ચાવડા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. જેથી સેટેલાઇટ પોલીસે ચાર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમના ગુનાહિત ઇતિહાસને લઈ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ વ્યાજખોરોએ અન્ય કોઈ પરિવાર પાસેથી વ્યાજની ઉઘરાણી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news