મેલડી માતાનું મંદિર ક્યાં છે...? સરનામું પૂછ્યા બાદ બદમાશોએ વૃદ્ધા પર નાંખ્યું કેમિકલ, પછી...

નવસારી શહેરમાંથી બે વૃદ્ધાને છેતરીને સોનાના દાગીના પડાવી લેવાની બે ઘટના એક જ મહિનામાં બની હતી. જેમાં નવસારી પોલીસની કામગીરીને કારણે બંને ગુનાના આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે.

મેલડી માતાનું મંદિર ક્યાં છે...? સરનામું પૂછ્યા બાદ બદમાશોએ વૃદ્ધા પર નાંખ્યું કેમિકલ, પછી...

ધવલ પરીખ/નવસારી: મેલડી માતાનું મંદિર ક્યાં છે..? પૂછ્યા બાદ વૃદ્ધા ઉપર કોઈક કેમિકલ નાંખી, બેહોશ કરીને દોઢ તોલાની સોનાની ચેઈન લૂંટી જનારા બદમાશોમાંથી એકને નવસારી LCB પોલીસે પકડી પાડ્યો છે, લૂંટેલી 73 હજારની સોનાની ચેઈન પણ રિકવર કરી છે. જ્યારે હજી એક પોલીસ પકડથી દૂર છે. 

નવસારીના ગણદેવી ટાઉનમાં ગણેશ કોમ્પલેક્ષમાં રહેતા ઉષાબેન ભરતિયા નવસારી ખાતે કંસારા સમાજના મંડળમાં 73 વર્ષે પણ સક્રિયતા સાથે કામ કરે છે. ગણદેવીથી રોજ બસમાં આવન જાવન કરતા ઉષાબેન ગત 31 ઓગસ્ટની સવારે પોતાના નિત્યક્રમ મુજબ ST બસમાં નવસારી પહોંચ્યા હતા. શહેરના લુન્સીકુઈ સ્થિત ઠક્કરબાપા કન્યા છાત્રાલય પાસે ઉતાર્યા બાદ, તેઓ રસ્તો ક્રોસ કરવાની તૈયારીમાં હતા. પરંતુ ટ્રાફિક હોવાને કારણે તેઓ અટક્યા, એ જ સમયે તકનો લાભ લઇ બાઇક ઉપર આવેલા બે યુવાનોએ તેમને મેલડી માતાનું મંદિર ક્યાં છે..? સરનામું પૂછ્યું જેનો તેમણે ધ્યાન આપ્યા વિના નામાં જવાબ આપ્યો હતો. 

પરંતુ તેમની પાસેથી થોડે આગળ ગયા બાદ તેઓ ફરીને પાછા આવ્યા અને ઉષાબેનના માથા ઉપર કંઈક નાખ્યું હોય એવું તેમને લાગ્યુ હતું. થોડા સમયમાં માથું ભારે લાગ્યું અને ચક્કર આવતાં તેઓ નીચે ફૂટપાટ ઉપર બેસતા જ બેહોશ થઈ ગયા હતા. જ્યારે ઉષાબેન ભાનમાં આવ્યા ત્યારે તેમનું પાકીટ તેમનાથી થોડે દૂર હતું અને ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની દોઢ તોલા સોનાની ચેઈન ગાયબ હતી. જોકે હિંમત કરીને તેઓ મંડળીની ઓફિસે ગયા અને રાત્રે ઘરે પહોંચતા તેમની દીકરીને આપવિતી જણાવી હતી. સમગ્ર પ્રકરણમાં પરિવારજનોની હિંમત બાદ ઉષાબેને નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

બીજી તરફ એક પછી એક વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવતી હોવાની ઘટના સામે આવ્યા બાદ સતર્ક થયેલી નવસારી LCB પોલીસને બાતમી મળી હતી કે, નવસારીના લુન્સિકૂઈ પાસે વૃદ્ધાને છેતરી સોનાના દાગીના લઈ જનાર બદમાશોમાંનો એક રીંગરોડ તરફ આંટા મારે છે. જેથી પોલીસે તાત્કાલિક રીંગરોડ પર પહોંચી, શંકાસ્પદ વ્યક્તિને પકડીને પૂછપરછ કરતા, ગાંધીનગરના દહેગામ સ્થિત મદારીવાસમાં રહેતો 31 વર્ષીય સંજયનાથ સુરમનાથ મદારી હોવાનું ખુલ્યું હતુ. 

જેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે 31 ઓગસ્ટે તેના બનેવી અને ખેડા જિલ્લાના કપડવંજના તૈયબપુરામાં રહેતા બોપલનાથ દિલીપનાથ મદારી સાથે વૃદ્ધાને છેતરીને સોનાની ચેઈન લુંટી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપી સંજયનાથ પાસેથી 73 હજાર રૂપિયાની સોનાના પેન્ડલ સાથેની ચેઈન રિકવર કરી છે. સાથે જ તેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી તેના સાથીદાર બોપલનાથને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.

નવસારી શહેરમાંથી બે વૃદ્ધાને છેતરીને સોનાના દાગીના પડાવી લેવાની બે ઘટના એક જ મહિનામાં બની હતી. જેમાં નવસારી પોલીસની કામગીરીને કારણે બંને ગુનાના આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. જેમાં એકમાં લૂટેલા દાગીના રિકવર થયા છે. જ્યારે બીજામાં પોલીસ રિકવરી કરવાના પ્રયાસમાં છે. જોકે અહીં એકલદોકલ વૃદ્ધ મહિલાઓએ સતર્ક રહેવાની પણ જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news