લાંછનપુરની મહી નદી જોખમી છતા લોકો પાણીમાં ઉતરે છે, તબીબી વિદ્યાર્થીઓ પણ બોર્ડ જોયા વગર પાણીમાં ગયા

લાંછનપુરની મહી નદી જોખમી છતા લોકો પાણીમાં ઉતરે છે, તબીબી વિદ્યાર્થીઓ પણ બોર્ડ જોયા વગર પાણીમાં ગયા
  • લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નિપજ્યાં 
  • પ્રશાસન દ્વારા નદી કિનારે ઉંડા પાણીમાં ન જવા માટેની સુચના આપતા બોર્ડ પણ લગાવ્યા છે. છતાં, લોકો નદીના ઉંડા પાણીમાં નાહવા ઉતરે છે

રવિ અગ્રવાલ/વડોદરા :સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદી કિનારે પિકનીક મનાવવા માટે ગયેલા બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોના ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા. જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. 

બચાવો...બચાવો.. ની બુમરાણ મચાવતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા
મળેલી માહિતી પ્રમાણે વડોદરામાં બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 12 સ્ટુડન્ટોનું ગૃપ વહેલી સવારે સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના કિનારે ઉત્સાહ સાથે પિકનીક મનાવવા માટે ગયું હતું. નદી કિનારે પહોંચેલા ગૃપ પૈકી સિધ્ધી નિમેશભાઇ શાહ (ઉં.20), અમોઘ ગોયલ (ઉં.વ.20) સહિત કેટલાંક સ્ટુડન્ટો નદીમાં નાહવા ગયા હતા. જેમાં સિધ્ધી શાહ અને અમોઘ ગોયલ સહિત ત્રણ સ્ટુડન્ટો મહી નદીના ઉંડા પાણીમાં પહોંચી જતાં તણાઇ ગયા હતા. મહી નદીના વહેતા પાણીમાં તણાઇ રહેલા સ્ટુડન્ટ્સે બચાવો...બચાવો.. ની બુમરાણ મચાવતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને એક સ્ટુડન્ટને બચાવી લીધો હતો. જ્યારે સિધ્ધી શાહ અને અમોઘ ગોયલ ઉંડા પાણીમાં ઘરક થઇ જતા લાપતા થઇ ગયા હતા. લગભગ એક કલાકની જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સમાં તેઓને વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જોકે, ડૂબી ગયેલા બંને સ્ટુડન્ટ સયાજી હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં તેઓનું રસ્તામાં મોત નિપજ્યું હતું. મોતને ભેટેલ સિધ્ધી શાહ અને અમોઘ ગોયલ ન્યુ મેડિકલ હોસ્ટેલમાં રહેતા અને એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

બહાર કાઢ્યા બાદ પ્રાથમિક ઉપચાર આપ્યો પણ તે ફેલ ગયો 
નદીમાં ડૂબી ગયેલ સિધ્ધી શાહ અને અમોઘ ગોયલને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા બાદ સાથી તબીબી સ્ટુડન્ટ્સે પ્રાથમિક ઉપચાર કરી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બચાવી શક્યા ન હતા. સિધ્ધી શાહ અને અમોઘ ગોયલનું મોત નીપજતાં સાથી સ્ટુડન્ટો સહિત બરોડા મેડિકલ કોલેજમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે સિધ્ધી શાહ અને અમોઘ ગોયલના સાથી સ્ટુડન્ટો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. 

લાંછનપુરની મહીએ અનેક લોકોના જીવ લીધા છે 
ઉલ્લેખનીય છે કે, લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નિપજ્યાં છે. પ્રશાસન દ્વારા નદી કિનારે ઉંડા પાણીમાં ન જવા માટેની સુચના આપતા બોર્ડ પણ લગાવ્યા છે. આમ છતાં, પિકનીક મનાવવા જતા લોકો નદીના ઉંડા પાણીમાં નાહવા માટે ઉતરે છે. અને મોતને ભેટતા હોય છે. તાજેતરમાં સાવલી પોલીસ મથકના અધિકારીએ લાંછનપુર પાસેથી પસાર થતી મહિ નદીમાં ડૂબી જવાની બનતી ઘટનાઓ અંગે કડક કાર્યવાહી કરવા માટે સાવલી મામલતદારને પત્ર લખી જાણ કરી હતી. પરંતુ, સાવલી વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

આજે સવારે બરોડા મેડિકલ કોલેજના બે તબીબી સ્ટુડન્ટો સુધી પાણીમાં રહેલા બંનેનું ડૂબી જવાથી મોત નીપજતાં મૃતદેહો ઉપર આવી ગયા હતા. જે મૃતદેહોને સ્થાનિક લોકોએ મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ તબીબી સ્ટુડન્ટો સિધ્ધી શાહ અને અમોઘ ગોયલના લાછનપુર મહિ નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની જાણ સાવલી પોલીસને થતાં તુરત જ પોલીસ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે મૃતક સ્ટુડન્ટના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. સાવલી પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news