Ayodhya Case Timeline : જાણો મસ્જિદ નિર્માણથી સુનાવણી પૂર્ણ થવા સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ

ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ અંગે શનિવારે સવારે 10.30 કલાકે ચૂકાદો સંભળાવામાં આવશે. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.
 

Ayodhya Case Timeline : જાણો મસ્જિદ નિર્માણથી સુનાવણી પૂર્ણ થવા સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ દેશની સર્વોચ્ચ અદાલત આવતીકાલે શનિવારે અયોધ્યા-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં સવારે 10.30 કલાકે પોતાનો ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી બેન્ચ દ્વારા 6 ઓગસ્ટ, 2019ના રોજ આ કેસમાં રોજે-રોજની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી 16 ઓક્ટોબર, 2019ના રોજ પુરી થી હતી. સુપ્રીમ કોર્ટમાં સળંગ 40 દિવસ સુધી રોજે-રોજ સુનાવણી પછી ચૂકાદો અનામત રાખવામાં આવ્યો હતો. 

ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 16મી સદીમાં બાંધવામાં આવેલી બાબરી મસ્જિદનું માળખું 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવામાં આવ્યું હતું. 

સુપ્રીમ કોર્ટે 134 વર્ષ જૂના જમીન માલિકીના આ કેસમાં 16 ઓક્ટોબરના રોજ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થવાના હોવાથી તેના પહેલા આ ચૂકાદો આવી જાય તેવી સંભાવના હતી. છેલ્લા કેટલાક દાયકાથી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે આ જગ્યાની માલિકી અંગે વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુઓનો દાવો છે કે, 1528-29માં મોગલ શહેનશાહ બાબરના મુખ્ય કમાન્ડર મીર બાકી દ્વારા જે જગ્યાએ મસ્જિદ બાંધવામાં આવી હતી તે ભગવાન રામનું જન્મસ્થાન છે. 

જાણો અયોધ્યા વિવાદનો સંપૂર્ણ ઘટનાક્રમઃ 
1528 : મોગલ શહેનશાર બાબરના મુખ્ય કમાન્ડર મીર બાકી દ્વારા મસ્જિદનું નિર્માણ કરાયું, જેને બાબરના નામથી 'બાબરી મસ્જિદ' નામ અપાયું. 

1853 : અવધના નવાબ વાજિદ અલી શાહના સમયમાં પવિત્ર સ્થાન બાબતે સૌ પ્રથમ હિંસક વિવાદ થયો. હિન્દુ ધર્મના નિર્મોહી અખાડા દ્વારા એવો દાવો કરાયો કે, બાબરના સમયમાં અહીં રહેલું હિન્દુ મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હતી. 

1859 : બ્રિટિશ સરકાર દ્વારા અહીં પ્રાર્થના માટેના બે સ્થળને જુદા પાડવા માટે દિવાલ બનાવાઈ. મુસ્લિમોને અંદર જઈને પ્રાર્થના કરવાની મંજુરી અપાઈ, જ્યારે હીન્દુઓને પૂજા માટે બહારનું સ્થાન આપવામાં આવ્યું. 

1885 : જાન્યુઆરી, 1885માં મહંદ રઘુબીર દાસ દ્વારા પ્રથમ કેસ દાખલ કરાયો. તેમણે મસ્જિદની બહારના ભાગમાં રામચબુતરો બનાવવાની મંજુરી માગી. ફેઝાબાદ જિલ્લા કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવાઈ. 

1949 : મસ્જિદના અંદરના ભાગમાં ભગવાન રામની મૂર્તિ મળી આવી. હિન્દુ જૂથ દ્વારા આ મૂર્તિ અંદર મુકવાનો આરોપ લગાવાયો હતો. બંને પક્ષો દ્વારા કેસ દાખલ કરાયો. સરકારે સમગ્ર વિસ્તારને વિવાદિત જાહેર કર્યો અને વિસ્તારને બંધ કરીને બહારથી તાળું મારી દેવાયું. 

1950 : ગોપાલ સિંઘ વિશારદ અને મહંત પરમહંસ રામચંદ્ર દાસે ફેઝાબાદ જિલ્લા કોર્ટમાં જન્મસ્થાન પર રહેલી મૂર્તિની પૂજા કરવાની મંજુરી માગી. અંદરના ભાગને તાળું મારેલું રાખવામાં આવ્યું અને બહારના ભાગે પૂજા કરવાની મંજુરી અપાઈ. 

1959 : નિર્મોહી અખાડા દ્વારા ત્રીજી અરજી દાખલ કરાઈ, જેમાં આ સ્થળનો કબ્જો આપવાની માગ કરાઈ. સાથે જ રામ જન્મ ભૂમિના તેઓ માલિક હોવાનો દાવો રજુ કર્યો. 

1961 : સુન્ની કેન્દ્રીય વકફ બોર્ડ દ્વારા મસ્જિદના અંદર મૂર્તિઓ મુકવા સામે કેસ દાખલ કરવામાં આવ્યો. તેમણે દાવો કર્યો કે, મસ્જિદ અને તેની આજુબાજુની જમીન કબ્રસ્તાન છે. 

1984 : જન્મભૂમિના સ્થળે રામ મંદિરના નિર્માણ માટે હિન્દુ જૂથ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી. રામ મંદિર નિર્માણ ચળવળ શરૂ કરવાનો નિર્ણય લેવાયો. ભારતીય જનતા પાર્ટીના નેતા એલ.કે. અડવાણીએ આ ચળવળનું નેતૃત્વ લીધું. 

1986 : હરી શંકર દુબેની અરજીની સુનાવણી પછી ફૈઝાબાદ જિલ્લા કોર્ટ દ્વારા મસ્જિદના દરવાજા ખુલ્લા રાખવાનો અને હિન્દુઓને ત્યાં પૂજા કરવા દેવાનો આદેશ આપ્યો. હિન્દુ પક્ષને મસ્જિદના અંદર પૂજા કરવાની મંજુરી અપાયા પછી મુસ્લિમ પક્ષ દ્વારા તેનો વિરોધ શરૂ કરાયો અને 'બાબરી મસ્જિદ એક્શન કમિટિ'ની રચના કરવામાં આવી. 

1989 : વિશ્વ હિન્દુ પરિષદ(VHP) દ્વારા બાબરી મસ્જિદની બાજુમાં રામ મંદિર નિર્માણનો પાયો નાખવામાં આવ્યો. VHPના પૂર્વ નાયબ અધ્યક્ષ જસ્ટિસ દેવકીનંદન અગ્રવાલ દ્વારા કેસ દાખલ કરીને એવી માગણી કરાઈ કે મસ્જિદને કોઈ અન્ય સ્થળે ખસેડવામાં આવે. ફૌઝાબાદમાં આ સંબંધિત ચાર અરજીઓ પડતર હતી, જેના અલાહાબાદ હાઈકોર્ટની વિશેષ બેન્ચને ટ્રાન્સફર કરવામાં આવી. 

1990 : VHPના કાર્યકર્તાઓએ મસ્જિદનો કેટલોક ભાગ તોડી નાખ્યો. તત્કાલિન વડાપ્રધાન ચંદ્રશેખરે મધ્યસ્થી કરી અને વાટાઘાટો દ્વારા વિવાદનું સમાધાન કરવાના પ્રયાસ શરૂ કર્યા. સપ્ટેમ્બર મહિનામાં અડવાણીએ લોકોમાં રામ મંદિર પ્રત્યે જાગૃતિ લાવવા રથયાત્રા શરૂ કરી. તેમણે ગુજરાતના સોમનાથ મંદિરથી રથયાત્રા કાઢી, જે અયોધ્યા ખાતે સમાપ્ત થવાની હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

1991 : ભાજપ મુખ્ય વિરોધ પક્ષ બન્યો અને રથયાત્રાના કારણે તેમને ઉત્તર પ્રદેશમાં સત્તા મળી. અયોધ્યામાં કારસેવકો એક્ઠા થવાનું શરૂ થયું અને મંદિર બાંધકામની ચળવળ શરૂ થઈ. 

1992 : 6 ડિસેમ્બરના રોજ શિવસેના, વીએચપી અને ભાજપના કારસેવકો દ્વારા વિવાદિત બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યું. તેના કારણે દેશમાં મોટા પાયે કોમી રમખાણો ફાટી નિકળ્યા અને લગભગ 2000થી વધુ લોકોનાં મોત થયા. વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 16 ડિસેમ્બરના રોજ સમગ્ર ઘટનાની તપાસ માટે ન્યાયાધિશ એમ.એસ. લિબરહાનની અધ્યક્ષતામાં તપાસ પંચ નિમવામાં આવ્યું. 

2001 : બાબરી મસ્જિદની વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશમાં વાતાવરણ તંગ બન્યું. વિએચપી દ્વારા રામ મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ ફરીથી વ્યક્ત કરાયો. 

2002 : ફેબ્રુઆરી, 2002માં ગુજરાતના ગોધરામાં એક ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો, જેમાં બેસીને કારસેવકો અયોધ્યા જઈ રહ્યા હતા. આ ઘટનામાં 58 લોકોનાં મોત થયા. ત્યાર પછી ગુજરાત રાજ્યમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા અને તેમાં 1000થી વધુ લોકોનાં મોત થયા. અલાહાબાદ હાઈકોર્ટે ભારતની પુરાતત્વ શાખાને આ સ્થળે ખોદકામ કરીને ભૂતકાળમાં અહીં મંદિર હતું કે નહીં તે શોધી કાઢવા માટે આદેશ આપ્યો. એપ્રિલ, 2002માં હાઈકોર્ટના ત્રણ ન્યાયાધિશો દ્વારા વિવાદિત સ્થળની માલિકી કોની છે તેના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી. 

2003 : પુરાતત્વ ખાતા દ્વારા આ સ્થળે મંદિર હતું કે નહીં તેના અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો. તેણે શોધી કાઢ્યું કે મસ્જિદના નીચે મંદિરના અવશેષો છે. મુસ્લિમ સંસ્થાઓએ આ બાબતે વિરોધ કર્યો. સપ્ટેમ્બર મહિનામાં કોર્ટે 7 હિન્દુ નેતાઓને મસ્જિદને તોડી નાખવા અને હિંસા માટે દોષિત ઠેરવ્યા. તત્કાલિન નાયબ વડાપ્રધાન અડવાણી સામે કોઈ પણ ચાર્જ લગાવાયો ન હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

2004 : કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સત્તામાં આવી. ઉત્તર પ્રદેશની કોર્ટે જણાવ્યું કે, આડવાણીને મુક્ત કરવાના કેસની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. 

2005 : શંકાસ્પદ મુસ્લિમ આતંકવાદીઓ વિવાદિત સ્થાન પર હુમલો કર્યો. સુરક્ષા દળોએ કથિત પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા અને છઠ્ઠો અજાણ્યો વ્યક્તિ પણ માર્યો ગયો. 

2009 : જુન મહિનામાં લિબ્રાહન પંચ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો. ભાજપના નેતાઓ પર મસ્જિદ તોડી નાખવા બાબતે જવાબદાર ઠેરવાયા હોવાના કારણે સંસદમાં વિવાદ થયો. 

2010 : અલાહાબાદ હાઈકોર્ટે ચાર પડતર કેસ બાબતે પોતાનો ચૂકાદો આપ્યો. ઐતિહાસિક ચૂકાદામાં આલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી નાખી. એક તૃતિયાંશ જમીન રામલલાને આપવામાં આવી, જેની પ્રતિનિધિ હિન્દુ મહાસભા હતી; એક તૃતિયાંશ જમીન ઈસ્લામિક વકફ બોર્ડને આપવામાં આવી; બાકીનો ત્રીજો ભાગ નિર્મોહી અખાડાને આપવાનો આદેશ આપવામાં આવ્યો. ડિસેમ્બર મહિનામાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા અને સુન્ની વકફ બોર્ડ દ્વારા અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. 

2011 : મે મહિનામાં સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચવાના ઐતિહાસિક ચૂકાદ પર સ્ટે આપ્યો અને 'પૂર્વવત સ્થિતિ' રાખવાનો આદેશ આપ્યો. 

2014 : નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

2015 : વીએચપી દ્વારા દેશભરમાંથી રામ મંદિર નિર્માણ માટે પથ્થરો એક્ઠા કરવાનું અભિયાન ચલાવાયું. ડિસેમ્બર મહિનામાં બે ટ્રક ભરીને પત્થર વિવાદિત સ્થાન પર લાવવામાં આવ્યા. મહંત નૃત્ય ગોપાલ દાસે દાવો કર્યો કે મોદી સરકાર તરફથી મંદિર નિર્માણ કરવાની લીલી ઝંડી મળી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સરકારે જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પથ્થર લઈને આવી રહેલા ટ્રકને પ્રવેશની મંજુરી અપાશે નહીં. 

માર્ચ, 2017 : સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, 1992 બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં આડવાણી અને અન્ય નેતાઓ સામેના ચાર્જિસ દૂર કરાશે નહીં અને કેસની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. 

21 માર્ચ, 2017 : સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ સમગ્ર બાબત અત્યંત સંવેદનશીલ છે અને તેનું કોર્ટની બહાર સમાધાન કરવું જોઈએ. તેણે જમીન માલિકીનો દાવો કરનારાને વાટાઘાટો દ્વારા એક સર્વસંમત સમાધાન શોધવા જણાવ્યું. 

સપ્ટેમ્બર, 2018 : સુપ્રીમ કોર્ટે 1994ના ફારુકી ચૂકાદાની સમીક્ષા કરવાની અરજી ફગાવી દીધી અને સાથે જ પડતર કેસોની સુનાવણી કરવામાં તેને કોઈ વાંધો નથી એવું જણાવ્યું. 

ઓક્ટોબર, 2018 : સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જમીન વિવાદનો કેસ જાન્યુઆરી, 2019માં 'વિશેષ બેન્ચ' સમક્ષ લિસ્ટ કરવામાં આવશે. ભાજપના નેતાઓ દ્વારા આ કેસનો ઝડપી ચૂકાદો આપવાનું દબાણ ઊભું કરવામાં આવતાં મુખ્ય ન્યાયાયાધિશના અધ્યક્ષતા વાળી જસ્ટિસ એસ.કે. કૌલ અને કે.એમ. જોસેફની બેન્ચે જણાવ્યું કે, "આ કેસ સંબંધિત અરજીઓની સુનાવણી માટેનું શિડ્યુલ વિશેષ બેન્ચ નક્કી કરશે."

8 જાન્યુઆરી, 2019 : સુપ્રીમ કોર્ટે જમીન વિવાદ કેસની સુનાવણી માટે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધિશની બેન્ચની રચના કરી. જેમાં ન્યાયાધિશ એસ.એ. બોબડે, એન.વી. રમન્ના, યુ. યુ. લલિત અને ડી. વાય. ચંદ્રચૂડનો સમાવેશ કરવામાં આવ્યો. 

10 જાન્યુઆરી, 2019 : જસ્ટિસ યુ.યુ. લલિત બેન્ચમાંથી નિકળી ગયા અને સુપ્રીમ કોર્ટને 29 જાન્યુઆરી પહેલા નવી બેન્ચની રચના કરવા જણાવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

25 જાન્યુઆરી, 2019 : સુપ્રીમ કોર્ટ દ્વારા 5 સભ્યોની નવી બંધારણિય બેન્ચની રચના કરવામાં આવીત. જેમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતા સાથે ન્યાયાધિશ એસ.એ. બોબડે, ડી. વાય. ચંદ્રચૂડ, અશોક ભુષણ અને એસ.એ. નઝીરનો સમાવેશ કરવામાં આવ્યો. 

27 જાન્યુઆરી, 2019 : ન્યાયાધિશ એસ.એ. બોબડે ઉપલબ્ધ ન હોવાના કારણે સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરીની સુનાવણી રદ્દ કરી. 

29 જાન્યુઆરી, 2019 : કેન્દ્ર સરકારે વિવાદિત સ્થળે ટાંચમાં લેવામાં આવેલી 67 એકર જમીન તેના મૂળ માલિકોને સુપરત કરવાની મંજુરી માગતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી. 

20 ફેબ્રુઆરી, 2019 : સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે 26 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી. 

26 ફેબ્રુઆરી, 2019 : સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીની તરફેણ કરી. 5 માર્ચના રોજ સમગ્ર બાબત મધ્યસ્થીને સોંપવી કે નહીં તેના અંગેનો ચૂકાદો આપવા નક્કી કરી. 

6 માર્ચ, 2019 : સુપ્રીમ કોર્ટે જમીન વિવાદનો કેસનો ઉકેલ મધ્યસ્થી દ્વારા લાવવો કે નહીં તેના અંગેનો ચૂકાદો અનામત રાખવામાં આવ્યો. 

8 માર્ચ, 2019 : સુપ્રીમ કોર્ટે જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી માટે સૂપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એફ.એમ. કલિફૂલ્લાની અધ્યક્ષતામાં બનેલી સમિતિને સોંપ્યો. 

10 મે, 2019 : મધ્યસ્થી સમિતિએ સુપ્રીમ કોર્ટને પોતાનો અંતિમ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સુપરત કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

2 ઓગસ્ટ, 2019 : મધ્સથી દ્વારા જમીન વિવાદનો ઉકેલ લાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા. આથી મુખ્ય ન્યાયાધિશના અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચે 6 ઓગસ્ટના રોજથી રોજે-રોજ સુનાવણી કરવાનો નિર્ણય લીધો. 

6 ઓગસ્ટ, 2019 :  સુપ્રીમ કોર્ટની બંધારણી બેન્ચે જમીન વિવાદ કેસમાં દાવો કરનારા હિન્દુ અને મુસ્લિમ એમ બંને પક્ષોની દલીલો સાંભળવાની શરૂઆત કરી. 

ઓક્ટોબર, 2019 : સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તેઓ 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ કરી દેશે. 

14 ઓક્ટોબર, 2019 : બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસના ચુકાદા પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી ધારા-144 લાગુ કરવામાં આવી. 

15 ઓક્ટોબર, 2019 : મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ જણાવ્યું કે, તેઓ 16 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ કરી દેશે. 

16 ઓક્ટોબર, 2019 : અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધિશ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, "'બસ હવે બહુ થયું', આજે સાંજે 5 કલાક સુધીમાં સુનાવણી પૂર્ણ કરી દેવાશે."

8 નવેમ્બર, 2019 : સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદ-રામ જન્મભુમિ જમીન વિવાદ કેસનો ચૂકાદો 9 નવેમ્બરના રોજ આપવામાં આવશે તેવી કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી. 

(ઈનપૂટ વીથ એજન્સીઝ)

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news