અયોધ્યા કેસ: મધ્યસ્થતા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારે મધ્યસ્થતા અંગે ઈન્કાર કરી દીધો. હિન્દુ મહાસભા મધ્યસ્થતા માટે તૈયાર થઈ નહી. આ અંગે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે વિકલ્પ અજમાવ્યા વગર મધ્યસ્થતાને ફગાવવામાં કેમ આવી રહી છે?

અયોધ્યા કેસ: મધ્યસ્થતા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારે મધ્યસ્થતા અંગે ઈન્કાર કરી દીધો. હિન્દુ મહાસભા મધ્યસ્થતા માટે તૈયાર થઈ નહી. આ અંગે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે વિકલ્પ અજમાવ્યા વગર મધ્યસ્થતાને ફગાવવામાં કેમ આવી રહી છે? કોર્ટે કહ્યું કે ભૂતકાળ પર આપણું નિયંત્રણ નથી. પરંતુ અમે સારા ભવિષ્યની જરૂરી કોશિશ કરી શકીએ છીએ. આ મામલે સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની પાંચ સભ્યોની બેન્ચ  કરી રહી છે. કલાક સુધી ચાલેલી સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસમાં મધ્યસ્થતા થશે કે નહીં તે અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

જસ્ટિસ એસ.એ બોબડેએ સુનાવણી  દરમિયાન કહ્યું કે બાબરે જે કર્યું તેને આપણે બદલી શકીએ નહીં. અમારો હેતુ વિવાદનો ઉકેલ લાવવાનો છે. ઈતિહાસની જાણકારી અમને પણ છે. તેમણે વધુમાં કહ્યું કે મધ્યસ્થતાનો અર્થ કોઈ પક્ષની હાર કે જીત નથી. તે દિલ, દિમાગ, ભાવનાઓ સાથે જોડાયેલો મામલો છે. અમે મામલાની ગંભીરતાને લઈને સચેત છીએ. 

જસ્ટિસ બોબડેએ એમ પણ કહ્યું કે જ્યારે મધ્યસ્થતાની પ્રક્રિયા ચાલી રહી હોય તો તેમાં શું થઈ રહ્યું છે તે મીડિયામાં જવું જોઈએ નહીં. જસ્ટિસ બોબડેએ મધ્યસ્થતાની વિશ્વસનિયતાને જાળવી રાખવા પર  ભાર મૂકતા કહ્યું કે જ્યારે અયોધ્યા વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા ચાલી રહી હોય તો તે અંગે અહેવાલોમાં કઈં લખાવવું જોઈએ નહીં, કે દર્શાવવું જોઈએ નહીં. 

— ANI (@ANI) March 6, 2019

તેમણે વધુમાં કહ્યું કે અમે મીડિયા પર પ્રતિબંધ લગાવતા નથી પરંતુ મધ્યસ્થતાનો હેતુ કોઈ પણ સંજોગોમાં પ્રભાવિત થવો જોઈએ નહીં. એક હિન્દુ પક્ષકારે કોર્ટમાં દલીલ કરી કે મધ્યસ્થતા માટે આદેશ જારી કરતા પહેલા પબ્લિક નોટિસ જરૂરી હોય છે. દલીલ આપી કે અયોધ્યા મામલો ધાર્મિક અને આસ્થા સંલગ્ન જોડાયેલો છે. આ માત્ર સંપત્તિ વિવાદ નથી. હિન્દુ પક્ષકારના વકીલે કહ્યું કે મધ્યસ્થતાથી કોઈ ફાયદો નથી. કોઈ તૈયાર થશે નહીં. જેના પર સીજેઆઈએ કહ્યું કે અત્યારથી જ સ્વીકારી લેવું કે ફાયદો નહીં થાય, તે યોગ્ય નથી. 

અત્રે જણાવવાનું કે મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે મેડિએશનની એક તક આપી શકાય, પણ હિન્દુ પક્ષકારોને એ સ્પષ્ટ હોવું જોઈએ કે કેવી રીતે આગળ વધાશે. જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે અમે એક પ્રોપર્ટી વિવાદને નિશ્ચિત રીતે ઉકેલી શકીએ છીએ, પરંતુ અમે સંબંધોને વધુ સારા કરવા પર વિચાર કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને દસ્તાવેજોના અનુવાદ જોવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે અમારા મત મુજબ 8 અઠવાડિયાના સમયનો ઉપયોગ પક્ષ મધ્યસ્થતા દ્વારા મામલો ઉકેલવા માટે પણ  કરી શકીએ છીએ. 

હકીકતમાં ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો સમાધાન કે મધ્યસ્થતા માટે એક ટકા જેટલા પણ ચાન્સ હોય તો પ્રયત્નો થવા જોઈએ. જસ્ટિસ બોબડેએ  કહ્યું હતું કે મેડિએશનની પ્રક્રિયા ગોપનીય રહેશે અને તે ભૂમિ વિવાદની સુનાવણીની સાથે સાથે ચાલશે. હિન્દુ અને મુસલમાન પક્ષકારોનું કહેવું હતું કે પહેલા પણ કોર્ટની પહેલ પર આ પ્રકારે વિવાદ ઉકેલવાની કોશિશ નિષ્ફળ ગયેલી છે. 

નોંધનીય છે કે ગત વર્ષે સુપ્રીમ કોર્ટમાંથી મુસ્લિમ પક્ષોને મોટો આંચકો મળ્યો હતો. કોર્ટે 1994ના ઈસ્માઈલ ફારુકી ચુકાદામાં પુર્નવિચાર માટે મામલાને બંધારણીય પેનલમાં મોકલવાની ના પાડી દીધી હતી. મુસ્લિમ પક્ષોએ નમાજ માટે મસ્જિદને ઈસ્લામનો જરૂરી ભાગ ન દર્શાવતા ઈસ્માઈલ ફારુકીના ચુકાદા પર પુર્નવિચારની માગણી કરી હતી. નોંધનીય છે કે રામ મંદિર માટે થનારા આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને પાડી નાખવામાં આવી હતી. આ મામલે અપરાધિક કેસની સાથે સાથે દીવાની કેસ પણ ચાલ્યો હતો. ટાઈટલ વિવાદ સંબંધિત મામલો સુપ્રીમમાં પેન્ડિંગ છે. 

અલાહાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર, 2010ના રોજ અયોધ્યા ટાઈટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો, જેમાં વિવાદિત વિસ્તારને 3 ભાગમાં વહેંચવાનો આદેશ અપાયો હતો. જે જગ્યાએ રામલલ્લાની મૂર્તિ છે, ત્યાં રામલલ્લાને બિરાજમા કરવામાં આવે. સીતા રસોઈ અને રામ ચબૂતરો નિર્મોહી અખાડાને આપવામાં આવે અને એક તૃતિયાંશ જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવે. ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 

અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલ્લા બિરાજમાન અને હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીજી તરફ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે પણ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા સામે અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ અન્ય પક્ષકારોએ પણ અરજીઓ લગાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news