Farmers Protest: સરકારે ટ્વિટરને 1178 એકાઉન્ટની યાદી મોકલી- કહ્યું બધાને બ્લોક કરો

ભારતમાં ટ્વિટર (Twitter) ના કારોબાર પર સંકટ તોળાઈ રહ્યું છે. સરકારે વધુ એક નોટિસ ફટકારીને કહ્યું કે તેઓ 1178 એકાઉન્ટ બ્લોક કરે.

Farmers Protest: સરકારે ટ્વિટરને 1178 એકાઉન્ટની યાદી મોકલી- કહ્યું બધાને બ્લોક કરો

નવી દિલ્હી: ભારતમાં ટ્વિટર (Twitter) ના કારોબાર પર સંકટ તોળાઈ રહ્યું છે. સરકારે વધુ એક નોટિસ ફટકારીને કહ્યું કે તેઓ 1178 એકાઉન્ટ બ્લોક કરે. સરકારે શક છે કે આ એકાઉન્ટ્સ ખાલિસ્તાની (Khalistan) સમર્થકોના છે અથવા તો તેમને પાકિસ્તાન (Pakistan) થી સમર્થન મળે છે. ટ્વિટર પર આ અગાઉ ખેડૂતો આંદોલનને લઈને પોતાના 'દુરઉપયોગ' મુદ્દે સવાલ ઉઠ્યા છે. કેન્દ્રએ ટ્વિટરને અગાઉ 257 ટ્વિટર હેન્ડ્લ્સને બ્લોક કરવાની માંગણી કરી હતી. આ 1178 એકાઉન્ટ્સ તેનાથી અલગ છે. આ બધા વચ્ચે ટ્વિટર ઈન્ડિયા અને સાઉથ એશિયાના પબ્લિક પોલિસી ડાઈરેક્ટર મહિલા કૌલે પણ રાજીનામું આપતા ગરમાવો જોવા મળી રહ્યો છે. 

1178 એકાઉન્ટ્સમાં અનેક ખાલિસ્તાન સમર્થકબોટ્સ પણ
સૂત્રોના જણાવ્યાં મુજબ આઈટી એક્ટની કલમ 69એ હેઠળ અપાયેલા નિર્દેશોનું ટ્વિટરે હજુ સુધી પાલન કર્યું નથી. આઈટી મિનિસ્ટ્રી તરફથી આ તાજી ડિમાન્ડ ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓની એડવાઈઝરી બાદ કરવામાં આવી છે. સૂત્રના જણાવ્યાં મુજબ જે એકાઉન્ટ્સ બ્લોક કરવાનો ઓર્ડર અપાયો છે તે ખાલિસ્તાન પ્રત્યે હમદર્દી  રાખનારાઓના છે અથવા તો જેમને પાકિસ્તાનથી સમર્થન મળેલુ છે અને વિદેશી ધરતીથી ઓપરેટ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી અનેક એકાઉન્ટ્સ ઓટોમેટેડ બોટ્સ છે જેનો ઉપયોગ ખેડૂત આંદોલનને લઈને ખોટી જાણકારી ફેલાવવામાં અને ભડકાઉ કન્ટેન્ટ શેર કરવા માટે થઈ રહ્યો હતો. 

— ANI (@ANI) February 8, 2021

સરકારનું માનવું છે કે આ એકાઉન્ટ્સની ગતિવિધિઓ ખેડૂત આંદોલન સંબંધે વ્યવસ્થા માટે જોખમ પેદા કરી શકે છે. ટ્વિટર (Twitter) અને સરકાર વચ્ચે તાજી ખેંચતાણ એવા સમયે શરૂ થઈ છે કે જ્યારે કંપનીને અગાઉ ચેતવણી આપવામાં આવેલી છે કે જો તે આદેશ નહીં માને તો તેના અધિકારીઓને સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને કંપની પર દંડ ઠોકવામાં આવી શકે છે. 

ટ્વિટર અને સરકાર વચ્ચે છેડાયેલી છે જંગ
સરકારે 257 એકાઉન્ટ્સની જે પહેલી યાદી મોકલી હતી તેને બ્લોક કર્યા બાદ ગણતરીના સમયમાં ટ્વિટરે અનબ્લોક કરી દીધા હતા. ત્યારબાદ રવિશંકર પ્રસાદના નેતૃત્વવાળી આઈટી મિનિસ્ટ્રીએ વિસ્તૃત નોટ મોકલીને કંપનીને આદેશ માનવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ 1 ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવેલી નોટિસમાં મંત્રાલયે કહ્યું હતું કે ટ્વિટર એક ઈન્ટરમિડિયરી છે અને સરકારના આદેશને માનવા માટે બાધ્ય છે. ઈન્કાર કરવા પર દંડાત્મક કાર્યવાહી થશે. આ એકાઉન્ટ્સથી ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કરાઈ હતી અને મોદી પ્લાનિંગ-ફાર્મર જેનોસાઈડ જેવો હેશટેગ યૂઝ કરાયો હતો. સરકારનું કહેવું હતું કે નરસંહારની વાત કરવી અભિવ્યક્તિની આઝાદી નથી. આ કાયદા વ્યવસ્થા માટે જોખમ છે. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર હિંસા થઈ ચૂકી છે. જો કે ટ્વિટરે મોટાભાગના એકાઉન્ટ્સ અનબ્લોક કરતા કહ્યું હતું કે તેમના ટ્વીટ્સ ફ્રી સ્પિચ અને સમાચાર લાયક હતા. 

પાંચ વર્ષ બાદ કૌલનું રાજીનામું
સરકારે ચેતવણી આપી હતી કે ભારતમાં ટ્વિટરના ટોપ મેનેજમેન્ટને સજા થઈ શકે છે. ટ્વિટર ઈન્ડિયામાં પાંચ વર્ષ સુધી કામ કર્યા બાદ મહિમા કૌલે રાજીનામું આપી દીધુ. તેઓ માર્ચના અંત સુધી પદ પર રહેશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે 'તે પોતાની અંગત જિંદગીમાં ખુબ મહત્વપૂર્ણ લોકો અને સંબંધો પર ફોકસ કરવાની ઈચ્છાનું સન્માન કરે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news