UP: ચૂંટણી પહેલા અખિલેશ યાદવને જબરદસ્ત ઝટકો, મુલાયમ સિંહના પુત્રવધુ અપર્ણા યાદવ BJP માં જોડાયા

ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ અખિલેશ યાદવને મોટો ઝટકો મળ્યો છે. 

UP: ચૂંટણી પહેલા અખિલેશ યાદવને જબરદસ્ત ઝટકો, મુલાયમ સિંહના પુત્રવધુ અપર્ણા યાદવ BJP માં જોડાયા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ અખિલેશ યાદવને મોટો ઝટકો મળ્યો છે. મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ ગયા છે. અપર્ણાને દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટરમાં યુપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પાર્ટીની સદસ્યતા અપાવી. 

અપર્ણા યાદવે પીએમ મોદી અને સીએમ યોગીના કર્યા વખાણ
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથના ભારોભાર વખાણ કર્યા. તેમણે કહ્યું કે હું ભાજપની ખુબ આભારી છું. મારા માટે દેશ હંમેશા સૌથી પહેલા આવે છે. 

અપર્ણા યાદવે 2017માં પહેલીવાર લડી હતી ચૂંટણી
અપર્ણા યાદવે વર્ષ 2017માં લખનૌની કેન્ટ સીટથી વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેમને ભાજપના ઉમેદવાર રીતા બહુગુણાએ હરાવ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં અખિલેશ યાદવે પણ અપર્ણા માટે પ્રચાર કર્યો હતો. 

કોણ છે અપર્ણા યાદવ
અપર્ણા યાદવ સપાના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના યાદવના પુત્ર પ્રતિક યાદવના પત્ની છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1990ના રોજ થયો હતો. તેમના પિતા અરવિંદ સિંહ બિષ્ટ એક પત્રકાર રહી ચૂક્યા છે. તેમના પિતાને સપાની સરકારમાં સૂચના કમિશનર બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેમના માતા અંબી બિષ્ટ લખનૌ નગર નિગમમાં અધિકારી છે. 

— ANI (@ANI) January 19, 2022

2011માં થયા હતા લગ્ન
અપર્ણા યાદવ અને પ્રતિક યાદવની મુલાકાત શાળાના દિવસોમાં થઈ હતી. લખનૌના લોરેટો કોન્વેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજથી શરૂઆતનો અભ્યાસ કરનારા અપર્ણાએ બ્રિટનની માનચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ રિલેશન એન્ડ પોલિટિક્સમાં માસ્ટર ડિગ્રી લીધી છે. અપર્ણા અને પ્રતિકની સગાઈ 2010માં થઈ હતી. બંનેના લગ્ન ડિસેમ્બર 2011માં મુલાયમ સિંહ યાદવના પૈતૃક ગામ સૈફઈમાં થયા હતા. બંનેને એક પુત્રી છે જેનું નામ પ્રથમા છે. 

અખિલેશ યાદવે આપ્યું આ રિએક્શન
અખિલેશ યાદવે ભાજપમાં જોડાયેલા અપર્ણા યાદવને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે અમને ખુશી છે કે સમાજવાદી વિચારધારાનો વિસ્તાર થઈ રહ્યો છે. મને આશા છે કે અમારી વિચારધારા ત્યાં પહોંચી ગઈ છે અને તેઓ ત્યાં પણ લોકતંત્રને મજબૂત કરે. નેતાજીએ તેમને ખુબ સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ ન માન્યા. આવામાં ટિકિટ કોને મળશે એ ત્યાંથી આવેલો સર્વે રિપોર્ટ અને વિસ્તારની જનતા નક્કી કરશે. સપાએ જેમને પોતાની સાથે લીધા છે તેમનો વ્યાપક જનાધાર છે. આજે જરૂરિયાત પ્રમાણે જે રાજકીય પરિસ્થિતિઓમાં ચૂંટણી આગળ વધી રહી છે તેમાં કોઈ સપાનો મુકાબલો કરી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news