પાકિસ્તાન દ્વારા ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન, LOC નજીક નૌશેરામાં થયેલા ગોળીબારમાં નાગરિકનું મોત

પાકિસ્તાન તેની હરકતોથી સુધરતું નથી, બુધવારે બપોરે ફરીથી સરહદ ઉપર પાક. સેના દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો 

પાકિસ્તાન દ્વારા ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન, LOC નજીક નૌશેરામાં થયેલા ગોળીબારમાં નાગરિકનું મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં આવેલી નિયંત્રણ રેખા ઉપર આજે ફરી એક વખત પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું હતું. 

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું કે, 'આજે બપોરે લગભગ 12 કલાકે પાકિસ્તાનની સેના દ્વારા નૌશેરા વિસ્તારમાં અચાનક જ ધાણીફૂટ ગોળીબાર શરૂ કરી દેવાયો હતો. આ ગોળીબારમાં નૌશેરા તાલુકાના 55 વર્ષના ભોદરાજને ગંભીર ઈજા પહોંચી હતી. જેનું પાછળથી મોત થયું હતું.'

ભારતીય સેનાએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'ભારતીય સેનાએ સૌ પ્રથમ તો ગોળીબારમાં ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું.'

આનંદે જણાવ્યું કે, સેનાના કમાન્ડરોએ મૃતકના પરિજનોને તમામ પ્રકારની સહાય આપવાની ખાતરી આપી છે. 

આ દરમિયાન સંબંધિત ઘટના પછી સુરક્ષા દળોએ બુધવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુના ગામની નજીક આવેલા જંગલમાં આતંકીઓના છુપાવાની એક જગ્યા શોધી કાઢી હતી. 

જંગલમાં આતંકીઓની હાજરી હોવાની બાતમી મળ્યા બાદ સેના દ્વારા અવંતુપોરા વિસ્તારના બદ્રીવાન જંગલમાં વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. 

આ અંગે માહિતી આપતા પોલિસ અધિકારીએ જણાવ્યું કે, "નાયકુના બેઘપુરા ગામની નજીકમાં જ આતંકીઓના છુપાઈ જવાની એક જગ્યા સર્ચ ઓપરેશનમાં હાથ લાગી હતી. દક્ષિણ કાશ્મિરનો આ આતંકી સુરક્ષા દળોના વોન્ટેડ લીસ્ટમાં ટોચના સ્થાને છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news