UAE Golden Visa ભારતીયો માટે બન્યા વરદાન! તમને પણ મળી શકે છે મોટો લાભ, જાણો કેમ આ વીઝા છે ચર્ચામાં

કોઈપણ દેશની યાત્રા કરવા માટે તમારે બે વસ્તુની જરૂરિયાત હોય છે. પહેલો છે પાસપોર્ટ અને બીજા છે વીઝા. વિદેશમાં તમારો પાસપોર્ટ તમને એક ઓળખ પૂરી પાડે છે. જ્યારે વીઝા એક અનુમતિ પત્ર હોય છે, જેનાથી તમને સંબંધિત દેશમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે.

UAE Golden Visa ભારતીયો માટે બન્યા વરદાન! તમને પણ મળી શકે છે મોટો લાભ, જાણો કેમ આ વીઝા છે ચર્ચામાં

જયેશ જોશી, અમદાવાદઃ સંયુક્ત આરબ અમીરાતના ગોલ્ડન વીઝા છેલ્લાં ઘણા મહિનાથી ચર્ચામાં છે. ભારત પર યાત્રા પ્રતિબંધોની વચ્ચે માત્ર ગોલ્ડન વીઝા મેળવનારા લોકો જ યૂએઈની મુસાફરી કરી શકે છે. આ વર્ષે મે મહિનામાં ભારતના બોલીવુડ અભિનેતા સંજય દત્તને યૂએઈએ ગોલ્ડન વીઝા આપ્યા હતા. 97 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં ભારતીયોની સંખ્યા 30 ટકા છે. એવામાં ઘણા લોકોના મનમાં આ વીઝા મેળવવાની ઈચ્છા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, યૂએઈના ગોલ્ડન વીઝા શું હોય છે અને તેને કેવી રીતે મેળવી શકાય છે?

વિદેશ યાત્રા માટે વીઝાની શું જરૂરિયાત:
કોઈપણ દેશની યાત્રા કરવા માટે તમારે બે વસ્તુની જરૂરિયાત હોય છે. પહેલો છે પાસપોર્ટ અને બીજા છે વીઝા. વિદેશમાં તમારો પાસપોર્ટ તમને એક ઓળખ પૂરી પાડે છે. જ્યારે વીઝા એક અનુમતિ પત્ર હોય છે, જેનાથી તમને સંબંધિત દેશમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. નેપાળ અને ભૂતાનને છોડીને કોઈપણ ભારતીય કોઈપણ દેશમાં વીઝા વિના પ્રવેશ કરી શકતો નથી.

વીઝાનો જ એક પ્રકાર છે ગોલ્ડન વીઝા:
દરેક દેશ અલગ-અલગ પ્રકારના વીઝા આપે છે. તેમાં બિઝનેસ વીઝા, સ્ટુડન્ટ વીઝા, ટૂરિસ્ટ વીઝા તો લગભગ કોમન રહે છે. તે સિવાય દરેક દેશ પોતાની જરૂરિયાત અનુસાર દરેક વીઝાને અલગ નામ આપે છે. તેમાંથી એક છે યૂએઈનો ગોલ્ડન વીઝા. આ વીઝાનો એક પ્રકાર છે, જે યૂએઈ જનારા વિદેશી નાગરિકોને સામાન્ય વીઝા કરતાં અનેક પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે.

યૂએઈનો ગોલ્ડન વીઝા 2019માં લૉન્ચ થયો:
યૂએઈએ ગોલ્ડન વીઝાને પહેલીવાર 21 મે 2019ના રોજ લૉન્ચ કરવામાં આવ્યો હતો. યૂએઈના ઉપ રાષ્ટ્રપતિ અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે આ વીઝાને લૉન્ચ કરતાં લખ્યું હતું કે આપણે રોકાણકારો, સારા ડોક્ટર્સ, એન્જિનિયર, વૈજ્ઞાનિકો અને કલાકારોને સ્થાયી નિવાસ આપવા માટે એક નવા ગોલ્ડન કાર્ડની વ્યવસ્થા શરૂ કરી છે. તેમણે ત્યારે જણાવ્યું હતું કે 100 અરબ ડોલરના રોકાણવાળા 6800 રોકાણકારોની પહેલી બેચને ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે.

ગોલ્ડન વીઝા ધરાવનાર કેટલાં વર્ષ સુધી શકે છે:
ગોલ્ડન વીઝા ધરાવનાર લોકો યૂએઈમાં કોઈપણ મુશ્કેલી વિના 10 વર્ષ સુધી રહી શકે છે. 10 વર્ષ પૂરાં થઈ ગયા પછી આ વીઝાધારકે તેને રિન્યૂ કરાવવો પડશે. ગોલ્ડન વીઝાધારક સામાન્ય વીઝાધારકોની અપેક્ષાએ યૂએઈમાં વધારે સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે. જેમ કે જો કોઈ યૂએઈમાં બિઝનેસ કરે છે અને તેની પાસે ગોલ્ડન વીઝા છે તો તે કોઈપણ સ્થાનિક વ્યક્તિ કે કંપનીની સહાયતાથી પોતાની પત્ની/પતિ અને બાળકોને યૂએઈ લઈ જઈ શકે છે. હજુ સુધી તેના માટે સ્થાનિક સ્પોન્સરની જરૂર પડતી હતી.

યૂએઈને ગોલ્ડન વીઝા જાહેર કરવાની શું જરૂર:
કોરોના વાયરસના કારણે યૂએઈની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. તેની સાથે યૂએઈનું શાસન પોતાના દેશમાં દુનિયાભરના પ્રતિભાશાળી લોકોને વસાવવા ઈચ્છે છે. દેશમાં પ્રતિભાશાળી લોકોને કામકાજ માટે આકર્ષિત કરવાની યૂએઈ સરકારની આ નવી પહેલનો ભાગ છે. પ્રતિભાશાળી લોકોને ખાડી દેશમાં વસાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન માટે યૂએઈએ ગોલ્ડન વીઝા સ્કીમને જાહેર કરી છે.

યૂએઈના ગોલ્ડન વીઝાથી સૌથી વધારે ભારતીયોને લાભ:
યૂએઈમાં રહેનારા પ્રવાસીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય કામદારો, ટેકનિશિયન, એકસપર્ટ અને બિઝનેસમેન યૂએઈમાં કામ કરવા જાય છે. ગોલ્ડન વીઝાનો લાભ કલાકાર, ખેલાડી, પીએચડી ડિગ્રીધારક, ડોક્ટર, કમ્પ્યૂટર એન્જિનિયર, ઈલેક્ટ્રોનિ્ક્સ, પ્રોગ્રામિંગ, વિજળી અને જૈવ ટેકનોલોજી સાથે જોડાયેલા પ્રોફેશનલ લાભ ઉઠાવી શકે છે.

ભારતમાં કોને-કોને મળ્યા છે ગોલ્ડન વીઝા:
ભારતમાં સૌથી પહેલાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને ગોલ્ડન વીઝા મળ્યા હતા. ત્યારબાદ સંજય દત્તને આ સન્માન આપવામાં આવ્યું હતું. જેના પછી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને દુબઈના ગોલ્ડન વીઝા આપવામાં આવ્યા હતા. અત્ચાર સુધી ભારતના આ ત્રણ લોકોને ગોલ્ડન વીઝા મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news