DNA ANALYSIS: ગામડાઓમાં કેમ વધી રહ્યું છે કોરોના વાયરસનું સંક્રમણ?, આ ગ્રાઉન્ડ રિપોર્ટથી સમજો

ભારતમાં લગભગ સાડા 6 લાખ ગામડા છે જેમાં લગભગ 90 કરોડ લોકો રહે છે અને 45 કરોડ લોકો શહેરોમાં રહે છે. એટલે કે આપણા દેશની અડધા કરતા વધુ વસ્તી ગામડાઓમાં રહે છે. જે અત્યાર સુધી કોરોનાથી  બચેલી હતી. પરંતુ હવે આ સંક્રમણ તેમના સુધી પણ પહોંચી ગયું છે અને આ સ્થિતિ સારી નથી.

DNA ANALYSIS: ગામડાઓમાં કેમ વધી રહ્યું છે કોરોના વાયરસનું સંક્રમણ?, આ ગ્રાઉન્ડ રિપોર્ટથી સમજો

નવી દિલ્હી: મહાત્મા ગાંધીએ એકવાર કહ્યું હતું કે અસલ ભારત ગામડાઓમાં વસે છે. આ એ સમય હતો કે જ્યારે ગામડાને ભારતનો આત્મા કહેતા હતા અને તે સમયે સિનેમાનું સ્વરૂપ પણ એવું જ રહેતું હતું. જેમાં ગામડાઓનું ચિત્રણ કરાતું હતું. તમને યાદ હશે કે વર્ષ 1971માં એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું મેરા ગાંવ મેરા દેશ. આ ફિલ્મમાં ગામડાઓની આશાઓ અને નિરાશાઓને દેખાડવામાં આવી હતી. 

પરંતુ ધીરે ધીરે આપણે ગામડા ભૂલી ગયા કારણ કે સત્તાનું જે કેન્દ્ર હતું તે શહેરોમાં હતું. મીડિયાનું કેન્દ્ર પણ શહેરોમાં હતું. આજે પણ આપણા દેશના મીડિયા શહેરોના સમાચારો દેખાડે છે અને ક્ષેત્રીય મીડિયા રાજ્યોની રાજધાનીઓ સુધી સિમિત રહે છે. આપણઆ દેશનો ઓપિનિયન બનાવનારા પણ શહેરોમાં રહે છે. તમામ સેલિબ્રિટી અને ફિલ્મ સ્ટારના ઘર પણ શહેરોમાં હોય છે. કદાચ એટલે જ આપણા દેશની સમગ્ર વ્યવસ્થા શહેરો સુધી સિમિત છે. મીડિયા કવરેજ પણ શહેરો સુધી સમેટાયેલું છે. 

ગામડાઓથી અભૂતપૂર્વ 'ગ્રાઉન્ડ રિપોર્ટ'
આ કોવિડકાળમાં પણ આજે બધા શહેરોની વાત કરી રહ્યા છે. પરંતુ કોઈ એ નથી પૂછતું કે ગામડાઓમાં શું થઈ રહ્યું છે? શું આપણા ગામડાઓ પાછળ રહી ગયા છે. આથી DNA માં આપણે સૌથી પહેલા દેશના ગામડાઓથી આવેલો એક રિપોર્ટ જોઈશું. જે હાલના સંક્ટ વિશે તમને યોગ્ય જાણકારી આપશે. આ પ્રકારનો આ પહેલો ગ્રાઉન્ડ રિપોર્ટ છે જે ગામડાઓમાં ઝડપથી ફેલાયેલા સંક્રમણ અને તેના કારણો વિશે જણાવે છે. 

તાવ-ઉધરસને બીમારી નથી માનતા લોકો
હાલના સમયમાં અનેક રાજ્યોના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કેટલાક  ગામડાઓ તો એવા પણ છે જ્યાં છેલ્લા 10 દિવસમાં કોરોનાથી 5 કે તેનાથી વધુ મોત થયા છે. સમજવા જેવી વાત એ છે કે ગામડાઓમાં કોઈ વ્યક્તિ જ્યાં સુધી જિલ્લા મુખ્યાલય કે કોવિડ સેન્ટર ન જાય ત્યાં સુધી સરકારી આંકડાઓમાં તે ન તો બીમાર ગણાય છે કે ન તો પ્રશાસન તેને કોરોના સંક્રમિત ગણે છે. હાલાત એવા છે કે હાલના સમયમાં ગામડાઓમાં મોત તો થઈ રહ્યા છે પરંતુ લોકો તેને તાવ અને ઉધરસની  બીમારી ગણે છે. અનેક ગામડાઓમાં તો લોકોએ પોતાને ઘરોમાં બંધ કરી લીધા છે. જેમાંથી કેટલાક ગામડાઓમાં તો કોરોનાથી મરનારા લોકોને કાંધ આપનારા પણ મળતા નથી. વિચારો હાલાત કેટલા ખરાબ છે. 

કોરોના ટેસ્ટ કરાવતા આજે પણ ડરે છે લોકો
હાલ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણના સમાચાર આવી રહ્યા છે. પરંતુ અહીં સંક્રમણ કેટલું ફેલાયેલું છે તેનો યોગ્ય અંદાજો મેળવવો મુશ્કેલ છે. કારણ કે ગામડાઓમાં ન તો કોઈ ટેસ્ટિંગ સુવિધા છે કે ન તો સારવારની વ્યવસ્થા. મોટી વાત એ છે કે ઉત્તર પ્રદેશના અનેક ગામડાઓમાં તો હવે પેરાસિટામોલ જેવી દવાઓની પણ કાળાબજારી શરૂ થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં જે દવા 6થી 7 રૂપિયામાં 10 ગોળીઓનું પત્તું મળી જાય તે  હવે ગામડાઓમાં 200 રૂપિયામાં પણ નથી મળતી. એટલે કે ન તો ટેસ્ટિંગની સુવિધા છે કે ન તો સારવારની કે ન દવાઓ છે. એક મુશ્કેલી એ પણ છે કે જે લોકો સંક્રમિત છે કે તેવો શક છે કે તેઓ સંક્રમિત હોઈ શકે છે તે જિલ્લા મુખ્યાલય કે કોવિડ સેન્ટર જઈને પોતાનો ટેસ્ટ કરાવવા માંગતા નથી. આ લોકોનું એવું માનવું છે કે તેમને કોરોના થઈ શકે નહીં. 

આંકડાથી સમજો ગામડામાં કોરોનાની સ્થિતિ
ગામડાઓમાં સંક્રમણની રફતારને તમે હરિયાણાના કેટલાક આંકડાથી સમજી શકો છો. હરિયાણાના નૂંહમાં કોરોના (Corona)  દર્દીઓનો પોઝિટિવિટી રેટ 64.3 ટકા છે. જ્યારે સોનિપતમાં 57.6 ટકા છે, ભિવાનીમાં 54.1 ટકા, પાનીપતમાં 51.5 ટકા છે, ફરિદાબાદમાં 44.5 ટકા, રેવાડીમાં 42.6 ટકા છે, રોહતકમાં 42 ટકા, ગુરુગ્રામમાં 36 ટકા છે. 

ગામડાઓમાં રહે છે દેશની અડધાથી વધુ વસ્તી
ભારતમાં લગભગ સાડા 6 લાખ ગામડા છે જેમાં લગભગ 90 કરોડ લોકો રહે છે અને 45 કરોડ લોકો શહેરોમાં રહે છે. એટલે કે આપણા દેશની અડધા કરતા વધુ વસ્તી ગામડાઓ (Villages) માં રહે છે. જે અત્યાર સુધી કોરોનાથી  બચેલી હતી. પરંતુ હવે આ સંક્રમણ તેમના સુધી પણ પહોંચી ગયું છે અને આ સ્થિતિ સારી નથી. હાલ ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 27 લાખ છે. જેમાંથી એવું અનુમાન છે કે લગભગ 80 ટકા દર્દીઓ મોટા શહેરોમાં રહેનારા છે. 18થી 19 ટકા નાના શહેરોના અને એક ટકાથી પણ ઓછા ગામડાઓના છે. હવે જો ગામડાઓમાં પણ સંક્રમણ શહેરોની જેમ ફેલાય તો આશંકા છે કે તેનાથી કરોડો લોકો પ્રભાવિત થશે અને આ આંકડો ભારત માટે સારો નહીં હોય. તેને તમે 3 પોઈન્ટમાં સમજી શકો છો. 

'સમગ્ર ગામમાં કોરોના ફેલાયો તો ઉપચાર શક્ય નથી'
પહેલો પોઈન્ટ: ગામડાઓમાં કોરોના તપાસ અને કોરોના સારવારની સુવિધા નથી. આમ તો આપણા દેશના 90 કરોડ લોકો ગામડામાં રહે છે. પરંતુ કડવું સત્ય એ છે કે ગામડાઓમાં ન તો મોટી હોસ્પિટલો હોય છે કે ન તો ડોક્ટર્સ, હાલના સમયમાં દેશના સાડા છ લાખ ગામડાઓમાં પ્રાથમિક ચિકિત્સા કેન્દ્રોની સંક્યા ફક્ત 25 હજાર છે. કમ્યુનિટી હેલ્થ સેન્ટર ફક્ત સાડા 5 હજાર છે. અને હેલ્થ સબ સેન્ટર્સની સંખ્યા દોઢ લાખ છે. પરંતુ જે મોટી વાત છે તે એ છે કે આ બધા કેન્દ્રો પર ન તો પૂરતા ડોક્ટર્સ છે, ન તો હેલ્થ સ્ટાફ છે કે ન તો જરૂરી દવાઓ ઉપલબ્ધ હોય છે. આવામાં જો સંક્રમણ સમગ્ર ગામમાં ફેલાયું તો બધા માટે ઉપચાર શક્ય ન હોઈ શકે. આ જ કારણ છે કે શહેરોની સરખામણીમાં ગામડાઓમાં સંક્રમણને લઈને વધુ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. 

નકલી ડોક્ટર કરી રહ્યા છે કોરોના સંક્રમિતોની સારવાર
બીજો પોઈન્ટ: ગામડાઓમાં ડોક્ટરોની સંખ્યા ઓછી છે અને ઝોલાછાપ ડોક્ટરો ગણાતા લોકોની સંખ્યા વધુ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા 2016માં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ મુજબ દેશમાં 57 ટકા ડોક્ટર ફેક છે. અને તેમાંથી મોટાભાગના ડોક્ટરો ગામડાઓમાં સારવાર કરે છે. હાલ પણ એવું જ છે. ઉત્તર પ્રદેશના અનેક ગામડાઓમાં નકલી ડોક્ટરો સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને તેમને મેલેરિયા કે ટાઈફોઈડની દવાઓ આપે છે જેના કારણે લોકોની હાલત વધુ બગડી રહી છે. 

લોકો માનવા તૈયાર જ નથી કે તેમને કોરોના થઈ શકે છે
ત્રીજો પોઈન્ટ: ગામડાના લોકો પોતે જ એ માનવા તૈયાર નથી કે તેમને પણ કોરોના વાયરસ થઈ શકે છે. છેલ્લા એક વર્ષમાં કોરોના વાયરસ ભારતના શહેરો સુધી સિમિત રહ્યો અને આ બીમારીને શહેરોની બીમારી પણ કેટલાક લોકો કહે છે. ગામડાના લોકોનું માનવું છે કે તેઓ શુદ્ધ હવામાં શ્વાસ લે છે, સારું અને પૌષ્ટિક ભોજન કરે છે અને પિઝા બર્ગર વગેરે ખાતા નથી. આથી તેમને આ સંક્રમણ થઈ શકે નહીં. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ કોરોનાનો નવો વેરિએન્ટ અનેક મામલે મજબૂત ઈમ્યુન સિસ્ટમને ભેદવામાં સક્ષમ છે. 

ગામડાઓમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ જણાવશે આ રિપોર્ટ
આવામાં ગામડાના લોકોએ સમજવું પડશે કે આ વાયરસ જેટલો ખતરનાક શહેરોના લોકો માટે છે એટલો જ ખતરનાક ગામડાના લોકો માટે પણ છે. આ વાત સમજવા માટે અમે અલગ અલગ ગામડામાંથી એક અભૂતપૂર્વ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ પહેલો એવો ગ્રાઉન્ડ રિપોર્ટ છે જે ગામડાઓમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિને દેશ સામે રજુ કરે છે. VIDEO દ્વારા જુઓ આ આખો રિપોર્ટ...

જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news