અંબાજીનો મોહનથાળ હવે ઓનલાઈન મળશે, આ રીતે કરો ઓર્ડર

Ambaji Temple : મોહનથાળ અને ચીકીના પ્રસાદ માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરાશે......ચાર દિવસમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા મળશે... પ્રસાદ માટે કોઈ વધારાનો ચાર્જ નહિ લેવાય

અંબાજીનો મોહનથાળ હવે ઓનલાઈન મળશે, આ રીતે કરો ઓર્ડર

Gujarat Tourism : શું આપ અંબાજી ગયા અને પ્રસાદ લેવાનું ભૂલી ગયા છો? અથવા તમને ઘરે બેસીને અંબાજીનો પ્રસાદ ખાવાની ઈચ્છા થઈ છે. તો ચિંતા નહિ કરતા તમને ઓનલાઇન પ્રસાદ મળી જશે. જી હા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ હવે ઘરે બેઠા પ્રસાદ મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. 

શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મોહનથાળનો કે પછી ચીકીનો પ્રસાદ લેવાનો ભૂલતા નથી. પ્રસાદ લેવા પણ ભારે પડાપડી થતી હોય છે ને લાઈનો લાગતી હોય છે. ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવાનું રહી જતું હોય. અથવા તો લાંબા સમય બાદ અંબાજી આવવાનું થાય ત્યારે પ્રસાદ ખાવા મળે. જો કોઈ પાડોશી કે મિત્ર અંબાજી જતું હોય તો તેની સાથે પ્રસાદ મંગાવતા હોય છે પણ હવે આવા શ્રદ્ધાળુઓને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ચિંતા મુક્ત કર્યા છે. 

કોઈ પણ વધારાના ચાર્જ વગર મળશે પ્રસાદ
જે ભાવે અંબાજીમાં લાઈનમાં ઉભા રહીને પ્રસાદ મળે છે હવે તે જ પ્રસાદ કોઈ પણ જાતના અલગ ચાર્જ વગર ઓનલાઇન પ્રસાદ મેળવવાની વ્યવસ્થા શરુ થઈ ગઈ છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ www.ambajitemple.in મારફતે ઓનલાઇન પ્રસાદ મંગાવી શકાય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સ્તરે વર્ષે અંદાજે એક કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વેચાણ થતું હોય છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને ચાર પેકેટ પ્રસાદના એટલે કે માત્ર 100 રૂપિયામાં ચીકી તેમજ મોહનથાળનો પ્રસાદ મંગાવી શકે છે.

યાત્રિકો તેના ગુણાંકમાં ગમે તેટલો પ્રસાદ કોઈ પણ જાતના ડિલિવરી ચાર્જ ભર્યા સિવાય એ જ કિંમતે પ્રસાદ ઘરે મેળવી રહ્યા છે. અંબાજી ખાતે આ ઓનલાઇન પ્રસાદ મોકલવાની વ્યવસ્થા શરુ થાય ગઈ છે. એક પેકેટમાં ચાર પ્રસાદના બોક્સ મૂકી પેકીંગ કરવામાં આવે છે. ને પ્રસાદ મંગાવનાર શ્રદ્ધાળુઓના નામનું સ્ટીકર લગાવી વ્યવસ્થિત રીતે પ્રસાદના પેકેટ સીલ કરી મોકલવામાં આવે છે.

આ પ્રસાદના પેકેટ ત્રીજા દિવસે અથવા મોડામાં મોડું ચોથા દિવસે પણ શ્રદ્ધાળુઓને મળી જતો હોય છે. યાત્રિકોએ આ ઓનલાઇન પ્રસાદ મેળવવા મંદિરે સૂચિત કરેલી વેબસાઈટ ઉપર પ્રીપેઇડ ચુકવણું કરી પ્રસાદ મેળવતા થયા છે. આ પ્રસાદ હાલ તબક્કે અંબાજી ખાતે પ્રસાદ કેન્દ્ર ઉપર મળી જ રહ્યો છે ને મળતો રહેશે. પણ આ ઓનલાઇન પ્રસાદ મેળવવાની સિસ્ટમ અલાયદી ઉપસ્થિત કરવામાં આવી છે. જેથી કરીને શ્રદ્ધાળુ દેશ વિદેશ માં પણ ઓનલાઇન પ્રસાદ ઘરેબેઠા મંગાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news