વિશ્વ કપઃ પહેલાથી પરિપક્વ કેપ્ટન બની ગયો છે વિરાટ કોહલીઃ કપિલ દેવ

વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે હાલના કેપ્ટન વિરાટ કોહલીને પહેલાની તુલનામાં વધુ પરિપક્વ કેપ્ટન ગણાવતા કહ્યું કે, ટૂર્નામેન્ટમાં તેની બેટિંગ અને આગેવાની મહત્વની રહેશે. 

વિશ્વ કપઃ પહેલાથી પરિપક્વ કેપ્ટન બની ગયો છે વિરાટ કોહલીઃ કપિલ દેવ

નવી દિલ્હીઃ ક્રિકેટમાં ભારતને પ્રથમ વખત વિશ્વ વિજેતા બનાવનાર કપિલ દેવે કરોડો દેશવાસિઓની આશાઓને સાથે લઈ ક્રિકેટના મક્કા પહોંચેલા વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે હાલના કેપ્ટન વિરાટ કોહલીને 'પહેલાની તુલનામાં વધુ પરિપક્વ કેપ્ટન' ગણાવતા કહ્યું કે, ટૂર્નામેન્ટમાં તેની બેટિંગ મહત્વની રહેશે. કેરેબિયન જાદૂને તોડીને 1983માં પ્રથમવાર ભારતને વિશ્વ કપ અપાવનાર કપિલ તે સમયનો મહાનાયક છે જેને જોઈને હાલની ટીમના ઘણા ખેલાડીઓએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 

ઈંગ્લેન્ડમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ પહેલા આવેલા એક નવા પુસ્તક 'વર્લ્ડ કપ વોરિયર્સ'માં ચાર વિશ્વ કપ (1979, 1983, 1987 અને 1992) રમી ચુકેલા કપિલે વિરાટની પ્રશંસા કરતા કહ્યું, 'આ મુશ્કેલ અભિયાન પર ભારતની આગેવાની માટે તેના કરતા સારૂ કોઈ ન હોઈશકે. તે ચાર વર્ષ પહેલા વધુ ઇમોશનલ હતો પરંતુ હવે પરિપક્વ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે તે કઈ રીતે પોતાના સાથી ખેલાડીઓને સલાહ આપે છે, જે પરિપક્વતાની નિશાની છે.'

કપિલે આગળ લખ્યું, 'ક્રિકેટની તેની સમજણ પણ સારી થઈ છે અને હવે તે શાનદાર કેપ્ટન છે. વિશ્વકપમાં તેની આગેવાની અને બેટિંગ મહત્વની રહેશે. ચોક્કસપણે ટીમે પણ તેની અપેક્ષાઓ પ્રમાણે ખરૂ ઉતરવું પડશે અને તેની પાસે શાનદાર ટીમ છે.'

છેલ્લા ત્રણ દાયકાથી ક્રિકેટ કવર કરી રહેલા અનુભવી ખેલ પત્રકાર વિજય લોકપલ્લીએ લખેલા આ પુસ્તકમાં ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીની આગેવાનીમાં વિશ્વ કપ રમવા ગયેલા ભારતના 15 ખેલાડીઓ વિશે 1983ની વિશ્વ કપ વિજેતા ટીમમાં તેની સમકક્ષ રહેલા ખેલાડીઓએ પોતાના વિચાર વ્યક્ત કર્યાં છે. જેમ કે વિરાટ વિશે કપિલે, એમએસ ધોની વિશે 1983 વિશ્વ કપ વિજેતા ટીમના વિકેટકીપર કિરણ મોરેએ, શિખર ધવન વિશે ઓપનિંગ બેટ્સમેન ક્રિસ શ્રીકાંતે પોતાની વાત રાખી છે. 

આ સિવાય 1983 ટીમના સભ્ય મદન લાલ, સંદીપ પાટિલ, યશપાલ શર્મા, કીર્તિ આઝાદ, બલવિંદર સંધૂએ પણ બ્લૂમ્સબરી ઈન્ડિયા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં પોતાનો મત રાખ્યો છે. પુસ્તકમાં ખેલાડીઓની વ્યક્તિગત જિંદગી, ક્રિકેટમાં શરૂઆત, સિદ્ધિઓ, રમવાની શૈલીનું વર્ણન આપવામાં આવ્યું છે. 

તેની પ્રસ્તાવના યુવરાજ સિંહે લખી છે જે 2011 વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો જ્યારે ભારતને 28 વર્ષ બાદ ક્રિકેટનો આ સર્વોચ્ચ ખિતાબ પોતાના નામે કર્યો હતો. યુવરાજે લખ્યું, 'જ્યારે ભારતે 1983માં લોર્ડ્સ પર પ્રથમ વખત વિશ્વકપનું ટાઇટલ જીત્યું હતું, ત્યારે હું બે વર્ષનો હતો. બાળપણમાં અમારી વાતચીત ભારત વિશ્વ કપ વિજેતા કેપ્ટન અને મારા પોતાના શહેરના કપિલ દેવ વિશે વાત થતી હતી. હું ભારત માટે રમીને વિશ્વ કપ જીતવા ઈચ્છતો હતો.'

તેણે આગળ લખ્યું, 'વિશ્વ કપ 2007માં બહાર થયા બાદ અમે 2011માં આપણી ધરતી પર ટાઇટલ જીતવા માટે ખુબ મહેનત કરી હતી. આ વિશ્વ કપને લઈને ઘણી હાઇપ અને રોમાંચ હતો. અમે બધા સચિન તેંડુલકર માટે જીતવા ઈચ્છતા હતા જેનો અંતિમ વિશ્વ કપ હતો.' વિશ્વ કપ દરમિયાન યુવરાજને કેન્સરના લક્ષ્ય જોવા મળ્યા હતા. તેણે લખ્યું, મારા માટે તે ખુબ મુશ્કેલ સમય હતો. ટૂર્નામેન્ટ દરમિયાન જ મારી સ્થિતિ બગડવા લાગી છે પરંતુ અમારે જીતવું હતું. વાનખેડે સ્ટેડિયમ પર આખરે અમારૂ સપનું પૂરુ થયું અને હવે એકવાર ફરી વિરાટની આગેવાનીમાં ભારતની પાસે સૂવર્ણ તક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news