ભારતના વળતા પ્રહારથી હવે કેનેડાના બદલાયા સૂર, કહ્યું- ભારત સાથેના સંબંધ અમારા માટે મહત્વપૂર્ણ

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધમાં તણાવ વકરી રહ્યો છે. સંબંધોમાં તનાતનીને લઈને કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે મોટું નિવેદન આપ્યું. જાણો શું કહ્યું. 

ભારતના વળતા પ્રહારથી હવે કેનેડાના બદલાયા સૂર, કહ્યું- ભારત સાથેના સંબંધ અમારા માટે મહત્વપૂર્ણ

ભારત સાથેના સંબંધોને 'મહત્વપૂર્ણ' ગણાવતા કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે 24 સપ્ટેમ્બરે કહ્યું કે તેમનો દેશ ઈન્ડો-પેસેફિક રણનીતિ જેવી ભાગીદરીઓને આગળ વધારવાનું ચાલુ રાખશે. પરંતુ એક ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ ચાલુ રહેશે. 

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધમાં તણાવ વકરી રહ્યો છે. સંબંધોમાં તનાતનીને લઈને કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે મોટું નિવેદન આપતા ભારત સાથેના કેનેડાના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા. તેમણે કહ્યું કે કેનેડા ખાલિસ્તાની સમર્થક આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે ભારત સાથે હિન્દ-પ્રશાંત રણનીતિ જેવી ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. 

ઈન્ડો પેસિફિક ભાગીદારી ચાલુ રહેશે
બ્લેયરે કહ્યું કે અમારી જવાબદારી છે કે અમે કાયદાનું પાલન કરીએ અને અમારા નાગરિકોની રક્ષા કરીએ અને આ સાથે જ એ સુનિશ્ચિત કરીએ કે અમે પૂરી તપાસ કરીએ અને સચ્ચાઈ સુધી પહોંચીએ. તેમણે કહ્યું કે જો આરોપ સાચા સાબિત થાય તો કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યા અમારા સાર્વભૌમત્વનો ભંગ હશે અને આ કેનેડા માટે મોટો ચિંતાનો વિષય રહેશે. 

બ્લેયરે કહ્યું કે ઈન્ડો પેસિફિક રણનીતિ હજુ પણ કેનેડા માટે મહત્વપૂર્ણ છે અને તેનાથી વિસ્તારમાં સૈન્ય ઉપસ્થિતિ વધી છે અને આગળની પેટ્રોલિંગ ક્ષમતાઓ માટે પ્રતિબદ્ધતાઓ વધી છે. આ રણનીતિ તે સૈન્ય પ્રાથમિકતાઓ માટે પાંચ વર્ષોમાં 492.9 મિલિયન ડોલરનું યોગદાન આપે છે જે આ વર્ષે લગભગ 2.3 બિલિયન ડોલર થઈ ચૂકી છે. 

અત્રે જણાવવાનું કે 18 જૂનના રોજ 45 વર્ષના ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની બ્રિટિશ કોલમ્બિયામાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ હાલમાં જ એક વિસ્ફોટક આરોપ લગાવતા કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની સંભવિત સંડોવણી સામે આવી છે. ટ્રુડોના આરોપ બાદ કેનેડા અને ભારત વચ્ચે સંબંધો વણસી ગયા છે. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 

ભારતે ટ્રુડોના આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવીને ફગાવ્યા હતા અને આ મામલે કેનેડા દ્વારા એક ભારતીય અધિકારીને નિષ્કાસિત કરવાના બદલામાં વરિષ્ઠ કેનેડિયન રાજનયિકને નિષ્કાસિત પણ કર્યા. ધ વેસ્ટ બ્લોક પર રવિવારે પ્રસારિત એક ઈન્ટરવ્યુમાં કેનેડિયન રક્ષામંત્રી બ્લેયરે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે આરોપોની તપાસ ચાલુ રહે ત્યાં સુધી કેનેડા તે ભાગીદારીઓને ચાલુ રાખશે. ગ્લોબલ ન્યૂઝે તેમના હવાલે કહ્યું કે 'અમે સમજીએ છીએ કે ભારત સાથેના અમારા સંબંધોના મામલે આ એક પડકારજનક મુદ્દો બની શકે છે અને સાબિત થયો છે.'

ભારતે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ
ગત ગુરુવારે ભારતે કેનેડાને પોતાની ધરતીથી સક્રિય આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્વો પર કડકાઈ વર્તવાનું કહ્યું અને કેનેડિયન લોકો માટે વિઝા સેવાઓને સસ્પેન્ડ કરી દીધી. નિજ્જરની હત્યા પર બંને દેશો વચ્ચે વધતા તણાવના કારણે તેમના સંબંધ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ભારતે કેનેડાને દેશમાં પોતાના રાજનિયક કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાનું પણ કહ્યું અને તર્ક આપ્યો કે આપસી રાજનયિક ઉપસ્થિતિમાં તાકાત અને રેંકમાં સમાનતા હોવી જોઈએ. ભારતમાં કેનેડિયન રાજનિયક કર્મચારીઓની સંખ્યા કેનેડાની સરખામણીમાં વધુ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news