ઓર્ગેનિક ખેતીનું પરિણામ : ગુજરાતી ખેડૂતે દેશી વસ્તુઓ પાઈને બે રંગના તરબૂચ ઉગવ્યા

Organic Farming : ભાવનગરના ખેડૂત ઓર્ગેનિક ખેતી થકી લાખો રૂપિયાનું ઉપાર્જન મેળવી રહ્યો છે... ખેડૂતે જૈવિક ખેતીથી મધ જેવા મીઠા તરબૂચની ખેતી કરી 

ઓર્ગેનિક ખેતીનું પરિણામ : ગુજરાતી ખેડૂતે દેશી વસ્તુઓ પાઈને બે રંગના તરબૂચ ઉગવ્યા

Gujarat Farmers નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રા ગામે એક ખેડૂતે પોતાના ૧૫ વિઘાની વાડીમાં વિવિધ પાકોની ખેતી કરી છે. જેમાં ૪ વીઘામાં કરેલી તરબૂચની ખેતી કે જેમાં લાલ તરબૂચની સાથે પીળા તરબૂચની ખેતી આકર્ષણ રૂપ બની રહી છે. લાલ તરબૂચને સ્વાદમાં ટક્કર મારે તેવી પીળા તરબૂચની ખેતી અને તેનો મીઠા મધ જેવો સ્વાદ લોકોને આકર્ષી રહ્યો છે. તેમજ ઓર્ગેનિક ખેતી થકી ખેડૂત લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યો છે

વર્ષો પૂર્વે ખેડૂતો દેશી ખાતરનો ઉપયોગ કરતા હતા તેમજ સારું ઉત્પાદન પણ મેળવતા હતા, પરંતુ ત્યાર બાદ રાસાયણિક ખાતરો આવતા કંપનીઓ દ્વારા કરવામાં આવતી લોભામણી જાહેરાતોના કારણે ખેડૂતોએ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ શરૂ કર્યો પરંતુ આજે માનવી એ ભૂલના માઠા પરિણામો ભોગવી રહ્યો છે. જ્યારે હવે ફરી સમય બદલાયો છે. અને સમજણ કેળવાતા ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. રાસાયણિક ખેતીથી પર્યાવરણ, જમીન અને સ્વાસ્થ્યને ભારે નુકશાન વેઠવું પડતું હોય છે. ત્યારે માનવીએ જમીનની ફળદ્રુપતા વધારવા અને પર્યાવરણની રક્ષા કાજે ઓર્ગેનિક ખેતીને મહત્વ આપવું ઓળશે.

આજે દેશના વડાપ્રધાન અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઓર્ગેનિક ખેતી માટે ખાસ મુહિમ ચલાવી ખેડૂતોને પૂરતું માર્ગદર્શન આપી જાગૃત કરવા પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણે હજારો ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી અપનાવી રહ્યા છે. જેના ખૂબ સારા પરિણામો પણ મળી રહ્યા છે. આજે રાજ્યભરમાં 9 લાખ કરતા વધુ ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી અપનાવી છે.

organic_farming_zee3.jpg

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રા ગામે રહેતા અશોકભાઈ કાપડિયા એ પણ પોતાની ૧૫ વિઘાની વાડીમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. જેમાં અંજીર, ડ્રેગન ફ્રુટ અને બે પ્રકારના તરબૂચનું વાવેતર કર્યું છે. કુલ જમીન પૈકી ૪ વિઘામાં લાલ અને પીળા તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં જીવામૃત, ઘનનો ઉપયોગ કરીને તેઓ મબલક પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

organic_farming_zee2.jpg

તેમણે બે પ્રકારના તરબૂચનું વાવેતર કર્યું છે. અત્યાર સુધી આપણે લાલ તરબૂચ જોયા છે. જ્યારે ખેડૂતે લાલ તરબૂચ ની સાથે સાથે પીળા તરબૂચનું વાવેતર કર્યું છે. ઓર્ગેનિક પદ્ધતિએ ખેતી કરવામાં આવતા તેમની વાડીમાં તરબૂચનું પુષ્કળ ઉત્પાદન થયું છે. તેમને આ તરબૂચ બજારમાં વેચવા માટે જવું નથી પડતું લોકો તેમની વાડીએથી સીધા જ તરબૂચની ખરીદી કરી રહ્યા છે. લાલ તરબૂચ કરતા પીળા તરબૂચ આકર્ષક અને વધુ મીઠા છે. હાલ તેમની ૪ વીઘાની વાડીમાં તરબૂચનો મબલક પાક લહેરાય રહ્યો છે. જેના પરિણામે લાખો રૂ.ની કમાણી કરી આર્થિક સધ્ધરતા પણ પ્રાપ્ત કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news