આત્મનિર્ભર ગુજરાતઃ ઉદ્યોગો અને ખેડૂતો માટે સરકારે ખોલ્યો ખજાનો, કરી સબસીડી અને રાહતની જાહેરાત

રાજ્યમાં કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.૭૬૮ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.

આત્મનિર્ભર ગુજરાતઃ ઉદ્યોગો અને ખેડૂતો માટે સરકારે ખોલ્યો ખજાનો, કરી સબસીડી અને રાહતની જાહેરાત

ગાંધીનગરઃ અનલૉક-1ની જાહેરાત થયા બાદ ગુજરાતના ઉદ્યોગ અને ખેડૂતો માટે રાજ્ય સરકારે પોતાની તિજોરી ખોલી છે. કોરોના સંકટમાં ગુજરાતના ઉદ્યોગો અને કૃષિ સેક્ટરને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજની જાહેરાત કરી છે. ઉદ્યોગ વ્યવસાયો અને કિસાનો માટે રાજ્ય સરકારે અનેલ છૂટછાટ અને સબસીડીની જાહેરાત કરી છે. સરકારનો ઉદ્દેશ્ય લૉકડાઉનને કારણે આર્થિક મુશ્કેલીમાં આવેલા ઉદ્યોગોને ફરી ઉભા કરવાની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પેકેજની જાહેરાત કરી હતી. 

ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી (રૂ.૩,૦૩૮ કરોડ)
રાજ્યમાં કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.૭૬૮ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.
        
રાજ્યમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પુરી પાડે છે. આવા ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. ૪૫૦ કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં કરવામાં આવશે. 
        
કોવિડ-૧૯ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂ.૧૫૦ કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે.
        
રાજ્યના ૩૨૦૦ કરતા વધુ વેપારીઓને રૂ.૧,૨૦૦ કરોડનું પડતર વેટ અને GST રિફંડ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં  ભીડમાંથી રાહત મળશે.  
        
રાજ્યના ૨૭ હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.૧૯૦ કરોડની સબસીડીની રકમ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે.
        
સોલાર રુફ ટોપ યોજના હેઠળની ૬૫૦૦૦ કુટુંબો માટેની રુા. ૧૯૦ કરોડની સબસીડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં આપવામાં આવશે.
        
ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ.૯૦ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં આપવામાં આવશે.

વેટ-જીએસટી કાયદા હેઠળ વહીવટી સરળતાઃ        
ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ અને તા.૦૧.૦૪.૨૦૧૭થી તા.૩૦.૦૬.૨૦૧૭ સુધીની આકારણીની કામગીરીમાં રૂા.૧૦ કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટીસ પરત ખેંચવામાં આવશે. આ વેપારીઓ પૈકી આંતરરાજ્ય વેચાણો ધરાવતા વેપારીઓના કિસ્સામાં કેન્દ્રીય કાયદા મુજબ માત્ર ધારાકીય ફોર્મ પુરતી જ આકારણી હાથ ધરાશે. 
    
આ પગલાંથી એક લાખથી વધુ કરદાતાઓને લાભ થશે. પરંતુ અન્વેષણના કેસો, બોગસ બિલિંગના કેસો, વેરાશાખમાં વિસંગતતા હોય તેવા કેસો, રિફંડનાં કેસો, જે કિસ્સાઓમાં અગાઉ મોટી રકમનું માંગણું ઉપસ્થિત થયું હોય તેવા અને જે કિસ્સામાં મોટી રકમની વેરાશાખ જી.એસ.ટી.માં તબદીલ કરી હોય તેવા તમામ કેસોમાં નિયમિત આકારણી હાથ ધરાશે.
        
વેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે ૨૬ હજાર વેપારીઓને લાભ મળશે. વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.

ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉોદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા (રૂ. ૪૫૮.૫૯ કરોડ)
જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત,  ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ ૫૦% માફી અને દંડકીય વ્યાજની રકમ ૧૦૦% માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજનાથી ઉદ્યોગકારોને રૂપિયા ૧૩૩ કરોડની રાહત મળશે.
        
જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર ૫૦ ટકા વ્યાજ માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજના અંતર્ગત ૧૫૩૧૫ ઉદ્યોગકારોને રૂ.૯૫ કરોડની રાહત મળશે. 
        
જી.આઇ.ડી.સી. દ્વારા પ્રતિ વર્ષ ૨ ટકા લેખે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી. સદર નીતિથી  અંદાજે રૂ.૬૦ કરોડની રાહત આપવામાં આવશે. જેનો ૩૭૩૩ ઉદ્યોગકારોને લાભ મળશે.
        
જીઆઇડીસીમાં આવેલ યુનિટ કે જે બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલા હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ ૨૦ ટકાના સ્થાને ફકત ૫ ટકા વસુલ કરવામાં આવશે.  વધુમાં આ પ્રકારના કિસ્સાઓમાં તબદીલી ફી ઓછી કરી ૧૫ ટકાના સ્થાને ૧૦ ટકા વસુલવામાં આવશે. જે અન્વયે ૧૯૯૧ ઉદ્યોગકારોને રૂ. ૪૦.૪૨ કરોડનો લાભ મળશે. 
        
જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.૩૧-૦૩-૨૦૨૦ તથા તા.૩૦-૦૬-૨૦૨૦ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે.  વધુમાં, માર્ચ થી જુનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોઈ આ ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ. આ નિર્ણયથી ઉદ્યોગોને રૂ. ૨૬.૮૦ કરોડની રાહત મળશે. જી.આઈ.ડી.સી. દ્વારા બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત ૭%ના રાહત દરે કરવામાં આવશે જેનાથી ઉદ્યોગોને રૂપિયા ૧૪.૩૦ કરોડની રાહત મળશે. જેનાથી ૩૧૦૦ ઉદ્યોગકારોને લાભ  થશે.
        
લોકડાઉનની પરિસ્થિતિના કારણે જીઆઇડીસી દ્વારા કેટલાક ઉદ્યોગકારો ફાળવેલ પ્લોટના આંશિક /કુલ રકમ ભરપાઇ કરી શકયા નથી. આ ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા ૩૦ જુન, ૨૦૨૦ સુધી વધારી આપવામાં આવશે. જેનાથી ૫૧૮ ફાળવેલ પ્લોટના લાભાર્થીઓને રૂ.૩.૩૧ કરોડની રાહતનો લાભ મળશે. 
        
વર્ષ ૨૦૨૦-૨૧ માટેની જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. આ નિર્ણયથી  ૭૨૭ નવા ઉદ્યોગ સાહસિકોને જમીન સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે જેનાથી અંદાજે રૂ. ૩૮.૯૮ કરોડની રાહત મળશે.             

વધુમાં, આ નિર્ણયથી જીઆઇડીસીની વસાહતોમાં હયાત ઉદ્યોગોને ફાળવણીદર આધારિત વિવિધ ફી તથા ચાર્જીસમાં અંદાજિત રૂ.૨૧.૪૫ કરોડની રાહત મળશે. જેના થકી ૨૭૦૦ ઉદ્યોગકારોને લાભ મળશે.
        
આ ઉપરાંત જીઆઇડીસી દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિતના કરવાના ઉદેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમાં સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગોને કરવામાં આવતા ધિરાણના સરેરાશ વ્યાજ દરને ધ્યાને લેતાં નિગમ દ્વારા હાલના વ્યાજ દરને ૧૨% થી ઘટાડીને ૧૦% કરવામાં આવશે. જેનાથી ૭૨૭ ઉદ્યોગકારોને લાભ થશે. આ ઘટાડાથી રૂ.૧૬.૧૨ કરોડની વ્યાજની રાહત આપવામાં આવશે.  
        
ઉદ્યોગોને માસિક પાણીના વપરાશના બીલના ચુકવણા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવે છે. કોવિડ-૧૯ને કારણે જીઆઇડીસીએ પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ચ અને એપ્રિલ ૨૦૨૦ના  પાણીના બીલો પરના વ્યાજ તથા દંડનીય વ્યાજની રકમ રૂ.૧.૩૨ કરોડ થાય છે. જે પૈકી નોટીફાઇડ વિસ્તારમાં સમાવિષ્ટ ઉદ્યોગોના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ રૂ. ૦.૫૨ કરોડ થાય છે, જેનો લાભ ૧૯૨૬૭ ઉદ્યોગોને મળવાપાત્ર થશે. 
        
કોવિડ-૧૯ને કારણે ઉદભવેલ પરિસ્થિતિમાં જીઆઇડીસી દ્રારા કામચલાઉ મોબાઈલ (સ્થળાંતર થઈ શકે તેવા) અથવા ભવિષ્યમાં દુર કરી શકાય તેવા બાંધકામને જે તે ઔદ્યોગિક પ્લોટ પર મજુરોને રહેણાંકની સુવિધા માટે લોકડાઉનની માર્ગદર્શિકાને સંતોષવા/ પુર્ણ કરવા લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધી અથવા માર્ચ- ૨૦૨૧ બે માંથી જે વહેલુ હોય ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે.
        
જીઆઇડીસી દ્ધારા ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં ઉદ્યોગકારને પ્લોટનો વપરાશ શરુ કરવા ૩-૪ વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. જો આ મોરેટોરિયમ પીરીયડ દરમિયાન કોઇ કારણસર મિલકતનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય તો ઉદ્યોગકાર ધ્વારા મિલકતના વપરાશની સમયમર્યાદા વધારી આપવા જીઆઇડીસીને રજૂઆત કરવામાં આવે છે. 
        
આ પ્રકારના કિસ્સાઓમાં જીઆઇડીસી મોરેટોરિયમ પીરીયડ ૧-૨ વર્ષ વણવપરાશી દંડની રકમ વસુલ લઇ વધારી આપે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસીઆ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે  મોરેટોરિયમ પીરીયડ ૧ વર્ષ વધારી આપવામાં આવશે. જેના કારણે ૩૫૨ ઉદ્યોગકારોને રુ. ૭.૮૯ કરોડની રાહત મળશે.  
        
હાલ જીઆઇડીસીના ૧૬૩૫ ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે છે.  જો ઉદ્યોગકાર તેમ કરવામાં નિષ્ફળ જાય છે તો તેવા સંજોગોમાં તમામ વણ વપરાશી સમયગાળા માટે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવશે. 
        
સૂક્ષ્મ,  લઘુ અને મધ્યમ ઉદ્યોગો- MSME ને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા ૩૦૦૦ ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર રજૂ કરાયેલ દસ્તાવેજી પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી આપવામાં આવશે.  આનો લાભ ૧૪૨૮ લાભાર્થીઓને મળશે.
        
જીઆઇડીસીમાં આવેલી અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે મળતી અરજીઓમાં વસાહતની પ્રવર્તમાન વિતરણ કિંમતના ૨૦ ટકા પ્રીમિયમ એકીસાથે વસૂલ લઇ ફાળવણી કરવામાં આવે છે. 
        
આ વસાહતોમાં કોઇપણ પ્રકારનું વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય હયાત ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગોના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી વસાહતના પ્રવર્તમાન વિતરણ દર મુજબ કરવામાં આવશે.  

કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ (રૂ. ૧,૧૯૦ કરોડ)
રાજ્યના ૨૪ લાખ ખેડૂતોને ૩૯ હજાર કરોડ રુપિયાનું ટુંકી મુદતનું પાક ધિરાણ શુન્ય ટકા વ્યાજ દરે સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે મારફતે આપવામાં આવે છે. તેનું સંપૂર્ણ ૭% વ્યાજ  સરકાર (૪% ગુજરાત સરકાર અને ૩% ભારત સરકાર) ચુકવે છે. લોકડાઉનના કારણે આ ધિરાણના રીપેમેન્ટની મુદત સરકાર દ્વારા પાંચ મહિના વધારી આપવામાં આવી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૧૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
        
દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂ.૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની આર્થિક સહાય આપવારૂ.૬૬.૫૦ કરોડઆપવામાં આવશે. જે અંતર્ગત ૬૧,૫૭૪ ખેડુતોને સહાય કરવામાં આવશે.  
        
કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં ૭૫ ટકા સહાય આપવા રૂ.૧૩.૫૦ કરોડ ફાળવવામાં આવશે. જેનાથી એક લાખ ખેડુતોને લાભ થશે. 
        
વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાંનાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦,૦૦૦ સહાય આપવા રૂપિયા ૩૫૦ કરોડ ફાળવવામાં આવશે.
        
ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપવા માટે રૂ.૫૦ કરોડ ફાળવવામાં આવશે.
        
કુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય આપવા માટે રૂ. ૧૦૦ કરોડ ફાળવવામાં આવશે.
        
તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગનેટ, ફિશીંગબોટ, મત્સ્યબીજ વગેરે ૪૦ ઇનપૂટ સાધનો ખરીદવા માટે રૂ.૨૦૦કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. 
        
આમ, પેકેજને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સાથે સાંકળીને આ ક્ષેત્રે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો ઊભી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news