બેંકના નામે છેતરપિંડી કરતા નંબર કેવી રીતે ઓળખશો, જાણી લો આ માહિતી ક્યારેય નહીં છેતરાવ

આપણે ત્યાં એક કહેવત છે કે, ચોરનારની આંખો ચાર હોય છે.  કોરોના મહામારી બાદ દેશના લગભગ મોટાભાગના લોકો ડિજિટલ બન્યા છે. શિક્ષણ, જોબ વર્ક કે મેળાવડા જેવા કાર્યક્રમો પણ ડિજિટલ થયા છે. ત્યારે ચોરીને અંજામ આપતા લોકો ડિજિટલ વસ્તુઓના ઉપયોગથી કેવી રીતે વંચિત રહી જાય. હવે એ જમાના જૂના થઈ ગયા, જ્યારે લોકોમાં ખિસ્સા કાતરુઓનો ડર હતો. હાથમાં રાખેલા પર્સ કે કોઈ વસ્તુ ચોરીને ફરાર થતા હતા. મારામારી કરીને લૂંટ ચલાવતા હતા. આજકાલ ચોરો પણ પણ સ્માર્ટ રીતે ચોરી કરવા લાગ્યા છે. બેંક કે નાણાંકીય સંસ્થાના નામે છેતરપિંડી થવા લાગી છે. જો તમે પણ આ જ પ્રકારની ઘટનાનો ભોગ બન્યા હોવ, તો જાણી લો આ વાત. ક્યારેય બેંકના નામે ચોર તમને ઠગી નહીં શકે.

બેંકના નામે છેતરપિંડી કરતા નંબર કેવી રીતે ઓળખશો, જાણી લો આ માહિતી ક્યારેય નહીં છેતરાવ

ઝી બ્યૂરો, અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ તાજેતરમાં મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નવી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. RBIની ચેતવણી અનુસાર, બેંકો અથવા નાણાકીય સંસ્થાઓના ટોલ ફ્રી નંબર જેવા મોબાઈલ નંબર પરથી કેટલાક તત્વો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. છેતરપિંડી કરનાર નાણાંકીય સંસ્થાઓના ટોલ ફ્રી નંબર જેવા મોબાઇલ નંબરો રાખે છે અને સંસ્થાના નામની સાથે ટ્રુકોલર જેવી એપ પર નંબર સેવ કરે છે.

ઉદાહરણ તરીકે, ધારો કે બેંક તરફથી આવતા ફોન કોલ્સની સંખ્યા 1600-123-1234 છે. તો છેતરપિંડી કરનારા લોકો બેંક જેવો લાગતો 600-123-1234 જેવો નંબર મેળવે છે અને આ નંબરને ટ્રુકોલર અથવા અન્ય સેવા એપ્લિકેશન પર બેંકના ટોલ ફ્રી નંબર તરીકે રજિસ્ટર્ડ કરે છે. જેના કારણે લોકો આવા તત્વોની જાળમાં ફસાઈ જાય છે. અને સાચે ફોન કે મેસેજ બેંક અથવા તો કોઈ નાણાંકીય સંસ્થાએ કર્યો હશે તેમ માની લે છે. જેના કારણે તેમને છેતરપિંડીનો ભોગ બનવુ પડે છે.

ક્યારેય ગુપ્ત માહિતીનું પ્રદાન ન કરો
આ પ્રકારે થતી છેતરપિંડીથી બચવા માટે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. સૌ પ્રથમ, એ સમજવું મહત્વનું છે કે કોઈ નાણાંકીય સંસ્થા અથવા તેમના પ્રતિનિધિઓ email, SMS અથવા Whats App સંદેશા નથી મોકલતા. સાથે એ વાત પણ ધ્યાનમાં રાખો કે ક્યારેય સંસ્થા વ્યક્તિગત માહિતી, પાસવર્ડ્સ અથવા OTP પૂછવા માટે ફોન કોલ્સ નથી કરતી. એટલા માટે જો તમારી પર આવો કોઈ ફોન આવે તો સતર્ક થઈ જજો. બેંક કે નાણાંકીય સંસ્થાના નામે ફોન કે મેસેજ કરેલા વ્યક્તિને ક્યારેય પણ માહિતી ન આપો. SMS, પાસવર્ડ, OTP અંગેની જાણકારી બિલકુલ પણ ન આપો.

અજાણ્યા લીંક પર ક્લીક કરશો નહીં
ઘણા લોકોએ ક્રેડીટ કે ડેબિટ કાર્ડ મેળવવા માટે બેંકનો સંપર્ક કર્યો હોય છે. એવામાં તમારા પર જો કોઈ ફોન આવે કે મેસેજથી કહે કે, કાર્ડ મેળવવા વેરિફિકેશન માટે આપેલી લીંક પર ક્લીક કરો, તો આવી ભૂલ ક્યારેય પણ ન કરવી. કારણકે એક વાત તમારા મનમાં ગાંઠ વાળી લેજો કે, કાર્ડ પહેલેથી જ બેંક દ્વારા ચકાસવામાં આવે છે. આ પ્રકારના સંદેશાઓનો રિપ્લાય કરવાની કોઈ જરૂર નથી.

બેંકની વિગતો મેળવવા માટે ફક્ત બેંકની વેબસાઇટનો ઉપયોગ કરો
આજકાલ રોજિંદા જીવનમાં ડિજિટલનું ચલણ ખૂબ જ છે. બેંકના કામકાજ પણ ડિજિટલ થઈ ગયા છે. એવામાં જો ગ્રાહકને બેંકને લગતી કોઈપણ માહિતી મેળવવી હોય તો, બેંકની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે. બેંકની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ તમામ માહિતી જાણવાનો કે મેળવવાનો આગ્રહ રાખવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news