સરકારની ચિંતા વધી, રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના 250 નવા દર્દી દાખલ થયા

સરકારની ચિંતા વધી, રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના 250 નવા દર્દી દાખલ થયા
  • રાજકોટ સિવિલ હોસ્પિટલને દરરોજ 1200 ઈન્જેક્શનની જરૂરિયાત પડી રહી છે. પરંતુ તેની સામે GMSCL દ્વારા માત્ર 1000 જ ઇન્જેક્શન જ છે
  • રાજકોટ શહેર જિલ્લાની 32 હોસ્પિટલોમાં કોરોનાની મા-કાર્ડથી સારવાર મળશે. પ્રતિ દિવસ 5 હજાર અને મહત્તમ 50 હજાર સુધીનો સારવાર ખર્ચ અપાશે 

ગૌરવ દવે/રાજકોટ :દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધી રહ્યાં છે. પરંતુ રાજકોટ એવુ શહેર બન્યું છે, જ્યાં સમગ્ર દેશમાં મ્યુકોરમાઈકોસિસના કેસ સૌથી વધુ છે. અહી સૌરાષ્ટ્રભરમાંથી આવતા કેસોનો ભરાવો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસ (mucormycosis) ના 250 નવા દર્દીઓ દાખલ થયા છે. આરોગ્ય વિભાગ માટે આ આંકડો ચિંતાજનક છે. તો બીજી તરફ કેન્દ્રની ટીમમાં પણ આ આંકડાથી ફફડાટ ફેલાયો છે. 

ઓપરેશન બાદ 21 દિવસ સારવાર ચાલે છે 
સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધીને 250 સુધી પહોંચી છે તો બીજી તરફ 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.  આ ગંભીર બીમારીના દર્દીઓ વધતા રાજકોટ સિવિલ હોસ્પિટલને દરરોજ 1200 ઈન્જેક્શનની જરૂરિયાત પડી રહી છે. પરંતુ તેની સામે GMSCL દ્વારા માત્ર 1000 જ ઇન્જેક્શન જ ફાળવવામાં આવ્યા છે. ઓપરેશન બાદ 21 દિવસ સારવાર ચાલતી હોવાથી એક પણ દર્દી હજી સુધી ડિસ્ચાર્જ થયા નથી. તેથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. 

આ પણ વાંચો : વાવાઝોડાની દિશા બદલાઈ, સૌરાષ્ટ્ર-કચ્છ નહિ પણ ગુજરાતના આ વિસ્તારોમાં ટકરાવાની સંભાવના

રાજકોટમાં હવે મા કાર્ડથી કોરોનાની સારવાર થઈ શકશે 
આ ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લાની કોરોનાની સારવાર કરતા દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજકોટ શહેર જિલ્લાની 32 હોસ્પિટલોમાં કોરોનાની મા-કાર્ડથી સારવાર મળશે. પ્રતિ દિવસ 5 હજાર અને મહત્તમ 50 હજાર સુધીનો સારવાર ખર્ચ આપવામાં આવશે. સારવાર આપતા પહેલા PMJAYના સોફ્ટવેરમાં લાભાર્થીની નોંધણી અને ઓનલાઈન દવાની મંજૂરી આપવાની રહેશે. જો હોસ્પિટલો દાદ ન આપે તો મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓને ફરિયાદ કરવા સત્તાધીશોની લોકોને અનુરોધ કરાઈ છે. જુલાઈ-2021 સુધીમાં દાખલ થનાર દર્દીઓ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. 

આ પણ વાંચો : ગુજરાત તરફ આવતા તોફાન સામે NDRF એ સુકાન સંભાળ્યું, સ્પેશિયલ સ્યુટ સાથે ટીમ નીકળી 

સૌરાષ્ટ્ર યુનિ.માં લાખોના ખર્ચે બનાવેલી કોવિડ હોસ્પિટલ 15 દિવસમાં બંધ 
તો બીજી તરફ, રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાખોના ખર્ચે તૈયાર કરેલી કોવિડ હોસ્પિટલ 15 દિવસમાં જ બંધ કરાઈ છે. માત્ર 11 દર્દીઓ સારવારમાં હોવાથી સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં તમામને રિફર કરાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરવાની જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી હતી. જેમાં 50 બેડ થી શરૂ કરીને બેડની ક્ષમતા 100 કરવામાં આવી હતી. પરંતુ શરૂ કર્યાના 16 માં દિવસે હોસ્પિટલ બંધ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 5 થી 7 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ખર્ચ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news