ગુજરાતમાં માવઠાંએ ચક્રવાત જેવું નુકસાન વેર્યું; વૃક્ષો, વીજપોલ, હોર્ડિંગ ધરાશાયી, કાગળની જેમ ઉડ્યા મંડપ

રવિવારે પડેલા વરસાદે ચક્રવાતની તબાહી યાદ અપાવી દીધી છે. વૃક્ષો, વીજપોલ અને  હોર્ડિંગ તૂટી પડવાના તેમજ મકાનોને નુકસાન થવાના ઘણા બનાવ સામે આવ્યા છે. લગ્નસરાની સીઝન છે, ત્યારે ઘણા આયોજનો પર પાણી ફરી વળ્યું છે. 

ગુજરાતમાં માવઠાંએ ચક્રવાત જેવું નુકસાન વેર્યું; વૃક્ષો, વીજપોલ, હોર્ડિંગ ધરાશાયી, કાગળની જેમ ઉડ્યા મંડપ

Gujarat Weather 2023: માવઠાને કારણે ખેતી ઉપરાંત અન્ય માલ મિલકતોને પણ નુકસાન થયું છે. વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તો લગ્નના ઘણા આયોજનો ધોવાઈ ગયાં છે. ઘણી એપીએમસીના સંચાલકો સમયસર ન જાગતાં ખુલ્લામાં પડેલી જણસો પલળી ગઈ છે, જેનું નુકસાન વેપારીઓ અને ખેડૂતોએ ભોગવવું પડ્યું છે. રવિવારે પડેલા વરસાદે ચક્રવાતની તબાહી યાદ અપાવી દીધી છે. વૃક્ષો, વીજપોલ અને  હોર્ડિંગ તૂટી પડવાના તેમજ મકાનોને નુકસાન થવાના ઘણા બનાવ સામે આવ્યા છે. લગ્નસરાની સીઝન છે, ત્યારે ઘણા આયોજનો પર પાણી ફરી વળ્યું છે. 

સુરતના ઓલપાડમાં ભારે પવન વચ્ચે ઘણું નુકસાન થયું છે. ઠેર ઠેર પતરાના શેડ અને વીજપોલ તૂટી પડ્યા છે. મોટા હોર્ડિંગ પણ તૂટીને રસ્તા પર પડ્યા છે. ફક્ત અંભેટા ગામમાં જ 20થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. તૂટેલા વૃક્ષો અને શેડની નીચે ઘણા વાહનો દબાઈ ગયા. મકાનો છત વિનાના થઈ ગયા. સુરતથી ઓલપાડ સુધીનો સ્ટેટ હાઈવે બંધ થઈ જતાં વન મંત્રી મુકેશ પટેલે વીજ વિભાગ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સહિત સ્થળની મુલાકાત લીધી હતી. હાઈવેને કાટમાળથી ખુલ્લો કરાવવામાં આવ્યો. 

ભારે પવન સાથે વરસાદ પડતાં સુરતના એક પાર્ટી પ્લોટમાં લગ્નનો મંડપ ઉડી ગયો. ખુરશીઓ કાગળના પૂંઠાની જેમ જેમ ફંગોળાઈ ગઈ. પાર્ટી પ્લોટમાં પાણી ભરાઈ જતાં લગ્ન પ્રસંગ યોજાશે કે કેમ તે પણ એક સવાલ છે. બપોરે ઉઘાડ નીકળ્યા બાદ  સાંજે અમદાવાદ શહેરમાં ફરી વરસાદ તૂટી પડતાં લોકો મૂંઝાયા હતા. લગ્નના સમારંભો ખોરવાઈ ગયા. આ દ્રશ્યો સુભાષ બ્રિજ  પાસેના છે, જ્યાં વરસાદ લગ્ન પ્રસંગની વિધિમાં વિલન બન્યો. લોકોએ લગ્નસ્થળને ઢાંકવાનો ઘણો પ્રયાસ કર્યો, પમ તેનાથી કોઈ ફાયદો ન થતાં લગ્નની વિધિનું સ્થળ બદલવું પડ્યું.

મંડળીઓ અને એપીએમસીમાં પડેલા તૈયાર પાકને પણ વરસાદને કારણે નુકસાન થયું છે. ભાવનગર એપીએમસીમાં ખુલ્લામાં પડેલો મગફળી, કપાસ અને ડુંગળીનો પાક પલળી ગયો. ફક્ત મગફળીની ચાર હજાર ગુણી અને 40 મણ કપાસ વરસાદના પાણીમાં  પલળી ગયા. હવામાન વિભાગની આગાહી છતાં યાર્ડના સત્તાધીશોએ વ્યવસ્થા ન કરી, જેનું પરિણામ વેપારીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. 

હવામાન વિભાગનું માનીએ તો સોમવારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જો કે વરસાદનું જોર સામાન્ય રહેશે. માવઠું પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ઠંડી પોતાનું ખરૂં સ્વરૂપ દેખાડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news