અમદાવાદના પટેલ દંપતીની ઘાતકી હત્યા કરનારા 5 આરોપી આખરે પકડાયા

અમદાવાદના થલતેજ વિસ્તારમાં પટેલ દંપતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. સોલા હેબતપુર વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ગ્વાલિયરના ગિઝોરામાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે.

અમદાવાદના પટેલ દંપતીની ઘાતકી હત્યા કરનારા 5 આરોપી આખરે પકડાયા

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના થલતેજ વિસ્તારમાં પટેલ દંપતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. સોલા હેબતપુર વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ગ્વાલિયરના ગિઝોરામાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. થલતેજ પોશ વિસ્તારમાં આવેલ શાંતિ પેલેસ બંગલામાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા અને લૂંટ કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓળખ કરવામાં આવી છે. ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જિલ્લાના મહેગાંવ વિસ્તારમાંથી અન્ય એક આમોખ વિસ્તારમાંથી અને એકને અમદાવાદ જનતાનગર પકડવામાં આવ્યો છે.

પોલીસે વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં તપાસ તેજ કરી છે. 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ફંફોળ્યા હતા, તો સાથે જ 70 થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. ત્યારે માહિતીના આધારે પોલીસે ગ્વાલિયર પહોંચી હતી. જ્યાં રવિવારના રોજ રાત્રે એક આરોપીને પકડી પાડ્યો હતો. ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓ પૈકી એક આરોપીને અમદાવાદ જનતાનગર પકડવામાં આવ્યો છે. 2 આરોપીઓ UP ના ભીંડ જીલ્લાના મહેગાંવ વિસ્તારમાંથી પકડાયા છે. એક આરોપી આમોખ વિસ્તારમાંથી પકડાયો છે. તો એક આરોપીને ડબરા વિસ્તારમાંથી રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી છે. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પાંચેય આરોપીઓને લઈને અમદાવાદ આવી પહોંચશે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો : વડોદરાના નબીરાઓની મહેફિલ માટે આફ્રિકાથી આવ્યો હતો ‘ખાસ દારૂ’

ફર્નિચરનું કામ કરનારા વ્યક્તિએ આપી હતી ટીપ
પોલીસ તપાસમાં ખૂલ્યું કે, દંપતીના ઘરમાં ફર્નિચરનું કામ કરવા આવેલ વ્યક્તિ માસ્ટર માઈન્ડ ટીપર હતો. લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર બન્યું હતું. રવિવારે રાત્રે એક આરોપી પકડાઈ ગયો હતો. જે બાદ માહિતીના આધારે બાકીના આરોપીને પકડી લેવામાં આવ્યા છે. જેને અમદાવાદ ખાતે લવાયા છે. 

પોલીસે 200 સીસીટીવી તપાસ્યા 
અમદાવાદના વૃદ્ધ પટેલ દંપતીના હત્યાને અંજામ આપનાર હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના સ્થળેથી બાઈક દૂર પાર્ક કરી ઘરમાં જતા શખ્સો CCTVમાં કેદ થયા છે. લૂંટને અંજામ આપતા પહેલા આરોપી અંદર-અંદર ચર્ચા કરતા પણ નજરે પડ્યા હતા. પ્લાનિંગ કર્યા બાદ લૂંટારુઓ ઘરમાં ધૂસ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારના તમામ CCTVની તપાસ કરી હતી. લગભગ 200 જેટલા સીસીટીવી તપાસ્યા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી.આ લૂંટારુઓ હિસ્ટ્રીશીટર હોવાના પોલીસને આશંકા છે. 

આ પણ વાંચો : વાયુવેગે ફેલાઈ અમદાવાદમાં ખાણીપીણીની બજારો બંધ કરવાની વાત, બાદમાં થયો ખુલાસો

જ્યોત્સનાબેન પ્રતિકાર કરતા લૂંટારુંઓએ તેમનું ગળુ કાપ્યું 
આરોપીઓએ ઘરની રેકી કરી હતી. સવારે મુખ્ય દરવાજો બંધ રહેતો હોવાથી તેઓ સાઈડમાં આવેલા રસોડાના દરવાજાથી પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં કામ કરી રહેલા જ્યોત્સના બહેનની વિંટી લૂંટી હતી. પ્રતિકાર કરવામાં આવતા લૂંટારુઓએ જ્યોત્સનાબેનનું ગળું કાપી નાખ્યું. પતિ અશોકભાઈ તેમને બચાવવા આવાત લૂંટારૂઓએ તેમને પણ મોતને ઘાટ ઉતાર્યા અને બાદમાં તેઓ ફરાર થઈ ગયા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં આરોપીઓ હત્યાને અંજામ આપ્યા પહેલા ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે. કેસની પોલીસ સઘન તપાસ કરી રહી છે.

અમદાવાદ પોલીસે 200 સીસીટીવી ફૂટેજ ફેંદ્યા, આખરે દેખાયા પટેલ દંપતીના 4 હત્યારા

પરિવારની રાજકીય વગ હોવાથી તપાસ તેજ કરાઈ
અમદાવાદમાં જે પટેલ દંપતીની હત્યા થઈ તેઓ રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને દિવ દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલના કાકાના સંબંધી હોવાનો ખુલાસો થયો છે. જ્યોત્સનાબેન રાજ્યાના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને દીવ-દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલના કાકાના દીકરી હતા. તેથી આ કેસ મામલે રાજકીય દબાણ વધતા તપાસ તેજ કરાઈ છે. તથા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે. આ કારણે જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હોવાની ચર્ચા થઈ હતી. 

અમદાવાદમાં પટેલ દંપતીની હત્યા, ચોકીદારે ચાર શખ્સોને ઘરમાંથી બહાર નીકળતા જોયા હતા

ચોકીદારને કંઈક થયુ હોવાની શંકા ગઈ
વૃદ્ધ દંપતીની હત્યાની સૌથી પહેલી જાણ તેમના ચોકીદારને થઈ હતી. જેના બાદ તેમના પાડોશી મનીષાબેને ઘરમાં જઈને તપાસ કરી હતી. બન્યું એમ હતું કે, મનીષાબેને રોજ સવારની આદત મુજબ ચાલતા જતા સમયે અશોકભાઈને બૂમ પાડી હતી. આ દરમિયાન અશોકભાઈ પોતાની ગાડી સાફ કરતા કરતા ગીતો સાંભળતા હોય છે. આજે પણ પણ તેમણે અશોકભાઈને બૂમ પાડી હતી. જેના બાદ તેમણે જ્યોત્સનાબેનને ચકરી પાડવા મામલે કહ્યું હતું. આ વાત થઈને મનીષાબેન ન્હાવા ગયા હતા. બહાર આવ્યા બાદ અચાનક ચોકીદારે મનીષાબેનને બૂમ પાડી હતી. ચોકીદારે મને બૂમ પાડીને જણાવ્યું કે મનિષાબેન બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છે, જેથી મેં બહાર આવીને જોયું તો કાકાના ઘરના પડદા જે ક્યારેય બંધ નથી હોતા તે બંધ જોયા. પછી મેં વિચાર્યું કે કાકા અને કાકી ઉતાવળમાં બહાર ગયા હશે. પરંતુ બંને વાહનો પણ પડ્યા હતા. જેથી મેં ચોકીદારને કહ્યું કે તમે અંદર જઈને જોવો તો ચોકીદારે રસોડાના પાછલા બારણે જઈને જોયું ત્યારે અંદર સામાન વેરવિખેર હતો જેથી ચોકીદારે મને બૂમ પાડીને બોલાવી જે બાદ હું ઘરમાં ગઈ અને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news